Abtak Media Google News

મવડી ચોકડી પાસે શિવપાર્કમાં આત્મહત્યા કરતા એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ અને જેતપુરમાં ધ સાયકલોન સાયકલના વેપારીએ મવડી ચોકડી પાસે આવેલા શિવપાર્કમાં પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પટેલ પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. વેપારીએ આપઘાત શા માટે કર્યો તે અંગે તાલુકા પોલીસે તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી ચોકડી પાસે આવેલા શિવપાર્કમાં રહેતા મુકેશભાઇ મનસુખભાઇ હિરપરા નામના ૩૮ વર્ષના પટેલ યુવાને ગઇકાલે બપોરે પોતાના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું છે.

મૃતક મુકેશભાઇ હિરપરાને શહેરના મવડી ચોકડી, પાણીના ઘોડા પાસે અને જેતપુરમાં ધ સાયકલોન સાયકલના નામે વ્યવસાય કરે છે. ગઇકાલે બપોરના સાડા બાર વાગ્યા સુધી મવડી ચોકડીએ મિત્રો સાથે બેઠા હતા અને ઘરે ગયા બાદ બે વાગે ઝેરી દવા પી લેતા તેમના બનેવી શાંતીભાઇ વિરાણી અને મિત્રો સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા જયાં તેમનું મોત નીપજતા પટેલ પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. કાલાવડ પાસેના વાવડી ગામના વતની મુકેશભાઇ હિરપરા આપઘાતથી ૧૪ વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.