Abtak Media Google News

સીસી ટીવી કેમેરાનું કામ કરતા યુવાનો રાજકોટથી ભુજ જઈ રહ્યા હતા ત્યારે બનેલી ઘટના

મોરબી બાયપાસ નજીક ધરમપુરના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જો કે અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.આ અકસ્માતની કરુણતા એ છે કે કાળનો કોળિયો બનેલા ત્રણ યુવાનો પૈકી બે મામા-ભાણેજ હતા અને એક તેમના મિત્ર હતા.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં રહેતા અને સીસીટીવી કેમેરાનો વ્યવસાય કરતા ત્રણ યુવાનો કાર લઈને કામ સબબ ભુજ જઈ રહ્યા હતા ત્યારે ગઈકાલે બપોરે મોરબી બાયપાસ ઉપર ધરમપુરના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત સર્જાતા ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

વધુમાં આ અકસ્માતમાં રાજકોટના સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા યંતિરાજસિંહ જયવીરસિંહ જાડેજા ઉ.૩૨, જીતેન્દ્રસિંહ પ્રદ્યુમ્નસિંહ વાઢેર ઉ.૨૯, રે.જામનગર, તથા ધોરાજીના વરુ દેવાંગભાઇ અરજણભાઈ ઉ.૨૮ ,રે.ધોરાજી વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છેવકે ત્રણેય આશાસ્પદ યુવાનો સીસીટીવી કેમેરાના કામ સબબ રાજકોટથી કચ્છ ભુજ જતા હતા અને મૃતક યંતિરાજસિંહ પરણિત હોવાનું અને સંતાનમાં ૨ વર્ષની એક પુત્રી હોવાનું તેમજ મૃતક જીતેન્દ્રસિંહ યંતિરાજસિંહના ભાણેજ થતા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના અંગે મોરબી પોલીસે ટ્રક નંબર જી.જે.૩ એ.ટી.૩૯૩૪ ના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.