Abtak Media Google News

શાસનની સેવામાં સંતાનને અર્પણ કરનારા માતા-પિતા, સ્વજન કે પરિજન સહુ ધન્ય બની જતાં હોય છે.

સંયમ જીવનમાં સંતોષના કાઉન્ટ વધારે હોય, સંસાર જીવનમાં અફસોસના કાઉન્ટ વધારે હોય – રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

સત્વશીલતા, સંયમની સાધના, સિદ્ધિઓ અને જ્ઞાનના ઊંચા ઊંચા શિખરો પર બિરાજમાન થઈને અનેક અનેક આત્માઓના આત્મકલ્યાણ માટે આધારસ્તંભ બની રહેલાં દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ઓર બે આત્માઓને આત્મશુદ્ધિના શિખર તરફ લઈ જવા માટે દીક્ષાના દાન આપવા જઈ રહ્યાં છે ત્યારે ચાલી રહેલી સંયમલક્ષી પ્રવચનધારામાં ભીંજાઈને અનેક અનેક ભાવિકો ધન્ય બની રહ્યાં છે.

Photo 2018 11 29 09 48 41રાજકોટ સ્થિત શ્રી અંબિકા પાર્ક સોસાયટીમાં આયોજિત મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને શ્રી આરાધનાબેન ડેલીવાલાના સંયમ અનુમોદના અવસરે વહેલી સવારની ગુલાબી ઠંડીના વહેતાં વાયરાઓ વચ્ચે ખુલ્લા આકાશની નીચે ભાવિકોને સંયમ ધર્મનું મહત્વ દર્શાવતાં રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ કહ્યું હતું કે, જે પરિવાર, જે માતા-પિતા, જે સ્વજનો પોતાના સંતાનને, પોતાના સ્વજનને શાસનની સેવામાં અર્પણ કરે છે ત્યારે તે પરિવાર, તે સ્વજન દરેક પરિજન ધન્ય બની જતાં હોય છે. અને એવા સંયમી સંતાનના દર્શને હાથ ક્યારેય જોડવાનો પ્રયત્ન નથી કરવો પડતો પરંતુ હાથ સહજતાથી જ જોડાઈ જતાં હોય છે.

કણસતાં આ જગતમાં જીવન તો અનેક અનેક જીવો જીવતાં હોય છે પરંતુ જીવતાં કોઈકને જ આવડતું હોય છે. જગતમાંથી જતાં તો અનેક અનેક જીવો હોય છે પરંતુ જતાં તો કોઈકને જ આવડતું હોય છે. કેટલાંય જીવો વેદનાની વચ્ચે કણસતાં કણસતાં જતાં હોય છે ત્યારે કોઈક જ જીવ વેદનાની વચ્ચે પણ સમાધિપૂર્વક વિદાય લેતાં હોય છે. આ જગતમાં જીવતાં કે જતાં એને જ આવડતું હોય છે જેને પોતાનો અંદરનો અવાજ સાંભળતાં આવડતો હોય છે પરંતુ એ જીવન જીવતાં કે ત્યાંથી વિદાય લેતાં એને જ આવડતું હોય છે જેને સમજણ સાથે સંયમ ગ્રહણ કર્યું હોય છે.

આ અવસરે પૂજ્ય શ્રી વિનમ્રમુનિ મહારાજ સાહેબે સંયમના સંયમ જીવનની અનુભૂતિની અભિવ્યક્તિ કરતાં કહ્યું હતું કે, સુખમાંથી મળતી ટેમ્પરરી પ્રસન્નતા તે સંસાર હોય છે પરંતુ ત્યાગમાંથી મળતી પરમેનન્ટ પ્રસન્નતા તે સંયમ હોય છે. સંયમના જીવનમાં સાધનાના માર્ગમાં આત્મશુદ્ધિના શિખર પર પહોંચવા માટે ગુરુ તત્વ તે રેસ્ક્યુ રોપ બનીને સહાયભૂત બનતું હોય છે.

Photo 2018 11 29 09 48 41 1

ઉપરાંતમાં આ અવસરે પૂજ્ય શ્રી પરમ જિનવરાજી મહાસતીજીએ સંયમને ઈચ્છાઓ, અપેક્ષાઓ, અવગુણો અને કર્મો સામેના યુદ્ધ તરીકે દર્શાવીને સંસારની અસારતા સમજાવી હતી.

ક્ષણ ક્ષણ સંયમના દાન મેળવવાની પ્રતીક્ષા સાથે આ અવસરે પધારેલાં મુમુક્ષુ બહેનોનું અંબિકા પાર્ક ફ્લેટ હોલ્ડર્સ અસોસીએશન એવમ્ નવકાર ગ્રુપ દ્વારા અત્યંત અહોભાવથી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.