Abtak Media Google News

આજે શાસ્ત્રી ધર્મજીવનદાસજીની ૩૧મી પૂણ્યતિથિ

રાજકોટ ગુરૂકુલ અને તેની ૩૮ જેટલી સંસ્થાઓમાં ભજન, ભકિત સાથે ભાવાંજલી

ધાર્મિક, સામાજીક અને શૈક્ષણિક રીતે દેશ વિદેશમાં અગ્રગણ્ય સંસ્થા સ્વામિનારાયણ ગૂરૂકુલ રાજકોટના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩૧મી પૂણ્યતિથિ પ્રસંગે રાજકોટ ગુરૂકુલ ખાતે તેની ૩૮ જેટલી સંસ્થાઓમાં સ્વામીને ભાવાંજલી અર્પવાનો કાર્યક્રમ ભવ્ય રીતે ભજન ભકિત સાથે ઉજવાયો. આ પ્રસંગે રાજકોટ ગુરૂકુલમાં સવારના ૭ થી ૮.૩૦ ભાવાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યુંહતુ આ પ્રસંગે સદવિધા માસિકના તંત્રી સ્વામી લક્ષ્મીનારાયણદાસજીઅે શાસ્ત્રીજી મહારાજના ગુણાનુવાદ તથા તેમની સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા.

આ પ્રસંગે દેવકૃષ્ણદાસજી સ્વામીએ સભાને સંબોધવા ભાવવાહી વાણીમાં જણાવ્યું કે આપણા ગુરૂ શાસ્ત્રીજી મહારાજ હંમેશા પ્રસિધ્ધથી અને વખાણથી દૂર રહી અહમ્ શૂન્ય રહ્યા હતા. તેમનામાં ભગવાનની ભકિત મુખ્ય હતી. આ સંતે સૌને પોતાનામાં નહી પણ ભગવાનમાં જોડયા છે. સ્વામી પ્રબળ પુરૂષાર્થી, સાચા સમાજ સેવી, નિયમમાં કયારેય બાંધછોડ ન કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં નવા નવા આયોજન આપનાર, વ્યવસહારીક સુઝમાં અજોડ, સ્પષ્ટ વકતા, બોલે તે પ્રમાણે આચરણ કરનાર તપ અને કર્મમાં પૂરા, સિધ્ધાંતમાં નીડર, ગુણગ્રાહી, શૂન્યમાંથી સર્જન કરનાર વિરલ સંત હતા તેમના ગુણોને આપણે યાદ કરી તે રીતે જીવવાની પ્રેરણા મળે તો પણ આપણુ જીવન ધન્ય બની જાય.

આ પ્રસંગે વિદ્વાન શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજ ભાવાંજલી અર્પી હતી તેમણે કહ્યું કે સ્વામી અનેકમાં એક હતા તેમની પ્રેરણા આપણા માટે મોક્ષપંથી બનવાનું સાધન બની રહે છે. સ્વામીજીએ જીવન જીવી બીજાને પ્રેરણા આપી છે.

આ પ્રસંગે નવ લાખથી વધુ દંડવત, સાત લાખ જેટલી પ્રદિક્ષણા ત્રણ કરોડ અઢાર લાખ મંત્ર જાપ, ૮૬૧૦૮ જનમંગલના પાઠ, ૩૧ કલાકની અખંડ ધૂન, ૩૧ કલાક અખંડ મંત્રલેખન, ૩૧ કલાક અખંડ દંડવત પ્રણામ, ૩૧ કલાક અખંડ વચનામૃત પાઠનું આયોજન કરી ફળીભૂત કરેલ આ પ્રસંગે શ્રી હરિયાગ (યજ્ઞ)નું પણ આયોજન કરવામાં આવ્યુંહતુ.ભાવાંજલી સભામાં સંતો હરિભકતો, વિદ્યાર્થીઓએ પુષ્પાંજલી અર્પણ કરી સ્વામીજીને ભાવાંજલી અર્પણ કરેલ. જિલ્લા શિક્ષણાધિકારી રમેશભાઈ ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.