Abtak Media Google News

એકવીસમી સદીના ત્રીજા દાયકાનો આરંભ થઈ ચૂક્યો છે. લોકડાઉન પછી હજુ શાળા-કોલેજો પહેલાંની જેમ સંપૂર્ણ ધબકતાં થઈ શક્ય નથી. અપૂર્વ શૈક્ષણિક કટોકટીના આ માહોલમાં ભારતમાં પહેલાં નવી શિક્ષણનીતિ’ આવી અને હવે પોલિસી ઓન સ્કૂલબેગ-૨૦૨૦’ની ઘોષણા થઈ છે.

ભારતમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના લલાટે ભણતરનો ભાર લખાયેલો છે. સાવ નીચલા ધોરણમાં ભણતાં બાળકોને પણ આપણે બેવડ વળી જાય એટલાં ભારેખમ દફ્તર પીઠ પર લાદીને શાળાએ જતાં જોઈએ છીએ. છ-આઠ કલાકના શાળાશિક્ષણ પછી એટલા જ કલાકનું ગૃહકાર્ય કે પ્રાઈવેટ કોચિંગ એણે કરવાનું હોય છે. આ શારીરિક-માનસિક ભારથી ત્રસ્ત આપણાં બાળકોને બચાવવાં જોઈએ એવું સૌ કોઈ સ્વીકારે છે પણ અમલ ભાગ્યે જ થાય છે.

આંતરરાષ્ટ્રીય માનકો, દુનિયાના અન્ય દેશોના અનુભવો અને તેમની પ્રવર્તમાન સ્કૂલબેગ નીતિને અનુસરીને હવેથી ધોરણ ૧થી ૧૨ના વિદ્યાર્થીના વજનના ૧૦ ટકા વજનની જ સ્કૂલબેગ રાખવાની છે. દરેક શાળામાં ડિજિટલ વજન કાંટો રાખીને નિર્ધારિત વજનની જ સ્કૂલબેગ હોય તેની ખાતરી કરવાની છે. પ્રકાશકોએ પાઠ્યપુસ્તકોનું વજન છાપવાનું રહેશે. બાળકો શાળાની સીડી પૈડાંવાળી સ્કૂલબેગ લઈને ચઢતાં ઈજાગ્રસ્ત થતાં હોઈ શીલવાળી સ્કૂલબેગ પ્રતિબંધિત કરી છે. દફ્તરની જેમ વિઘાર્થી પર હોમવર્કનો ભાર ઘટે તે માટે હોમવર્કના કલાકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ગૃહકાર્ય વિદ્યાર્થીની રસરુચિને માફક આવે તેવું અને તેના વ્યક્તિત્વને ખીલવે તેવું આપવાનું રહેશે.

એકથી બાર ધોરણના બાળકના સરેરાશ વજન પ્રમાણે તેના દફ્તરનું વજન સરકારે પોલિસીમાં દર્શાવ્યું છે. પૂર્વ પ્રાથમિકના બાળકનું સરેરાશ વજન ૧૦થી ૧૬ કિલોગ્રામ હોવાનું જણાવી તેને નો બેગ શ્રેણીમાં મૂક્યું છે. ધોરણ ૧ અને ૨ના બાળકનું વજન ૧૬થી ૨૨ કિલોગ્રામ અને તેના દસ ટકા મુજબ દફ્તરનું વજન ૧.૬થી ૨.૨ કિલોગ્રામ, ધોરણ ૩ થી પ ના બાળકનું વજન ૧૭થી ૨૫ કિગા.અને દફ્તર ૧.૭થી ૨.૫ કિગ્રા. ધોરણ ૧૧-૧૨ના કિશોરવયના વિદ્યાર્થીનું વજન ૩૫થી ૫૦ કિગ્રા. અને દફ્તરનું વજન ૩.૫થી ૫ કિગ્રા. નક્કી કર્યું છે.

પાંચમાં રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ સર્વેક્ષણ, ૨૦૧૯-૨૦નું તારણ છે કે ઊંચાઈની તુલનાએ ઓછું વજન ધરાવતાં દુનિયાનાં ૪.૫ કરોડ બાળકોમાં ૨,૫૫ કરોડ ભારતમાં છે. ગુજરાતમાં ૫ વરસથી ઓછી ઉંમરનાં, ઉંમરના પ્રમાણમાં ઓછું વજન ધરાવતાં બાળકોનું પ્રમાણ, ૩૯.૭ ટકાગામડાંમાં ૪૩,૫ ટકા) છે. આ સ્થિતિમાં એક જ ધોરણમાં, દા.ત. પહેલામાં, કોઈ બાળક ૧૬ કિગ્રા. વજન ધરાવતું હોય તો તેનું દફ્તર ૧.૬ કિગ્રા.નું અને તે જ ધોરણના ૨૨ કિગ્રા.વજનના બાળકનું દત્તર ૨.૨ કિગ્રા.નું હોઈ શકશે? આ સ્થિતિનો સાચો ઉકેલ યશપાલ સમિતિના લર્નિગ વિધાઉટ બર્ડન રિપોર્ટમાં દર્શાવ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, બાળકોને શાળાએ દરરોજ ભારે દફ્તર લઈ જવાની ફરજ પાડીને તેમના પર ત્રાસ ગુજારવામાં કોઈ વાજબીપણું નથી. પાઠયપુસ્તકોને શાળાની મિલકત ગણવી જોઈએ અને બાળકોને વ્યક્તિગત રીતે પુસ્તકો ખરીદવાની અને રોજ શાળાએથી ઘરે લઈ જવાની જરૂર ન હોવી જોઈએ’ (પૃષ્ઠ-૨૮) તેનો કેમ અમલ થતો નથી ?

માબાપ અને વિદ્યાર્થી માટે સૌથી મોટી સમસ્યા શાળા અને ખાનગી કોચિંગ ક્લાસના હોમવર્કનો બોજ છે. ગૃહકાર્યને લીધે બાળકને રમવાનો કે આરામનો સમય ભાગ્યે જ મળે છે. બાળકોને મોટેભાગે લેખિત ગૃહકાર્ય આપવામાં આવે છે. તેનું પ્રમાણ ઘટાડીને તેને રચનાત્મક કે સર્જનાત્મક બનાવવાની ભલામણ છે. પોલિસીના પૃષ્ઠ-૫૪ પર શિક્ષકોને સર્જનાત્મક સ્વાધ્યાય ચીંધતા લખવામાં આવ્યું છે કે ધોરણ થી પનાં બાળકો કે જેમની વય આશરે ૮થી ૧૦ વરસની હશે તેમને શિક્ષક પૂછશે કે તેમણે ગઈ કાલે શાળા છૂટ્યા પછીની સાંજ કઈ રીતે વિતાવી? તેઓ સાંજના ભોજનમાં કેટલી વાનગી જમ્યાં? આ વાનગીઓમાં શું શું નાંખવામાં આવ્યું હતું? બાળકને જમવામાં શું ગમે છે અને શું નથી ગમતું? વગેરે. ભારે આર્થિક અસમાનતા ધરાવતા અને ગરીબ તથા નિમ્ન મધ્યમવર્ગની મોટી વસતી ધરાવતા દેશમાં શિક્ષકના આવા સવાલ બાળકોની સંવેદનાને હાનિ કરનારા અને શિક્ષકની નિસબતને ડામી દેનારા છે.

૨૦૨૦ની ન્યૂ એજ્યુકેશન પોલિસીનું ધ્યેય જ્ઞાન આધારિત સમાજના નિર્માસ્ત્રનું ન્યાયસંગત અનેનિધ્યક્ષ સમાજ રચવાનું. ૨૦૩૦ સુધીમાં સમતામૂલક અને સમાવેશી શિક્ષણ વ્યવસ્થા મારફ્ત સમાનતા નિશ્ચિત કરવાનુંછે, પરંતુ સ્કૂલબેગ નીતિ સામાજિક આર્થિક અસમાનતાને પોષનારી છે. તેબાળકોના શિક્ષણ પરનો ભૌતિક બોજ થોડો ઓછો કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.