Abtak Media Google News

‘મીસા’ હેઠળ કારાવાસ ભોગવનાર ગુજરાતના ૬૫૦થી વધુ જનસંધીઓએ રાષ્ટ્રભાવના પ્રબળ બનાવી હતી: પ્રવિણભાઈ રૂપાણી પણ રહ્યા હતા જેલમાં

સરકાર પર મુસીબત ઉભી થતા ઈન્દિરા ગાંધીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ભલામણને આધારે તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરૂદિન અલી અહેમદે ૨૫ જુન ૧૯૭૫ની મધરાતથી બંધારણની કલમ ૩૫૨ હેઠળ દેશભરમાં કટોકટી લાદવામાં આવી હતી. રાષ્ટ્ર પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કરનાર કે કટોકટીનો વિરોધ કરનારને ઈન્દિરા સરકાર દ્વારા મીસા કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવતા હતા. સરકાર સામે અવાજ ઉઠાવનાર દેશના આશરે ૧ લાખથી વધુ લોકોને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના ૬૫૦થી વધુ લોકો જેલમાં ગયા હતા. ગુજરાતના હાલનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ મીસા હેઠળ ૧૧ માસ કારાવાસ ભોગવ્યો હતો.

ઈન્દિરા સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીમાં બંધારણનો ભંગ કરવામાં આવ્યો હતો. વાણી સ્વાતંત્ર્ય છીનવી લેવામાં આવ્યો હતો. અભિપ્રાય પણ લોકો આપી શકતા ન હતા. મીસા એક એવો કાયદો હતો જેમાં કોર્ટમાંથી જામીન પણ મળતા ન હતા. દેશમાં અંદાજે એક લાખ લોકોને જેલમાં મોકલવામાં આવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના ભાઈ પ્રવિણભાઈ રૂપાણી માર્ચ-૧૯૭૬ થી ૧૯૭૭ સુધી અગિયાર માસ સુધી કારાવાસ ભોગવ્યો હતો. આ ઉપરાંત રાજકોટમાંથી વજુભાઈ વાળા, ચીમનભાઈ શુકલ, કેશુભાઈ પટેલ, પી.વી.દોશી, અરવિંદભાઈ મણીયાર તથા કાંતીભાઈ વૈદ્ય સહિત આશરે ૨૫ થી ૩૦ લોકોએ કારાવાસ ભોગવ્યો હતો.

કટોકટીકાળ દરમિયાન મીસા હેઠળ કારાવાસ ભોગવનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રાજકોટ શહેર ભાજપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કટોકટી કાળ દરમિયાન ‘મીસા’ હેઠળ કારાવાસ ભોગવનાર જનસંઘના કાર્યકર્તાઓએ રાષ્ટ્ર સેવાની ભાવના પ્રજવલિત રાખી છે. તેમના સંઘર્ષ, ત્યાગ અને બલિદાનથી જ આજે લોકશાહી જીવંત છે. આજે ૨૫ જૂન કટોકટી દિવસ અંતર્ગત ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કટોકટીકાળ દરમિયાન મીસા હેઠળ કારાવાસ ભોગવી રાષ્ટ્ર સેવાની ભાવના પ્રજવલ્લીત રાખનાર રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ગાંધીનગર ખાતે સન્માન કર્યું હતું. શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવેલ મીસાવાસીઓનું ઘરે જઈ સન્માન કરવામાં આવી રહ્યું છે. ૨૫ જુનનો દિવસ સ્વતંત્ર અને આધુનિક ભારતના ઈતિહાસમાં સૌથી કાળા અનેક અલંકિત દિવસ તરીકે નોંધાયો છે. ત્યારે મીસાવાસી અને જનસંઘના કાર્યકર્તાઓને ભાજપ દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.