Abtak Media Google News

આજે વેલેન્ટાઇન ડે: સાચા પ્રેમની પ્રતિતિ કરાવતો વઢવાણનો કિસ્સો

શૂન્યમાંથી સર્જન કરનાર લાલરામભાઇ ભોજવીયાના પત્ની લલિતાબેને પ૧ વર્ષની ઉંમર ચીર વિદાય લીધા બાદ તેની સ્મૃતિમાં ખોડુ ગામે બનાવાયુ ભવ્ય વૃઘ્ધાશ્રમ પણ બનાવાયુ

ઝાલાવાડમાં પ્રેમની પરંપરાનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વઢવાણ તાલુકાના ખધેલી ગામ પાસે એક પતિએ મૃત પત્નીની યાદમાં તેની પ્રતિમા સાથેનું પ્રેમમંદિર બનાવ્યું છે.

અહીં રોજ પૂજા- અર્ચના કરવામાં આવે છે. આજે ઉજવાનારા વેલેન્ટાઇન્સ ડેના સંદર્ભમાં આ કિસ્સો પવિત્ર પ્રેમની મિસાલરૂપ બની રહ્યો છે. વાત છે વઢવાણના ખોડુ ગામના લાલારામભાઈની. ગામમાં દાતણ વેચી પરિવારનું ગુજરાત ચલાવતા દેવીપૂજક લાલારામ ભોજવિયા કમાણી માટે પત્ની લલિતાબહેન સાથે દિલ્હી પહોંચ્યા.

અહીંયાં તેમનું નસીબ જોર કરી ગયું અને એન્ટિક વસ્તુના વેપારમાં કાંઠું કાઢ્યું. જાણે કુદરતને આ દંપતીનું સફળ દાંપત્યજીવન પસંદ ના હોય એમ લલિતાબેન (૫૧) બીમારીમાં પટકાયાં અને ટૂંકી માંદગી બાદ તેમનું અવસાન થયું. પત્નીના કાયમી સંભારણા માટે કાંઈક કરવાની લાલારામભાઈને ઇચ્છા થઈ અને દુધરેજના નગરાગામ વચ્ચે ૪ એકર જમીન ખરીદી હતી. જેની પર ૧૫ વર્ષ પૂર્વે રૂ. ૨ કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવી તેમાં પત્નીની યાદમાં મંદિર બનાવ્યું અને તેમાં લલિતાબહેનની મૂર્તિ સ્વરૂપ પ્રતિમાની સ્થાપના કરી.

આ મૂર્તિની પૂજા-અર્ચના કરીને લાલારામભાઈએ જાણે સાચા અર્થમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી સાર્થક કરી રહ્યા છે.

વઢવાણ-ખોડુ રોડ પર લલિતાબહેન વૃદ્ધાશ્રમ બનાવાયુ છે. લાલરામભાઈએ જણાવ્યું કે હાલ વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધોને રહેવા અને  ભોજન સહિતની સુવિધા મળે છે પરંતુ હું ન હોઉં તોપણ આ વૃદ્ધાશ્રમ નિ:શુલ્ક અને વધુ લોકોને ઉપયોગી થાય તેવી ઇચ્છા છે. હાલ ૬૫ વર્ષ હોવા છતાં લાલરામભાઈ આ માટે પરિશ્રમ કરી રહ્યા છે.

પતિ-પત્નીને લોકો કાયમ યાદ રાખે તેવી ઇચ્છાથી પ્રેમ મંદિર બનાવ્યું

ખોડુ ગામના લાલારામભાઈનાં લગ્ન મૂળી તાલુકાના પાંડવરા ગામનાં લલિતાબહેન સાથે થયાં હતાં. તેમના સુખી દાંપત્યજીવનમાં ૩ દીકરા-દીકરીનો જન્મ થયો હતો, ૫૧ વર્ષની ઉંમરે લલિતાબહેનનું મૃત્યુ થતાં પત્ની સાથે આજીવન ન રહ્યાનું દુ:ખ અને વસવસો તેમના મનમાં સતત રહ્યો. તેઓ લલિતાબહેનને કાયમ કહેતા કે કાંઈક એવું કરો કે જેથી મને અને તમને કોઈ યાદ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.