Abtak Media Google News

વિકાસવાદ અને રાષ્ટ્રવાદને લઇ મોદી સુનામી દેશભરમાં ફરી વળી

વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનાં લોકોની કુશળ રાજકિય બુદ્ધિ શકિત સતત બીજી વખત લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી આપી

ઉત્તરપ્રદેશમાં ન મહાગઠબંધનનો ગાજ વાગ્યો કે ન પ્રિયંકા ગાંધીની આંધી ચાલી: દેશભરમાં ફરી એક વખત મોદી મેજીક: વિપક્ષનાં સુપડા સાફ

વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વ સમાન યોજાયેલી લોકસભા ચુંટણીની આજે મતગણતરી હાથ ધરાય હતી. આ મતગણતરીમાં એકઝીટ પોલમાં વ્યકિત થયેલી સંભાવનાઓ મુજબ ભાજપની આગેવાનીવાળુ એનડીએ મેદાન મારી રહ્યાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. જેથી, ૧૭મી લોકસભામાં ફરી એકવખત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકાર રચે તે નિશ્ર્ચિત થઇ ચુકયું છે. લોકસભાની પ૪ર બેઠકો માટે આવી રહેલા સહયોગી પક્ષોની લ્હેર જોવા મળી રહી છે. જેથી કેન્દ્રમાં ફરી એક વખત મોદી સરકાર બનવા જઈ રહી છે.  ભાજપ એકલા હાથે બહુમતિ માટેના ર૭રના મેજીક ફીગરને પાર કરી ૨૯૭ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

૧૭મી લોકસભાની રચના માટે સાત તબકકામાં ચુંટણી યોજાઇ હતી. ૧૧ એપ્રિલના પ્રથમ તબકકા સાથે શરુ થયેલી ચુંટણી પ્રક્રિયા ૧૯ મેના આખરી સાતમા તબકકા સાથે પુર્ણ થઇ હતી. જેનો મતગણતરી દેશભરમાં આજે યોજાઇ રહી છે. જેમાં પ્રારંભિક તબકકાથી જ ભાજપ પ્રેરિત એનડીએના સાથે પક્ષો આગળ રહ્યા હતા. લોકસભામાં સૌથી વધારે બેઠક ધરાવતા ઉત્તરપ્રદેશની ૮૦ માંથી ભાજપ ૫૯ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. સપા, બસપા ગઠ્ઠબંધન ૧૯ બેઠકો પર જયારે કોંગ્રેસ બે બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ઉત્તરપ્રદેશના આ પરિણામોએ ભાજપ સામે સપા-બસપા ગઠ્ઠબંધનને જોઇએ તેટલી સફળતા મળી નથી તેમ કહી શકાય.બિહારની ૪૦ બેઠકોમાં પણ ભાજપ સહીત એનડીએને ભારે સફળતા મળતી જોવા મળી રહી છે.

જે પરિણામો આવી રહ્યા છે. તેમાં ૩૭ બેઠકો પર ભાજપ અને જેડીયુ જયારે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ માત્ર ર બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. બિહારના પરિણામોના એકઝીટ પોલમાં મળ્યા હતા તે જ પ્રમાણે આવી રહ્યા છે. જયારે તાજેતરમાં યોજાયેલ રાજય વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસે જે રાજયોની સત્તા આંચકી લીધી હતી. તેવા મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ભાજપનો કેસરીયોદ છવાઇ જવા પામ્યો છે. મઘ્યપ્રદેશની ર૯ બેઠકોમાંથી ર૮ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. જયારે કોંગ્રેસ માત્ર ૧ બેઠક પર જ આગળ ચાલી રહ્યું છે. રાજસ્થાનની રપ બેઠકોમાંથી તમામ બેઠકોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.

તેવી જ રીતે છત્તીસગઢમાં ૧૧ બેઠકોમાંથી ભાજપ ૧૦ બેઠકો પર જયારે કોંગ્રેસ ૧ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તેવી હરિયાણાની ૧૦ બેઠકોમાંથી તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ઉત્તરાખંડની પ બેઠકોમાંથી ૫ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. હિમાચલ પ્રદેશની ૪ બેઠકોમાંથી તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ઝારખંડની ૧૪બેઠકોમાંથી ૧૧ બેઠકો પર ભાજપ આગળ છે. જયારે કોંગ્રેસ ૩ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. દિલ્હીની  ૭ બેઠકોમાંથી તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. આમ હિન્દી પટ્ટાના તમામ રાજયોમાં ભાજપ આગળ ચાલી રહ્યું હોય અને આ રાજયોમાં મોટાભાગે ભાજપ એકલે હાથે અથવા મોટાપક્ષ તરીકે ચુંટણી લડયું હોય ભાજપને એકલે હાથે સ્પષ્ટ બહુમતિ મળવા જઈ રહી છે.

મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ૪૨ બેઠકો પર ભાજપ અને શિવસેના જયારે કોંગ્રેસ અને એનસીપી ૪ બેઠકો પર, જયારે અન્ય ૨ બેઠકો  આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની તમામ ૨૬ બેઠકોમાંથી તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. જયારે, પંજાબમાં પણ એકઝીટ પોલના સંકેતો મુજબ ૧૩ બેઠકોમાંથી કોંગ્રેસ ૮ બેઠકો પર, ભાજપ અને અકાલીદળ ૪ બેઠકો પર જયારે આપ ૧ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીરની ૬ બેઠકોમાંથી યુપીએ ૩ બેઠકો પર ભાજપ ૩ બેઠક પર આગળ ચાલી રહ્યા છે. જેથી ઉત્તર અને મઘ્યભારતમાં ભાજપનો ભગવો ફરીથી લહેરાઈ જવા પામ્યો છે.

પશ્ર્ચિર બંગાળમાં ર૦૧૪ની ચુંટણીમાં માત્ર એક જ બેઠક મળવી શકનારા ભાજપે લાંબા સમયથી આ રાજય પર ઘ્યાન કેન્દ્રીત કર્યુ હતું. ભાજપની આ મહેનતને સારો પ્રતિભાવ મળી રહ્યો હોય તેમ રાજયની ૪ર માંથી ભાજપ ૧૮ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જયારે મમતા દીદીની તૃણમુલ ર૩ બેઠકો પર કોંય્રેસ માત્ર ૧ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. તેવી જ રીતે ઓરિસ્સાની ર૧ બેઠકોમાંથી ૫ બેઠકો  પર ભાજપ જયારે ૧૬ બેઠકો પર બીજુ જનતા દળ આગળ ચાલી રહ્યું છે.

જેવી જ રીતે કર્ણાટકની ર૮ બેઠકોમાંથી ૨૪ બેઠકો પર ભાજપ જયારે સત્તાધારી કોંગ્રેસ અને જનતા દળ (યુ) માત્ર ૩ બેઠકો પર જયારે અન્ય ૧ પર આગળ ચાલી રહ્યું છે.  તેલંગણામાં ૮ સીટો પર સત્તાધારી ટીઆરએસનો દબદબો જળવાતો જોવા મળી રહ્યો છે. અહીં ભાજપ માત્ર ૪ બેઠકો પર જયારે યુપીએ ૪ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. આંધપ્રદેશની રપ બેઠકોમાંથી વાયએસઆર કોંગ્રેસનો ૨૩ બેઠકો પર દબદબો જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસ અને સત્તાધારી તેલુગુ દેશમ ૨ બેઠકો ઉપર આગળ ચાલી રહ્યાં છે.

દક્ષિણના સૌથી મોટા રાજય તમિલનાડુની ૩૯ બેઠકોમાંથી ૩૬ પર ડીએમકે એટલે કે યુપીએ આગળ ચાલી રહ્યું છે. જયારે એઆઇડીએમકે ૨ બેઠકો પર આગળ છે. કેરળની ર૦ બેઠકો માંથી ૧૯ બેઠકો પર કોંગ્રેસ જયારે મુસ્લિમ લીગ ૧ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. તેવી જ રીતે પૂર્વોત્તર ભારતની ૧૧૬ બેઠકોમાંથી ૭૪ બેઠકો પર એનડીએ, ૮ બેઠકો  યુપીએ અને ૩૫ બેઠકો પર અન્ય પક્ષો આગળ ચાલી રહ્યા છે. જેથી દક્ષિણના રાજયોમાં કર્ણાટક અને ઓરિસ્સાને બાદ કરતા અન્ય રાજયોમાં કોંગ્રેસ અને પ્રાદેશીક પક્ષોની બોલબોલા જોવા મળી છે.

સમગ્ર દેશમાંથી આવી રહેલા પરિણામોમાં લોકસભાની ૫૪૨ બેઠકોમાંથી એનડીએનો ૩૫૦ બેઠકો યુપીએને ૮૭ બેઠકો જયારે અન્ય પક્ષોને ૧૦૫ બેઠકો પ્રાપ્ત થઇ રહી છે. જેથી આ પરિણામો એનડીએ માટે ૨૦૧૪ ની લોકસભાના પરિણામો કરતા સારા પણ પરિણામો સાબિત થઇ રહ્યા છે. આ પરિણામો ભાજપને સ્પષ્ટ બહુમતિ માટે જરુરી ૨૭૪ ના મેજીક ફીગરને આસાનથી પાર કરી ૩૦૦ની આસપાસ પહોંચી ગયું છે.  જેથી દેશમાં ફરી એક વખત મોદી સરકાર રચાય તેવા સ્પષ્ટ થઇ થવા પામ્યું છે. આ શ્રેષ્ઠ પરિણામથી ભાજપ અને એનડીએની છાવણીમાં હર્ષની લાગણી ફેલાઇ જવા પામી છે.

નરેન્દ્ર મોદી સોમવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના

વડાપ્રધાને કાલે મંત્રીમંડળની બેઠક બોલાવી: ૧૬મી લોકસભા ભંગનો પ્રસ્તાવ પસાર કરાશે: સાંજે સંસદીય બોર્ડની બેઠક બાદ નરેન્દ્ર મોદી કાર્યકરોને સંબોધશે

૨૦૧૪ની સરખામણીએ વધુ બેઠક અને મજબુત સાથીદાર સાથે નરેન્દ્રભાઈ મોદી ફરી એક વખત દિલ્હીની ગાદીના સરતાજ બનવા જઈ રહ્યા છે તેઓ આગામી સોમવારે ફરી વડાપ્રધાનપદે શપથ લ્યે તેવી સંભાવના જણાઈ રહી છે. તેઓ સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે અને ત્યારબાદ કાર્યકરોને સંબોધન કરશે. કાલે મંત્રી મંડળની બેઠક બોલાવવામાં આવી છે જેમાં ૧૬મી લોકસભાને ભંગ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. દેશની જનતાએ ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદી પર વિશ્ર્વાસ મુકતા ભાજપને રેકોર્ડબ્રેક ૩૦૦થી વધુ બેઠકો પર જીત અપાવી છે. આજે ૫૪૨ બેઠકોની મતગણતરી ચાલી રહી છે જેમાં ભાજપને ૩૫૨ બેઠકો મળી રહી છે. ફરી સ્પષ્ટ બહુમતી મળતાં ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવવા આગળ વધી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવતીકાલે શુક્રવારે મંત્રીમંડળનાં સભ્યોની બેઠક બોલાવી છે જેમાં ૧૬મી લોકસભાને ભંગ કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવશે અને તેની જાણ રાષ્ટ્રપતિને કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નવી સરકાર રચવા માટે આમંત્રણ મળ્યા બાદ સંભવત ૨૭મી મે એટલે કે સોમવારનાં રોજ વડાપ્રધાનપદે ફરી નરેન્દ્રભાઈ મોદી શપથ લે તેવી સંભાવના જણાઈ રહી છે. દરમિયાન આજે સાંજે તેઓએ સંસદીય દળની બેઠક બોલાવી છે. સંસદીય દળનાં નેતા તરીકે સર્વાનુમતે ચુંટાયા બાદ તેઓ કાર્યકરોને સંબોધિત કરશે.

અમેઠી બેઠક પર રાહુલ ગાંધી હાર ભણી: વાયનાડમાં જીત્યા

અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે રાહુલ ગાંધી ૯૦૦૦ મતોથી પાછળ

કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ઉતરપ્રદેશની અમેઠી બેઠક જે આઝાદીકાળથી ગાંધી પરિવાર માટે પરંપરાગત માનવામાં આવી રહી છે તે બેઠક પરથી હારે તેવી હાલ સંભાવના વર્તાય રહી છે. અમેઠી બેઠક પર રાહુલ ગાંધી ૯૦૦૦ મતોથી પાછળ ચાલી રહ્યા છે. આ બેઠક પર ભાજપનાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચે ભારે કસમકસ ચાલી રહ્યો છે. મતગણતરીનાં એક રાઉન્ડમાં રાહુલ તો એક રાઉન્ડમાં સ્મૃતિ ઈરાની આગળ નિકળી જાય છે. રાહુલ ગાંધી કેરલની વાયનાડ બેઠક પરથી ચુંટણી જીતી ચુકયા છે જોકે અમેઠી બેઠક પર તેઓની હારની સંભાવના વધુ જણાઈ રહી છે.

૨૦૧૪ કરતાં ભાજપનું વધુ સારું પરિણામ કોંગ્રેસની મહામહેનત છતાં માત્ર ૮ બેઠકો જ વધી એનડીએને ૨૦૧૪ કરતાં ૧૫ બેઠકો વધુ મળી: ભાજપ ૩૦૦ બેઠકોની નજીક

૧૭મી લોકસભાની ચુંટણીમાં ભાજપ વધુ સારા પરિણામ સાથે કેન્દ્રમાં ફરી સરકાર બનાવવા જઈ રહ્યું છે. ભાજપને સતાથી દુર રાખવા અને ફરી સતામાં આવવા માટે કોંગ્રેસે કરેલી મહામહેનત પર પાણી ફરી વળ્યું છે. ૨૦૧૪ની સરખામણીએ કોંગ્રેસની બેઠકોમાં માત્ર ૮નો વધારો થયો છે. બીજી વખત પણ કોંગ્રેસ વિરોધ પક્ષનાં નેતા પદથી વંચિત રહે તેવો જનાદેશ દેશની જનતાએ આપ્યો છે તો એનડીએની બેઠકો ૨૦૧૪ કરતાં ૧૫ બેઠકો વધી જવા પામી છે.

એકિઝટ પોલમાં ફરી કેન્દ્રમાં મોદી સરકાર રચાતી હોવાનો અંદાજ આપી દેવામાં આવ્યો હતો પરંતુ આટલી તોતીંગ લીડ સાથે ભાજપ સતામાં આવશે તેવું માનવામાં આવતું ન હતું. આજે જાહેર થયેલા ચુંટણી પરીણામોમાં ૫૪૩ પૈકી ૫૪૨ બેઠકોમાંથી હાલ ભાજપ અને સાથી પક્ષોને ૩૫૦ જેટલી બેઠકો પ્રાપ્ત થઈ રહી છે તો સામાપક્ષે કોંગ્રેસ સાથી પક્ષો સાથે પણ ૩ આંકડાઓ સુધી પહોંચતો નથી. અન્યનાં ફાળે ૧૦૭ બેઠકો આવી રહી છે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં ભાજપને ૨૮૨ અને એનડીએને ૩૩૫ બેઠકો પ્રાપ્ત થઈ હતી જયારે ૨૦૧૯ની ચુંટણીમાં ભાજપ સારા પરીણામ સાથે ફરી સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.

ભાજપને એકલા હાથે ૩૦૦ જેટલી બેઠકો મળે તેવું હાલ દેખાઈ રહ્યું છે તો સામાપક્ષે વિરોધ પક્ષનાં નેતા બનવા માટે જરૂરી એવી ૫૮ બેઠકો પ્રાપ્ત કરવામાં પણ હાલ કોંગ્રેસ નિષ્ફળ જતું હોય તેવું લાગી રહ્યું છે. હાલ એનડીએને ૩૪૯ બેઠકો મળે છે જેમાં ભાજપનાં ફાળે ૨૯૯, શિવસેનાને ૧૮, જેડીયુને ૧૫, એઆઈએડીએમકેને ૧૨ અને અન્ય સાથી પક્ષોને ૧૫ બેઠકો પ્રાપ્ત થઈ રહી છે તો સામાપક્ષે યુપીએમાં કોંગ્રેસને ૫૨, ડીએમકેને ૨૨, એનસીપીને ૫ અને અન્ય રાજકિય પક્ષોને ૮ બેઠકો પ્રાપ્ત થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.