Abtak Media Google News

પ્રથમ તબક્કામાં સાસણ અને ગીર ના ગામડાની ૫૦ બહેનો પોતાનું ઘર સજાવીને દેશ-વિદેશના મહેમાનોને આવકારશે: ગીરની બહેનો ઇન્ટરનેટ અને સ્માર્ટફોન એપ. વિશે પ્રશિક્ષિત થઈ વિકસી રહેલા પ્રવાસન સેકટરના હિસ્સેદાર બને : રેખાબહેન શર્મા

જુનાગઢ ગીરમાં મહિલાઓ ગાઈડ બન્યા પછી હવે દેશ વિદેશના પ્રવાસીઓને આવકારવા સજ્જ થઈ છે. મિઝોરમ  અને મણિપુર માં હોમ સ્ટે પ્રોજેક્ટ મંજૂર કર્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે ગુજરાતમાં નર્મદા અને હવે સાસણ અને ગીર આસપાસના ગામડાઓની મહિલાઓને પગભર કરવા હોમ સ્ટે પ્રોજેક્ટને લીલીઝંડી આપી છે.

 રાષ્ટ્રીય મહિલા આયોગ ના ચેર પર્સન સુ રેખાબેન શર્માએ આજે સાસણની મુલાકાત લીધી હતી. સાસણના આસપાસની ગામોની પચાસ બહેનો સાથે સંવાદ સાધી ને રાષ્ટ્રીય મહિલા આયોગે ઈન્ટરનેશનલ કંપની સાથે કરેલ એમયુ અંગેની સમજણ આપી આ પ્રોજેક્ટથી બહેનો કઈ રીતે પગભર થઈ શકશે તેની પ્રાથમિક જાણકારી આપી હતી.

તેમણે ગીરની બહેનોને કહ્યું હતું કે કમિશન મહિલાઓને આર્થિક રીતે સમૃદ્ધ કરવા  કટિબદ્ધ છે.મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે અને મુશ્કેલીની સ્થિતિમાં પોતે પગભર હોય તો આપોઆપ એને વધારે સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. હોમ સ્ટે પ્રોજેક્ટમાં ઘરે બેઠા જ મહિલાઓ સારી એવી આવક મેળવી શકશે. તેઓએ વધુમાં કહ્યું કે આતિથ્યભાવ એ આપણી સંસ્કૃતિમાં રહેલો છે અને સૌરાષ્ટ્રમાં તો તેનું વિશેષ મહત્ત્વ છે. પ્રોજેક્ટમાં નોંધણી કર્યા પછી બહેનો તેમનું ઘર સજાવે ,સ્વચ્છ રાખે અને ઇન્ટરનેટ , ઇમેઇલ, સ્માર્ટફોન એપ્લિકેશન અને ભાષા અંગેની થોડી નિપુણતા ટ્રેનિંગમાં હાજરી આપીને નિપુણતા મેળવે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગીરમાં વધારે સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય બહેનોને આ પ્રોજેક્ટમાં ફાયદો થશે અને ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટમાં બહેનોને તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી બતાવવામાં આવી છે  તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા મતી લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે ત્યારે ગીર ના ગામો માટેનો આ પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક પીછું ઉમેરશે.લીલાબેને અન્ય રાજ્યમાં આ પ્રોજેક્ટને લીધે મહિલાઓને કઈ રીતે સફળતા મળી છે તેની માહિતી આપી ગુજરાતમાં જે રીતે નારી અદાલતો સફળ થઇ છે તે રીતે હવે નેશનલ કમિશન દેશભરમાં નારી અદાલત શરૂ કરવા જઇ રહ્યું છે તે અંગે પણ માહિતી આપી હતી.મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણની યોજનાઓની ફળશ્રુતિ પણ કહી હતી.

આ પ્રસંગે અઈંછ બક્ષબ કંપનીના પ્રતિનિધિ વિનીતા દિક્ષિતે તાલીમાર્થી બહેનોને કઈ રીતે મહેમાનો ઇન્ટરનેટના માધ્યમથી બુકિંગ કરાવે છે અને ગૃહ સજાવટમાં કઈ બાબતનું ધ્યાન રાખવું તેમજ રસોઈ, સ્વચ્છતા, સ્થાનિક રીતરિવાજો સંસ્કૃતિ વિશે મહેમાનોને માહિતીનું આદાન-પ્રદાન કઈ રીતે કરવું તે અંગે સમજણ આપી હતી. સાસણના  ડીસીએફ ડો. મોહન રામે ગીરમા વનવિભાગના સંકલન હેઠળ બહેનોને જે રોજગારીની તકો આપવામાં આવી છે તે અંગે માહિતી આપી હતી.ગુજરાત ટુરીઝમ નિગમના મેનેજર  મુકુંદભાઈ જોશી અને આસિસ્ટન્ટ મેનેજર  અજરાબેન શેખે પ્રવાસન નિગમ ૨૦૧૪થી મહિલાઓ પ્રવાસન ના માધ્યમથી  આગળ આવે તે માટે કામ કરી રહ્યું છે તેની માહિતી આપી ગીરમાં બહેનોને તમામ પ્રકારની મદદ કરવા તૈયારી બતાવી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત મહિલા આયોગના સભ્ય સચિવ  વીણાબેન પટેલ, નેશનલ વુમન કમિશનના લીગલ એક્સપર્ટ ડેબલીના બેનર્જી, પ્રાંત અધિકારી  જીજ્ઞાબેન દલાલ, જૂનાગઢના દહેજ પ્રતિબંધક અધિકારી ડો. મનિષાબેન મુલતાણી, મહિલા બાળ કલ્યાણ અધિકારી  જે.બી જસાણી, રાજકોટના જનકસિંહ નારી અદાલત ના  મયુરીબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન  શારદાબેનેએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.