Abtak Media Google News

રેલનગર અંડરબ્રીજ ખાતે પ્રતિકલાક ૨૬૦ ઘનમીટર અને મહિલા કોલેજ બ્રીજમાં પ્રતિકલાક ૨૫૦ ઘનમીટર પાણી ડિસ્ચાર્જ થશે

ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ દરમિયાન શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં આવેલા અંડરબ્રીજ સ્વીમીંગપુલમાં પરીવર્તીત થઈ જતા હોય છે. બ્રીજમાં પાણી ખેંચવા માટે મુકવામાં આવેલા પંપની કેપેસીટી કરતા વધુ આવક હોવાના કારણે બ્રીજ ભરાઈ જાય છે જેના કારણે રસ્તાઓ પણ બંધ થઈ જાય છે. ચોમાસાની સીઝનમાં વધુ વરસાદમાં આ વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મહિલા કોલેજ અને રેલનગર અંડરબ્રીજમાં વરસાદી પાણી ખેંચવા માટે વધારાના પંપ મુકવામાં આવ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, રેલનગર અંડરબ્રીજમાં અત્યારસુધી ૧૫ હોર્સ પાવરના ૩ પંપ હતા અને પ્રતિ પંપ પ્રતિ કલાક ૨૬૦ ઘનમીટર પાણી ડિસ્ચાર્જ કરતા હતા. રેલનગર બ્રીજ ખાતે ૧૫ હોર્સ પાવરનો વધારાનો એક પંપ મુકવામાં આવ્યો છે. સાથે ડીજીશેઠ પણ સામેલ છે. ચોમાસાની સીઝનમાં અહીં વરસાદી પાણી ભરાશે તો પણ તેનો ઝડપથી નિકાલ કરી શકાશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રીજ ખાતે વરસાદી પાણીના નિકાલ માટે અત્યારસુધી ૧૨.૪ હોર્સ પાવરના ૪ પંપ હતા. એક પંપ બગડી ગયો છે. નવો ૨૦ હોર્સ પાવરનો પંપ મુકવામાં આવ્યો છે. અહીં એકી સાથે ૪ પંપ દ્વારા વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરેક પંપ પ્રતિકલાક ૨૫૦ ઘનમીટર પાણીનો નિકાલ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.