Abtak Media Google News

૩૦થી ત્રણ દિવસ રાજ્યની તમામ જિલ્લા પંચાયતો-મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં પોષણ અભિયાનના કાર્યક્રમો યોજાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતના નિર્માણની નેમ વ્યકત કરી છે. મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ભૌતિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાત તમામ ક્ષેત્રોમાં નંબર વન છે. હવે, માનવ વિકાસની દિશામાં પણ ગુજરાતને અગ્રેસર બનાવવુ છે. વડાપ્રધાને આપેલા સહી પોષણ, દેશ રોશનને ચરિતાર્થ કરવા માટે ગુજરાત પાછી પાની નહી કરે એમ તેમણે આ અભિયાનમાં જોડાવા માટે સમાજને આહ્વાન કરતા ઉમેર્યુ હતું.

પોષણ અભિયાનના સંવાહક એવા ત્રીપલ એ (એએએ) એટલે કે, આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને એએનએમ વર્કરને ત્રિવેણી પુરસ્કાર આપવાની ઘોષણા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ એક વર્ષ દરમિયાન તમામ બાળકોને સુપોષિત કરનારી આંગણવાડીના કાર્યકરને રૂ. ૧૨ હજાર, તેડાગર બહેનને રૂ. ૬ હજાર, આશા વર્કર અને એએનએમ વર્કરને રૂ. ૧૨-૧૨ હજારનો પુરસ્કાર આપવામાં આવશે. આમ કુલ રૂ. ૪૨ હજારનો પુરસ્કાર આપવામાં આવશે. રાજ્યની તમામ આંગણવાડીને તેમા આવરી લેવામાં આવશે.

મુખ્યમંત્રી રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે, ગુજરાતમાંથી કુપોષણને નેસ્તાનાબૂદ કરવા માટે અનેક કદમ ઉઠાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે મહિલા અને બાલ વિકાસ વિભાગને અલાયદો બનાવી તેના બજેટમાં રૂ. ૪૦૦ કરોડમાંથી વધારો કરી રૂ. ૩૦૦૦ કરોડ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કિશોરી, સગર્ભા માતા, ધાત્રી માતા, બાળક એમ તમામ સ્તરે પોષણ મળી રહે એ માટે યોજનાઓ શરૂ કરી છે અને વ્યવસ્થાઓ વિકાસાવી તેને અમલી બનાવી છે. કિશોરીઓ એનેમિયામાંથી મુક્ત થાય એ માટે દવાઓ આપવામાં આવે છે. તેમના માટે પ્રિમિક્સ આહાર આપવામાં આવે છે. કિશોરી ભવિષ્યની માતા છે. જો કિશોરાવસ્થાથી જ કુપોષણ નાબૂદ થઇ જાય તો તે તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે.

Admin 3

મુખ્યમંત્રીએ સગર્ભા માતાઓની રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી દરકાર અંગેની માહિતી આપતા જણાવ્યું કે, ગર્ભાવસ્થાના પ્રથમ બે માસથી જ તેમની આશા વર્કરો દ્વારા નોંધણી કરવામાં આવે છે. એ બાદ તેમને પૂરક અને પોષક આહાર આપવામાં આવે છે. પાયલોટ પ્રોજેક્ટના તાલુકાઓમાં સગર્ભા માતાઓને આંગણવાડી ખાતે એક ટાઇમનું ભોજન આપવામાં આવે છે. સાથે, તેની દરેક તબક્કે તબીબી તપાસ કરવામાં આવે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, બાળકનો જન્મ થાય એટલે તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવે છે. ઉંચાઇ અને વજનના આધારે તપાસ કરતા જો તે કુપોષિત જણાય તો તુરંત સારવાર આપવામાં આવે છે. તેનું રસીકરણ કરવામાં આવે છે. બાળકોને તેમની માતા સાથે, બાલ સંજીવની કેન્દ્રમાં રાખવામાં આવે છે. આનુષાંગિક તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

રૂપાણીએ જણાવ્યું કે, આજનું બાળક આવતી કાલના ભારતનું ભવિષ્ય છે. આ ભવિષ્યને આપણે સૌએ સાથે મળીને ઉજ્જવળ બનાવવું છે. આ માટે ગુજરાતમાંથી કુપોષણે સંપૂર્ણપણે નાબૂદ કરી, સુપોષિત બનાવવું છે.

આંગણવાડી કાર્યકરો, પૂર્ણા સખીઓ અને આરોગ્યની મહિલા કર્મચારીઓને હ્રદયસ્પર્શી અપીલ કરતા વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ભારતનું ભવિષ્ય તમારા ખોળામાં રમે છે. તમારે યશોદા માતાની જેમ આ બાળકોની સંભાળ લેવાની છે. તેમના આહાર અને આરોગ્યનું સંભાળ રાખીને તેમને કુપોષણમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવાનું છે. પોષણ અભિયાનના તમે મહત્વપૂર્ણ અંગ છો તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ બાળકને અન્નપ્રાશન કરાવ્યું હતું. સાથે,  કિશોરીઓ અને માતાઓને ટેક હોમ રાશનનું પણ વિતરણ કર્યું હતું. મહિલા અને બાલ વિકાસ વિભાગના મેગેઝીન સહિયર ગોષ્ઠિ અને રેસીપી બૂકનું મુખ્યમંત્રીએ વિમોચન કર્યું હતું. રન ફોર પોષણમાં વિજેતા કિશોરીઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી અને મહાનુભાવો દ્વારા પાલક વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.