Abtak Media Google News

શેરી-ગલ્લીઓમાં જઈ ચીજ વસ્તુઓનું વેચાણ કરનારાઓને આર્થિક મદદ પહોંચાડવા સરકારની પીએમ સ્વનિધિ યોજના શરૂ

એક જ દિવસમાં દેશભરમાંથી ૩૮ હજાર અરજીઓ નોંધાઈ; ૧૬.૧૬ લાખ લોકોને ૧૦ હજારની લોન મળી

માર્ચ માસના અંત સુધીમાં ૩૦ લાખ ફેરીયાઓને યોજનાનો લાભ આપવાનો લક્ષ્યાંક

કોઈ પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન હોય છે તે માટેની આંતરમાળખાકીય સુવિધા વિકસાવવાની હોય, દરેક ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા હાંસલ કરી વિશ્ર્વકક્ષાએ ઝળકે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ઘણી યોજનાઓ શરૂ કરાઈ છે. જેમાંની એક યોજના એટલે રોડ રસ્તા કે શેરી ગલ્લીઓમાં જઈ ચીજ વસ્તુઓનું વેચાણકર્તા લોકોને આર્થિક મદદ પહોચાડવી આ યોજનાનું નામ છે. પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર અથવા પ્રધાનમંત્રી સ્વનીધી યોજના. આ સ્કીમ હેઠળ શનિવારે એક જ દિવસમાં દેશભરનાં ૨૯ હજાર ફેરિયાઆને લોન મળી છે.

પ્રધાનમંત્રી સ્વનીધિ યોજના હેઠળ મહિનાના કોઈપણ એક અઠવાડિયા દરમિયાન દેશભરનાં મહાનગરપાલિકાઓ અને જિલ્લા વિસ્તારોમાં તપાસ અભિયાન હાથ ધરવામાં આવે છે જે હેઠળ ફેરિયાઓને લોન પુરી પાડવામાં આવે છે માર્ચ મહિનાના અંત સુધીમાં ૩૦ લાખ ફેરીયાઓને લોન પુરી પાડવાનો લક્ષ્યાંક સેવાયો છે. આ માટે શનિવારે દેશભરનાં વિભિન્ન વિસ્તારોમાં પ્રથમ સાપ્તાહિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશભરમાંથી ૩૮ હજાર લોનની અરજીઓ આવી હતી અને તેમાંથી ૨૯ હજાર લાભાર્થીઓના બેંક ખાતાં રૂપીયા દશ -દશ હજાર જમા થતા હતા. કોઈ એક દિવસમાં આટલી રકમ અને આટલી લોનની અરજીઓ નોંધાઈ હોય એવો આ પ્રથમ બનાવ છે.

સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી સ્વનીધી સ્કીમ હેઠળ ૩૮.૧૮ લાખ અરજી નોંધાઈ જેમાંથી ૨૧.૭૭ લાખ અરજીનો સ્વીકાર થઈ ચૂકયો છે. જયારે ૧૬.૧૬ લાખ લોકો લોનની રકમ પણ મેળવી ચૂકયા છે. આજ રીતે યોજનાની કામગીરી ઝડપભેર ચાલતી રહેશે તો માર્ચના અંત સુધીમાં ૩૦ લાખ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે અને ફેરિયાઓને આર્થિક મદદ પહોચાડી તેમને આત્મનિર્ભર બનાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.