Abtak Media Google News

સમય, સ્થિતિ અને કાળ કાયમ નથી રહેતા

દીકરી વ્હાલનો દરિયો…, દીકરી સાપનો ભારો…, દીકરી ને ગાય દોરે ત્યાં જાય… સામાજીક કહેવતોના આ ત્રણ અલગ અલગ રૂપમાં દીકરીની લાગણી મા-બાપની મજબૂરી અને દીકરીની વિવશતા દર્શાવે છે. સમાજમાં દરેક દીકરી, વહુ, માતાની ભૂમિકા કેન્દ્ર સ્થાને રહેલી હોય છે. સમાજ માટે મહિલા જનની અને અન્નપૂર્ણા અને સમાજના સિંચન માટે ભગવાન પછીની જવાબદારી નિભાવતું પાત્ર ગણવામાં આવે છે. ભારતીય સભ્ય સંસ્કૃતિમાં આદિકાળતી મહિલા સન્માન અને સશક્તિકરણ અને સામાજીક સમરસતામાં વિશ્ર્વ સમાજ જીવનને મહત્વનું યોગદાન આપતું રહ્યું છે. આધુનિક યુગમાં પણ વિશ્ર્વમાં ક્યાંય નથી તેવું મહિલા સશક્તિકરણનું કાર્ય ભારતમાં ચાલી રહ્યું છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા હવે લગ્નની દીકરીઓની વય અંગેના નિયમોમાં સુધારો કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સરકાર ટૂંક સમયમાં દીકરી માટેની લઘુતમ લગ્ન વયમર્યાદાના કાયદામાં સંશોધન કરી તેમાં સુધારો કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નિર્દેશ આપ્યો હતો.

લગ્ન માટે દીકરીઓને સાચી અને યોગ્ય વય કઈ ? આ પ્રશ્ર્ન ચર્ચાનો મુખ્ય વિષય કાયમી ધોરણે બની રહ્યો છે. સમગ્ર દેશમાં દરેક યુગ અને દાયકામાં આ પ્રશ્ર્ન ચર્ચાતો રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ન અને કૃષિ વિભાગના સંયુક્ત રાષ્ટ્રસંઘના ૭૫માં વર્ષમાં સિક્કાનું વિમોચન કરતી વખતે જણાવ્યું હતું કે, દીકરીઓની વય નક્કી કરવા અંગે મને મહિલા સંગઠનો દ્વારા સતત પત્રો મળતા રહે છે અને પ્રશ્ર્ન પુછવામાં આવે છે કે, આ મુદ્દાનો ઉકેલ ક્યારે આવશે. સરકાર દ્વારા દીકરીઓની લગ્નની વય નક્કી કરવા માટે એક સમીતીની રચના કરવામાં આવી છે. જેનો અહેવાલ હજુ આવવાનો બાકી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું દરેકને એ વાતની ખાતરી આપુ છું કે સરકાર ટૂંક સમયમાં આ અંગે ન્યાયીક નિર્ણય લેશે.

ભારતના કાયદાની વાત કરીએ તો સમય-સમયે દીકરીઓના લગ્નની વયની મર્યાદાઓમાં ફેરફાર કરવામાં આવતો રહે છે. અત્યારે ભારતમાં દીકરીઓની લગ્નની વયમર્યાદા ૧૮ વર્ષની અને દિકરાઓની ૨૧ વર્ષની રાખવામાં આવી છે. સમગ્ર દેશમાંથી દીકરીઓની લગ્નની વય વધારવાની માંગ ઉઠતી રહે છે.

કેન્દ્ર સરકારે અગાઉ ૧૦ સભ્યોની એક સમીતી રાજકીય-સામાજીક આગેવાન જયા જેટલીની આગેવાનીમાં લગ્નની વયની યોગ્યતાની સમીક્ષા કરવા માટે બનાવવામાં આવી હતી. આ સમીતીને પોષણ સ્તર અને ખાસ કરીને ધાત્રી અને નવજાત બાળકોના મૃત્યુદરની સ્થિતિ સુધારવા માટે કામ સોંપવામાં આવ્યું છે. સરકાર દ્વારા નિર્દેશીત આ સમીતીના સુજાવ મુજબ લગ્નની વય સુધારા અંગેના કાયદાઓ બનાવવામાં આવશે.

કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય મંત્રી સ્મૃતિ ઈરાની કે જે શુક્રવારે વડાપ્રધાનના સંબોધન સમયે ઉપસ્થિત હતા. તેણે ઈન્ટરવ્યું જણાવ્યું હતું કે, નીતિ આયોગ અને પોતાના મંત્રાલય હેઠળ કાર્યરત આ સમીતીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. મને ખાતરી છે કે, નીતિ આયોગ આ અંગે યોગ્ય માહોલ ઉભો કરશે.

ભારત વર્ષના વહીવટી ઈતિહાસના વાત કરીએ તો બાળ લગ્ન નિષેધ ધારો ૧૯૨૯ અંતર્ગત દીકરીઓની ઉંમર ૧૪ અને દિકરાની વય ૧૮ વર્ષની માન્ય હતી. ત્યારબાદ ૧૯૭૮માં દીકરીઓની ઉંમર ૧૮ વર્ષ અને દિકરાની ૨૧ વર્ષ લગ્ન વય માન્ય રાખવામાં આવી હતી. સરકાર હવે ફરીથી ભારતમાં ગર્ભવતી મહિલાઓ અને ધાત્રીઓના મૃત્યુદર ઘટાડવા માટે નવેસરથી દીકરીઓની લગ્નની વયમર્યાદા વધારવા માંગે છે.

ભારતની સામાજીક સ્થિતિની ચર્ચા કરીએ તો અગાઉ પરદેશીઓના આક્રમણ અને વર્ગવિગ્રહની સાથે સાથે મહિલાઓ અને ખાસ કરીને કુવારી દીકરીઓ માટે સામાજીક સુરક્ષાનો મોટો અભાવ જોવા મળતો હતો. સામાજીક અપરાધ અને રાજકીય પ્રતિક્રમણમાં મહિલાઓને સાધન ગણીને લૂંટનો માલ ગણવામાં આવતો હતો. આ પરિસ્થિતિમાં અગાઉ કેટલાક ચોક્કસ વર્ગ અને રાજકીય ઘરાનાઓમાં ગર્ભવતી મહિલાઓના પેટે ચાંદલા કરી દેવામાં આવતા હતા. ત્યારપછી નાની ઉંમરે દિકરીઓને પરણાવી દઈને તેનું જીવન સામાજીક રીતે સુરક્ષીત કરી દેવામાં આવતું હતું. આઝાદી પૂર્વે દીકરી રજોસ્ત્રાવી ધર્મમાં આવે એટલે તેને ઉંમર લાયક ગણવામાં આવતી હતી. ભારતીય કાયદામાં ત્યારપછી ૧૮ વર્ષની વયને લગ્ન માન્ય ગણવામાં આવતી હતી. હવે સમય અને સ્થિતિ ફરી ગઈ છે, સમાજમાં પહેલા જેવી અસુરક્ષા નથી. સમાજ શિક્ષીત, દિક્ષીત અને સુધારા માટે અપેક્ષીત બની ચૂક્યો છે. હવે સામાજીક કુ-રિવાજો અને દીકરીઓ પરના આક્રમણનો ડર નથી. પેટે ચાંદલા કરવાની જરૂર નથી, કુમળી વયે દીકરીને પરણાવીને મા-બાપ બૌજ ઓછો કરવામાં માનતા નથી, દીકરીને દિકરાની જેમ ભણાવામાં આવે છે. સમાજમાં મહિલાઓ પુરુષ સમોવડી બની ચૂકી છે ત્યારે હવે સમયનો તકાજો છે કે, લગ્નમાં મહિલા અને પુરુષ બન્નેની ઉંમર એક સરખી રહેવી જોઈએ. સરકાર આગામી દિવસોમાં લગ્ન માટે મહિલા અને પુરુષને પણ એક સમાન ગણે અને મહિલાઓની વયમર્યાદા પણ પુરુષ જેવડી રાખવામાં આવે તે દિવસો દૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.