Abtak Media Google News

ઠાકોર સાહેબ માંધાતાસિંહજી અને યુવરાજ સાહેબ જયદીપસિંહજી પેલેસ પ્રાંગણમાં સાંજે પાંચ વાગ્યે શસ્ત્રપૂજન, અશ્વપૂજન, રથપૂજન કરશે

આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયના પાવન પર્વ વિજયા દસમી-દશેરાનું મહત્વ ક્ષત્રીય સમાજ માટે અનેરું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ રાજ પરિવાર અને ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલના ઉપક્રમે દશેરાના દિવસે શસ્ત્રપૂજન, શોભાયાત્રાનું આયોજન કરાયું છે.

ચંદ્રસિંહ ભાડવા સ્ટડી સર્કલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હરભમજીરાજ ગરાસિયા બોર્ડીંગ રાજપૂતપરા ખાતે બપોરે ૨-૩૦ વાગ્યે સમાજના અગ્રણીઓ, વડીલો, અને યુવાનો અને વિવિધ સંસ્થાના હોદ્દેદારો સૌ કોઇ એકઠા થશે.  જ્યાં ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સામૂહિક શસ્ત્રપૂજન થશે. સંસ્થાઓ પૈકી ગજકેસરી ફાઉન્ડેશનના યુવા સદસ્યો યુવરાજસાહેબ જયદિપસિંહજી જાડેજાની સાથે બાલભવનથી બપોરે ૧-૩૦ કલાકે નીકળશે અને હરભમજીરાજ ગરાસિયા બોર્ડીંગ ખાતે ૩-૦૦ વાગ્યે પહોંચશે. ત્યાં ક્ષત્રીય સમાજના સામૂહિક શસ્ત્રપૂજનમાં જોડાશે.

01 1

બપોરે ૪ વાગ્યે રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજસાહેબ જયદીપસિંહજી જાડેજા તથા સમસ્ત ક્ષત્રીય સમાજની ઉપસ્થિતિમાં એક શોભાયાત્રા હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય,રજપૂત પરાથી નીકળશે. સૌ કોઇ એમાં પરંપરાગત પોષાકમાં સજ્જ થઇને ઉપસ્થિત રહેશે. આ શોભાયાત્રા પેલેસરોડ સ્થિત આશાપુરા માતાના મંદિરે પહોંચશે. માતાજીના દર્શન કર્યા બાદ સૌ કોઇ રણજિત વિલાસ પેલેસના પ્રાંગણમાં એકઠા થશે. જ્યાં  ઠાકોર સાહેબ માધાંતાસિંહજી જાડેજા અને યુવરાજ સાહેબ શસ્ત્રપૂજન, અશ્વપૂજન અને રથપૂજન કરશે.

આ કાર્યક્રમમાં જાણીતા લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડ અને રાજભા ગઢવી ઉપસ્થિત રહેશે. બોર્ડીંગમાં શસ્ત્રપૂજન,શોભાયાત્રા અને પેલેસમાં યોજાનારા શસ્ત્રપૂજન,અશ્વપૂજન અને રથપૂજનમાં  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સમસ્ત ક્ષત્રીય સમાજને  રાજ પરિવાર તેમ જ ચંદ્દ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ દ્વારા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.