Abtak Media Google News

માસુમ બાળકીઓની નજર સામે માતાની હત્યા કરી બંને સાધુ બાઇક પર આટકોટ તરફ ભાગ્યા: સાધુને ઝડપી લેવા પોલીસે કરી નાકાબંધી

જસદણ તાલુકાના આટકોટ નજીક આવેલા પાંચવડા ગામે ભિક્ષાવૃતિ માટે આવેલા બે સાધુએ પટેલ મહિલાના માથામાં બોથર્ડ પદાર્થ મારી હત્યા કરી બાઇક પર આટકોટ તરફ ભાગી જતા બંને સાધુને ઝડપી લેવા પોલીસે નાકાબંધી કરાવી છે. પોલીસે બંને અજાણ્યા સાધુ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાંચવડા ગામે રહેતી જયશ્રીબેન અશોકભાઇ સાવલીયા નામની ૩૬ વર્ષની પટેલ પરિણીતા પોતાની બે પુત્રી સાથે ઘરે હતી ત્યારે બાઇક પર આવેલા બે સાધુએ ભિક્ષા માગ્યા બાદ રકઝક કરી માથામાં બોથર્ડ પદાર્થ મારી બાઇક પર ભાગી ગયાની પોલીસમાં ફરિયાદનોંધાઇ છે.

જયશ્રીબેન સાવલીયા પોતાની પુત્રી અકશા અને પાયલ સાથે ઘરે હતી ત્યારે ધોતી અને ચહેરા પર ભભૂત લગાવેલા બે સાધુ આવીને રૂ .૧૦૦ની માગણી કરી હતી. જયશ્રીબેને રૂ.૧૦૦ ન આપતા રૂ.૫૦ માગ્યા હતા. પણ જયશ્રીબેને ભિક્ષા આપવાની ઘસીને ના કહેતા બંને સાધુ ઉશ્કેરાયા હતા અને માથામાં બોથર્ડ પદાર્થ મારી બંને બાળકીને કોઇને ન કહેવા ધમકી દઇ બાઇક પર આટકોટ તરફ ભાગી ગયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા જયશ્રીબેન ઢળી પડયાની બંને બાળકીઓએ બાજુમાં રહેતા પોતાના દાદી નંદુબેનને જાણ કરી હતી અને ખેતરે કામ કરવા ગયેલા જયશ્રીબેનના પતિ અશોકભાઇ સાવલીયાને બોલાવ્યા બાદ સારવાર માટે જસદણ હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા જયશ્રીબેન સાવલીયાનું મોત નીપજ્યું હતું.

આટકોટ પોલીસે બંને અજાણ્યા સાધુ સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી લેવા નાકાબંધી કરાવી પી.એસ.આઇ. એ.વી.જાડેજાએ તપાસ હાથધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.