Abtak Media Google News

ડુંગરપુરમાં આંદોલન સમાપ્ત થવાની જાહેરાત થતાં ગુજરાત તરફનો હાઈવે ફરીથી ખોલી દેવામાં આવ્યો

રાજસ્થાનમાં શિક્ષકોની ભરતી અંગે ઉગ્ર પ્રદર્શન રવિવારે પણ ચાલુ રહ્યું. પ્રદર્શન દરમિયાન વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં આગચંપી કરી હતી. જોકે આજે આંદોલન સમેટાઈ જતાં અમદાવાદ- ઉદયપુર હાઈવે ફરીથી ખુલી ગયો છે. ગુજરાત અને રાજસ્થાનને જોડનારા નેશનલ હાઈવે ૮ પર શામળાજી-ઉદેપુર હાઈવે પર શિક્ષકોના આંદોલનના કારણે વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. એક પાછળ એક વાહનોની લાઈન લાગી હોવાથી લોકોનું આગળ જવું મુશ્કેલ બની ગયું હતું. બે દિવસથી હાઈવે બંધ હોવાથી ૩૦ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો જેમાં વાહનચાલકો અટવાઈ ગયા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત તરફના આદિવાસી સંગઠનો દ્વારા પણ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. જેના કારણે ગુજરાતમાં પણ આંદોલનની આગ ન પહોંચે તે માટે રાજ્ય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે શામળાજી હાઈવે બંધ કરાવમાં આવ્યો હતો. બેરિકેડિંગ કરતા આખા હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. જોકે, ડુંગરપુર પાસે આંદોલન અને ધરણાં સમેટાઈ જવાની જાહેરાત થતા ગુજરાત તરફનો હાઈવે ખોલી દેવામાં આવ્યો હતો. અમદાવાદ- ઉદયપુર હાઇવે ફરી એકવાર ખુલ્લો કરતા ટ્રાફિક ઘટી રહ્યો છે. ગુજરાત પોલીસ અને રાજસ્થાન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિક હળવો કરવામાં આવી રહ્યો છે.

રવિવારે રાજસ્થાનના હિંસાગ્રસ્ત ડુંગરપુર જિલ્લામાં વિરોધ પ્રદર્શનકારીઓ અને આદિજાતિ વિકાસ મંત્રી, જન પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે સકારાત્મક બેઠક બાદ વણસેલી પરિસ્થિતિમાં સુધારો થયો હતો અને ગુરુવારેથી બંધ થયેલ ઉદેપુર-અમદાવાદ નેશનલ હાઈવેને ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવતી હિંસક ઘટનાઓમાં જાન અને સંપત્તિની સુરક્ષા માટે પોલીસે શનિવારે સાંજે ગોળીબાર કરવો પડ્યો હતો. જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતા અને બે ઘાયલ થયા હતા. વિરોધ કરનારા માંગ કરી રહ્યા હતા કે ૧૧૬૭ ખાલી જનરલ ક્વોટા બેઠકો અનુસૂચિત જનજાતિ (એસટી) કેટેગરીમાંથી ભરવામાં આવે. ઉદયપુર રેન્જના પોલીસ મહાનિર્દેશક બિનિતા ઠાકુરે જણાવ્યું કે, એકંદરે રવિવારે સ્થિતિ શાંતિપૂર્ણ હતી. ડુંગરપુરનો હાઇવે ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો છે. તેમણે જણાવ્યું કે, જોકે ઋષિભદેવના કેટલાક લોકોએ પહાડો પર ચઢીને પથ્રમારો કર્યો હતો. આવી જ ઘટના ઝાડોલમાં પણ બની છે. તેમણે કહ્યું કે પોલીસ દળ પણ ત્યાંની પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. ડુંગરપુર જિલ્લામાં વિરોધ કરનારાઓ દ્વારા હિંસક બનાવમાં ૨૪ કેસ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.