Abtak Media Google News

જળ હોનારત થમતા તંત્ર સજજ

સર્વે માટે સરકારે કૃષિ અને મહેસુલ તંત્રને કામે લગાડયું: ૩૩ ટકાથી વધુ નુકસાન થયુ હોય તેવા ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ અનુસાર ચુકવાશે

તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટુ નુકશાન થયુ હતુ. જેને પરિણામે રાજય સરકારે ૧૫ જ દિવસમાં નુકસાનીનો તાગ મેળવીને ખેડૂતોને વળતર ચુકવવાની હૈયા ધારણા આપી છે. સર્વેની કામગીરી માટે સરકારે કૃષી અને મહેસુલ બંને વિભાગોને કામે લગાડ્યા છે.

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યો હતો. અતિવૃષ્ટીની અનુભૂતિ કરાવતા આ વરસાદે ખેતીને ભારે નુકશાન પહોચાડયુ હતુ. રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં ખેતરોનું ધોવાણ થઇ ગયુ હતુ. ખાસ સૌરાષ્ટ્રમા ખેતરો પાણીમાં ડુબ્યા હતા અને પાકનો સત્યાનાશ થઇ ગયો હતો.

જેને કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો હતો. અગાઉથી જ જગતાતનાં હાલ બેહાલ છે. તેમા પણ ભારે વરસાદે પડ્યા ઉપર પાટુ મારતા ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો હતો. જો કે આ મૃદે વિવિધ સંગઠનો દ્વારા વારંવાર તંત્ર સમક્ષ રજૂઆતો અને આવેદનોનો દોર ચલાવવામાં આવ્યો હતો. જેના પરિણામે ગઇકાલે ગાંધીનગર ખાતે મળેલી કેબીનેટ બેઠકનો મુખ્યમુદો વરસાદથી પાકને થયેલા નુકશાનનો રહ્યો હતો.

આ મુદ્દે કેબીનેટ બેઠકમાં મંત્રીઓએ વિસ્તૃત ચર્ચા વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. બાદમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને સહાય કરવાનો સરાહનીય નિર્ણય લીધો હતો. આ અંગે સતાવાર માહિતી કૃષી મંત્રી આર.સી. ફળદુએ આપી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે ૩૩ ટકાથી વધુ નુકશાન થયુ હોય તેવા ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવશે.

વધુમાં તેઓએ ઉમેર્યુ કે સરકાર દ્વારા કૃષી અને મહેસુલ વિભાગને સવેની કામગીરી ૧૫ દિવસમાં કરવાનો આદેશ અપાયો છે.

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી થયેલા નુશકાન બાદ ખેડૂતોને નાણાની તંત્રી સર્જાય છે. ખેડૂતોની આ વ્યથાને ધ્યાને લઇ સરકારે નુકશાનીનો સર્વે માત્ર ૧૫ દિવસમાં જ કરવાનો આદેશ કર્યો છે. આ કામગીરી સરકાર દ્વારા મહેસુલ વિભાગ અને કૃષી વિભાગને સોપવામાં આવી છે.

આમ જળ હોનારત થમતાં સરકાર હવે ખેડૂતોને મદદ કરવા સજજ બની તંત્ર પાસે યુધ્ધના ધોરણે કામગીરી લઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.