Abtak Media Google News

‘ડિજિટલ ઈન્ડિયા’ તરફ ગ્રાહકોને આકર્ષવા એસબીઆઈનું પગલુ: કલાસિક અને મૈસ્ટ્રો કાર્ડ ધારકો ૨૦ હજારથી વધુ નહિ ઉપાડી શકે

જો તમે પર એસબીઆઈના ગ્રાહક છો તો આ સમાચાર તમને પરશાન કરી શકે છે તહેવારોની મોસમમાં દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક ભારતીય સ્ટેટ બેંકે પોતાના કેટલા ખાસ કાર્ડ ધારકો માટે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું બાંધણુ કર્યું છે. આ કાર્ડ ધારકો હવે ૪૦ હજારની જગ્યાએ માત્ર ૨૦ હજાર રૂપીયા જ એક દિવસમાં એટીએમમાંથી ઉપાડી શકશે.

એટીએમમાંથી પૈસા ઉપાડવામાં થયેલુ આ બાંધણુ બેંકના કલાસીક અને મૈસ્ટ્રો કાર્ડ ધારકો માટે છે. બેંકમાં ગ્રાહકો પાસે મોટી સંખ્યામાં આ કાર્ડ છે જો કે અન્ય એસબીઆઈ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકો પહેલાની જેમજ એટીએમથી વિડ્રોલ કરી શકશે.

ભારતીય સ્ટેટ બેંકના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યાનુસાર એટીએમથી પ્રતિકાર્ડ રોકડ રકમ ઉપાડવાનું બાંધણું રૂ.૨૦ હજારથી પણ ઓછુ કરવામાં આવ્યું છે. અને આ પગલાથી છેતરપીંડીને રોકવા તથા ડિજિટલ લેવડ દેવડ વધારવામાં મદદરૂપ થશે. એસબીઆઈએ આ અંગે એક મહિના પહેલા જ સૂચના આપી હતી કે ૩૧ ઓકટોબરથી કલાસીક અને મૈસ્ટ્રો ડેબિટ કાર્ડ ધારકો એટીએમમાંથી માત્ર રૂ.૨૦ હજાર જ ઉપાડી શકશે.

મહત્વનું છે કે એસબીઆઈએ આ સંદર્ભે પોતાની વેબસાઈટ પર સંદેશ આપ્યો હતો કે કલાસીક અને મૈસ્ટ્રો ડેબીટ કાર્ડના મામલે ૩૧ ઓકટોબરથી એક દિવસમાં ૪૦ હજાર રૂપીયાની જગ્યાએ ૨૦ હજાર રૂપીયા જ ઉપાડી શકાશે. તેમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે જો તમારે ૨૦ હજારથી પણ વધારે રકમ એક દિવસમાં ઉપાડવી હોય તો તેના માટે અન્ય એક કાર્ડનું આવેદન આપવું પડશે.

આ અંગે એસબીઆઈના પ્રબંધ નિર્દેશક પી.કે. ગુપ્તાએ કહ્યું કે વિડ્રોલનું બાંધણું કરવાનો મુખ્ય હેતુ ગ્રાહકોની એટીએમ દ્વારા થતી છેતરપીંડીથી બચાવવાનો અને ડિજિટલ લેવડ દેવડ વધારવાનો છે. તેમને જયારે એવું પૂછવામાં આવ્યું કે આવા કાર્ડ ધારકોની સંખ્યા કેટલી ત્યારે તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં ગ્રાહકો આ શ્રેણીમાં આવે છે.

તો હવે એસબીઆઈના આ ખાસ કાર્ડ ધારકો તહેવારોમાં એક દિવસમાં ૨૦ હજાર રૂપીયાથી વધારે ઉપાડી શકશે નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.