Abtak Media Google News

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનાં લગ્નની વાત ફરી એક વાર ખોટી અને અફવા સાબિત થઈ છે. ગઈ કાલે વિરાટ-અનુષ્કાનાં લગ્નની વાત વાઇરલ થઈ હતી. એવા સમાચારો હતા કે વિરાટ અને અનુષ્કા ઇટાલીના મિલાન શહેરમાં ૧૧થી ૧૩ ડિસેમ્બર દરમિયાન લગ્ન કરશે. હવે તેના પ્રવક્તાએ આ અહેવાલને નકારી કાઢ્યા છે. તેણે જણાવ્યું કે અહેવાલમાં જરા પણ સચ્ચાઈ નથી.

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પૂરી થઈ છે અને વિરાટે આરામ કરવાનો નિર્ણય કર્યો છે. તે શ્રીલંકા સામેની વન ડે અને ટી-૨૦ શ્રેણીમાં રમવાનો નથી. આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસને ધ્યાનમાં રાખીને વિરાટે આરામ કરવાનો નિર્ણય કર્યો છે. બસ, વિરાટના આ નિર્ણયને કારણે તેનાં લગ્નના સમાચાર જંગલની આગની જેમ પ્રસરી ગયા. મીડિયામાં રિપોર્ટ આવ્યા બાદ તરત જ વિરાટના પ્રવક્તાએ આવા અહેવાલોનું ખંડન કરી દીધું. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં પણ કોહલી-અનુષ્કાનાં લગ્નના સમાચાર જાહેર થયા હતા, જે બાદમાં અફવા સાબિત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.