Abtak Media Google News

કાલથી દિવાળી વેકેશન શરૂ થતુ હોય યોગ્ય નિર્ણય માટે બેડી યાર્ડમાં આજે મીટીંગ: સૌરાષ્ટ્રના તમામ યાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન, હોદેદારો આપશે હાજરી: ખેડૂતોની દિવાળી બગડતી હોય યાર્ડ ચાલુ રાખવા વેપારીઓને દબાણ

આ વર્ષથી સરકાર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાને બદલે ભાવાંતર યોજના લાગુ કરવાની માગ સાથે સૌરાષ્ટ્ર વેપારી એપીએમસી હડતાળ પર ઉતર્યા છે. હડતાલનો આજે ત્રીજો દિવસ હોવા છતા સરકારે આ મુદે યાર્ડમાં હોદેદારો સાથે કોઈ વાતચીત કે વાટાઘાટો કર્યા નથી. દિવાળીના દિવસો નજીક આવી રહ્યા હોય ત્યારે કાલથી તમામ માર્કેટીંગ યાર્ડમાં સતાવાર રજા પડી રહી છે.

એટલે કે એક અઠવાડીયા સુધી રજા હોવાથી હડતાલ ચાલુ રહી શકશે નહિ જોકે લાભપાંચમથી હડતાળ ફરી શરૂ કરવી કે સમેટી લેવી તે મુદે તેમજ સરકાર ભાવાંતર યોજના ખેડૂતોના હિતમાં લાગૂ કરે તેમાટે વેપારીઓના સરકાર સામેના આગામી કાર્યક્રમો માટેની રણનીતિ ઘડવા રાજકોટ નજીક બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે આજે સૌરાષ્ટ્રની તમામ યાર્ડના ચેરમેન વાઈસ ચેરમેન, હોદેદારો અને વેપારીઓની ખાસ ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. જેમાં ખેડૂતો અને વેપારીઓનાં હિતને ધ્યાને લઈ નિર્ણયો લેવામાં આવશે.

સરકાર દ્વારા પ્રતિ વર્ષ ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં અનેક ભ્રષ્ટાચાર અને ત્રુટિઓ સર્જાય છે. એટલે કે સરેરાશ આ નુકશાન જગતનો તાત એવા ખેડૂતોને શીરે આવે છે. ખરીદીમાં આ તમામ પ્રકારની સમસ્યાઓ અટકે તે માટે સૌરાષ્ટ્ર એપીએમસી એ સરકારને ભાવાંતર યોજના લાગુ કરવા છેલ્લા એકાદ મહિના પૂર્વે રજૂઆત કરી હતી. પરંતુ સરકારે કોઈ નિર્ણય નહિ લેતા સૌરાષ્ટ્ર વેપારી એપીએમસીએ એકત્રિત થઈ ગત ૧ લી નવેમ્બરથી સૌરાષ્ટ્રના તમામ યાર્ડો બંધ રાખી લડત ચલાવી છે. આ હડતાલમાં સૌરાષ્ટ્રના ધોરાજી, જેતપૂર, ઉપલેટા, ગોંડલ, અમરેલી, સાવરકુંડલા, જૂનાગઢ સહિતના યાર્ડો જોડાયા છે. હડતાલના બીજા દિવસથી ઉતર ગુજરાતના તમામ માર્કેટીંગ યાર્ડએ પણ ખેડુતોના હિતમાં ચાલી રહેલી લડાઈમાં ટેકો આપ્યો છે. તેમ છતા સરકાર આ મુદે કોઈ નિર્ણય નહિ કરી ચૂપચાપ બેસી રહી છે.

આ ઉપરાંત કાલથી તમામ યાર્ડમાં દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે. ત્યારે ત્રણ દિવસ બાદ હડતાલ પુરી થાય છે. તેમ છતા નવા વર્ષે લાભપાંચમથી તમામ યાર્ડોમાં ખરીદી શરૂ  કરવી કે હડતાલને સમેટી લેવી તે મુદે તેમજ જો સરકાર આગામી કોઈ નિર્ણય ન કરે તો ઉગ્ર કાર્યક્રમો માટે રણનીતિ ઘડવા આજે બેડી યાર્ડમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્રની તમામ યાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન, હોદેદારો અને વેપારી અગ્રણીઓ હાજરી આપશે. અને યોગ્ય નિર્ણય લેવા ચર્ચાઓ થશે.

યાર્ડમાં ચાલી રહેલી હડતાલથી ખેડુતોની દિવાળી બ ગડી હોય વેપારીઓને યાર્ડ શરૂ કરવા દબાણ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત કરોડોના વ્યવહારો અટકયા હોય અનેકગણી નુકશાની થઈ રહી છે.

સૌરાષ્ટ્ર વેપારી એપીએમસીનાં જણાવ્યા મુજબ જો ભાવાંતર યોજના લાગુ થશે તો ખેડુતોને પોષણક્ષમ ભાવો મળશે, સૌરાષ્ટ્રના જે યાર્ડો આર્થિક રીતે નબળા છે તે સધ્ધર થશે.

ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, ગોડાઉન સળગવા, ભેળસેળ વગેરેમાંથી મુકિત મળશે. આ ઉપરાંત ખેડુત પોતાની જે ઉપજ વેપારીને વહેચશે તેનું પાકુ બીલ માગશે જેથી કોઈ વેપારી કંઈ પણ છુપાવી શકશે નહિ, આમ, ભાવાંતર યોજના એ ખેડુતો અને વેપારીઓના હિતમાં જ હોય તે માટે હડતાલ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.