Abtak Media Google News

ગુજરાત રાજ્ય પાણી પુરવઠા કર્મચારી મંડળની રજુઆત આગળની રણનીતિ ઘડવા રોજમદારો દ્વારા મિટિંગનું આયોજન

મોરબી: મોરબીમાં ગુજરાત રાજ્યના પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ ના રોજમદાર કર્મચારીઓ રેગ્યુલર કર્મચારી કરતા વધુ ફરજ બજાવતા હોવા છતાં તેઓને સરકારના પગાર પંચ સહિતના કોઈપણ જાતના લાભો આપવામાં આવતાં ન હોવાની ફરિયાદ સાથે રોજમદાર કર્મીઓને સાતમા પગારપંચનો લાભ આપવાની સરકાર સમક્ષ માંગ કરી છે. ગુજરાત રાજ્ય પાણી પુરવઠા કર્મચારીમંડળે જણાવ્યું હતું કે હાલમાં પાણી પુરવઠા કર્મચારી અને ગટર વ્યવસ્થા બોર્ડ માં રેગ્યુલર કર્મચારીઓનો સેટ અપ કરતાં માત્ર ૩૦ ટકા જ સ્ટાફ છે.બાકીના ૭૦ ટકા સ્ટાફની કામગીરી રોજમદાર કર્મચારીઓ કરી રહ્યા છે તેમ છતાં રોજમદાર કર્મચારીઓને પગાર પંચનો લાભ આપવામાં સરકાર નજર અંદાજ કરીને આર્થિક રીતે શોષણ કરે છે સરકારને બોર્ડમાંથી કરોડો રૂપિયાની આવક થતી હોવા છતાં આવા નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મચારીઓને કોઇપણ જાતનો લાભ આપવામાં આવતો નથી.

રેગ્યુલર કર્મચારીઓને તમામ હક હિસ્સા મળે છે જ્યારે રોજમદાર કર્મચારીઓને હક્ક આપવામાં સરકાર ઉપેક્ષા કરી રહી છે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ઘણા રોજમદાર કર્મીઓ નિવૃત્ત થયા છે અથવા તો નિવૃત્ત થવાના આરે છે તેમ છતાં જૂના નીતિ નિયમોને વળગી રહી બોર્ડ કચેરી દ્વારા આવા કર્મચારી માટે કોઈ નક્કર પગલા ભરાતા નથી ત્યારે આવા રોજમદાર કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાની માંગણી કરી હતી. વધૂમાં આગળની રણનીતી અંગે રોજમદાર કર્મચારીઓએ મીટીંગનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.