Abtak Media Google News

લોન રિકવરીનું પ્રમાણ વઘ્યું: નાદારીના કાયદાનો સૌથી વધુ ફાયદો બેંકોને થયો

IBCની મદદથી લોન લઈને ન ચૂકવનારા લેણદારો સામે ગુનો નોંધવામાં સરળતા રહે છે

નાદારીના નવા કાયદાએ રંગ રાખ્યો છે આ કાયદા હેઠળ કડક પગલાના ડરથી ફફડી ઉઠેલી કંપનીઓએ ફટાફટ રૂપિયા ૧.૧ લાખ કરોડ જમા કરાવી દીધા છે.

બે વર્ષ પહેલા IBBI (ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્રપ્ટસિ બોર્ડ ઓફ ઈંડિયા)ની રચના થઈ ત્યારે રેગ્યુલેટર બેન્ક ચીફને મળવા માગતા હતા પરંતુ બેંકર્સ મળવા માટે તૈયાર નહોતા. RBIએ આ મામલે મધ્યસ્થી કરીને IBBI સાથે બેઠકનું આયોજન કર્યું છતાં સાત બેંકના MD તેમાં પણ ગેરહાજર રહ્યા. આજે ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્રપ્ટસિ કોડ (IBC)નો સૌથી વધુ લાભ બેંકોને થયો છે. IBCની મદદથી લોન લઈને ન ચૂકવનારા લેણદારો સામે ગુનો નોંધવામાં સરળતા રહે છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, દેવાળિયા જાહેર થવાની બીકે ડિફોલ્ટર્સ પાસેથી બેંકે ૧.૧ લાખ કરોડ રૂપિયા રિકવર કર્યા છે. આ એવા ડિફોલ્ટર્સ છે જેમની અગાઉ લોન ચૂકવવાની કોઈ દાનત નહોતી. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT)એ સ્વીકાર્યું છે કે અત્યાર સુધીમાં નાણાં ધીરનારે આ પ્રકારનું પગલું ભરવાનો નિર્ણય કર્યો હોય. સૂત્રના મતે, ચાર ગણા વધુ કેસ નોંધાયા છે, જો કે લોન લેનારે નાણાં પરત આપવાની તૈયારી દર્શાવતા ઘણાં કેસો પાછા પણ ખેંચાયા છે. એક સીનિયર અધિકારીએ કહ્યું કે, દેવાદારોએ દેવું ચૂકવતા બધા કેસ પાછા ખેંચાયા છે તેમ કહેવું અયોગ્ય છે પરંતુ કેસ દાખલ થયા બાદ મોટી સંખ્યામાં દેવાદારોએ દેવું ચૂકવ્યું છે.

ગયા અઠવાડિયે સરકારે કહ્યું હતું કે, ચાલુ ફિસ્કલ વર્ષમાં PUS બેંકોનું લક્ષ્ય ડિફોલ્ટર્સ પાસેથી ૧.૮ લાખ કરોડ વસૂલવાનું છે. આ રકમ ૨૦૧૭-૧૮ કરતાં અઢી ગણી છે. નાણામંત્રી અરુણ જેટલીએ આ જવાબદારી IBCને આપી છે. IBCએ એવી કંપનીઓના પ્રમોટર્સને હરાજીમાંથી બાકાત રાખ્યા છે જેમની લોન નોન-પરફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત થઈ હોય. નવા કાયદાના કારણે લોન રિકવરી પણ વધી છે છતાં ૪૨ ટકા કરતાં વધુ કેસ એવા છે જેમાં ૧૮૦ દિવસની સમય મર્યાદામાં રિકવરી પ્રોસેસ પૂરી નથી થઈ.

IBBBIના ચેરમેન એમ. એસ. સાહુએ કહ્યું કે, કદાચ ભારત એક જ એવો દેશ હશે જ્યાં આ પ્રક્રિયા સમયે-સમયે પૂરી કરવાની હોય છે. આગામી સમયમાં સ્થિતિ સુધરશે. અધિકારીઓ તરફથી મળેલી માહિતી મુજબ સરકાર NCLT બેન્ચમાં નવા સભ્યોની નિમણૂકની પ્રક્રિયા કરી રહી છે જેથી ઈન્સોલ્વન્સી કેસમાં મદદ મળે. જૂન સુધીના ત્રિમાસિક ગાળાનો ડેટા થોડા દિવસ પહેલા બહાર પાડવામાં આવ્યો.

ડેટા મુજબ MBI ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેસમાં ૧૪૨૮ કરોડના દાવા સામે ૧૬૦૦ કરોડની રિકવરી થઈ. જ્યારે ઓરિસ્સા મેન્ગેનિઝ એન્ડ મિનરલ્સના કેસમાં ૫,૩૮૮ કરોડના દેવા સામે ૩૧૦ કરોડની જ રિકવરી થઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.