Abtak Media Google News

કાલાવાડના ભાવાભી ખીજડીયા પાસે ઇક્કો કાર અને ટ્રક અથડાતા દરગાહે સલામ કરી પરત આવી રહેલા પરિવારના છ સભ્ય કાળનો કોળીયો બનતા અરેરાટી સાથે ગમગીની

કાલાવડ અને જામકંડોરણા વચ્ચે આવેલા ભાવાભી ખીજડીયા પાસે ઇક્કો કાર અને ટ્રક અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં જામનગરના બેડેશ્ર્વર વિસ્તારના બે વાઘેર પરિવારની છ વ્યક્તિ કાળનો કોળીયો બનતા મૃતકની અર્થી ઉઠતા બેડેશ્ર્વરમાં હૃદય દ્વાવક દ્રશ્ય સર્જાયા હતા. બાવળાવદર ખાતે આવેલી કમાલશાપીરની દરગાહે દિદાર કરી પરત આવી રહેલા પરિવારની ઇક્કો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઇક્કો કારનો બુકડો બોલી ગયો હતો. કાલાવડ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી પાંચ મૃતદેહ મહામહેનતે બહાર કાઢયા હતા અને ઘવાયેલા ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં એકનું મોત નીપજયું હતું.

7537D2F3 6

આ અંગે પોલીસમાંથી વિગત મુજબ જામનગર બેડેશ્ર્વર ખાતે ઇદગા મસ્જીદ પાસે રહેતા શબ્બીરભાઇ નોતિયાર અને પરિવારના નુરીનબેન, મહેઝબીનબેન, મનાઝીર ઉપરાંત આયસાબેન હાજીભાઇ મોદી, રિઝવાનબેન, રેહાન અને નવાઝ સહિતના આઠ વ્યક્તિઓ શુક્રવારે શબ્બીરભાઇની જી.જે.૧૦ડીએ. ૦૩૭૨ નંબરની ઇક્કો કારમાં બેસી બાવળાવદર પાસે આવેલા કમાલશાપીરની દરગાહે સલામી ભરવા માટે ગયા હતા. પાનના ગલ્લાના ધંધા સાથે સંકળાયેલા શબ્બીર અને અન્ય લોકો બપોરે બાવળાવદર કમાલશાપીરની દરગાહે દિદાર કરી પરત જવા રવાના થયા હતા.ઇક્કો કાર કાલાવડ નજીક ભાવાભી ખીજડીયા પાસે પહોચી ત્યારે સામેથી પુર ઝડપે ઘસી આવેલા જી.જે.૦૮યુ.૧૧૭૫ નંબરના ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં રહેલા શબ્બીર મહંમદ હુસેન નોતિયાર, આયેશાબેન હાજીભાઇ મોદી, નુરજહાબેન શબ્બીરભાઇ નોતિયાર, નાઝીર શબ્બીરભાઇ નોતિયાર અને મહેઝબીન શબ્બીર નોતિયારના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા નવાઝ હાજીભાઇ મોદી, રેહાન શબ્બીરભાઇ નોતિયાર અને રિઝવાના હાજીભાઇ મોદીને સારવાર માટે જૂનાગઢ અને ત્યાર બાદ જામનગર ખાતે લઇ જવામાં આવ્યા હતા તે દરમિયાન રિઝવાના હાજીભાઇ મોદીનું મોત નીપજતા અકસ્માતમાં મૃત્યુ આંક છ થયો હતો. તમામના મૃતદેહ મોડીરાતે બેડેશ્ર્વર ખાતે લઇ જવાયા બાદ એક સાથે છ અર્થી ઉઠતા નાના એવા બેડેશ્ર્વરમાં હૃદય દ્વાવક દ્રશ્ય સર્જાયા હતા. માતમ સાથે અરેરાટી મચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.