Abtak Media Google News

જિલ્લામાં ૮૦ કામોમાં ૬૨૫૧ને રોજગારી: કલેકટર રેમ્યા મોહન

રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૦ અંતર્ગત જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કામો હાથ ધરવા માટે સરકાર ગાઈડલાઈન મુજબ માસ્ટર પ્લાન બનાવવામાં આવેલો છે.  જેમાં જિલ્લામાં કુલ ૪૮૫ કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જળસંયરના કામો ચોમાસા પૂર્વ પુર્ણ કરવા તાકીદ કરાઇ છે.

જિલ્લા કલેકટર  રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં કલેકટર આ યોજનામાં સંબંધિત વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું કે આગામી ચોમાસા પહેલા કામો ઝડપી પૂર્ણ કરવા તાકિદ કરી હતી. આ તકે તેઓએ જનભાગીદારીવાળા કામો વધુ ને વધુ થાય તે માટે હિમાયત કરી હતી.

કલેકટર વધુમાં ઉમેર્યું હતું કે જે તે ગામમાં ચાલતાં ચેકડેમ તળાવો ઊંડા કરવાના કામોમાંથી નીકળતી માટી જે કોઈ ખેડૂતો સ્વખર્ચે લઈ જવા માંગતા હોય તો તે અંગે  તેમણે ચેકડેમ માટે રાજ્ય સિંચાઈ યોજના વિભાગ તથા તળાવ માટે પંચાયત સિંચાઇ વિભાગ પાસેથી લેવાની થતી મંજુરી બાબતે સંબંધિત વિભાગોને તાલુકા કક્ષાએથી મંજૂરી આપવા સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત, જિલ્લામાં આવેલી નગરપાલિકાના ચીફ ઓફીસરો પાસેથી સુજલામ સુફલામના કામો અંગેની માહિતી કલેકટર  વિડીયો કોન્ફરસીંગથી મેળવી જરૂરી સુચનો કર્યા હતા. આ યોજનાના નોડલ ઓફિસર અને કાર્યપાલક ઇજનેર વિજયભાઈ વોરાએ કામગરીની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં ૮૦ કામો પ્રગતિમાં છે જેમાં ૨૪ જેસીબી,  ૧૦૮ ડમ્પર/ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ૬૨૫૧ જેટલા શ્રમિકો કામગીરી કરી રહ્યા છે.  બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ, નિવાસી અધિક કલેકટર પરિમલભાઈ પંડ્યા, પ્રાંત અધિકારીઓ તેમજ આ યોજનાના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.