Abtak Media Google News

દેશના ખેડૂત અને ખેતી ક્ષેત્રને સમૃધ્ધ અને પરિવર્તનનો પર્યાય બનાવવા માટે બનેલા ત્રણેય કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનના માહોલ વચ્ચે દક્ષિણ એશિયા, બેલઝીયમ અને નેધરલેન્ડે ભારતમાંથી બાસમતી ચોખાની માંગને વધારીને તેનો સીધો લાભ પંજાબ અને હરિયાણાને ખેડૂતોને મળે તેવા સંજોગો ઉભા થયા છે. ભારતનાં બાસમતી ચોખાની નિકાસ બેલઝીયમમાં થાય છે. તેમાં પ્રથમ ૮ મહિનામાં જ ૬૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. જો કે, બેલઝીયમે નેધરલેન્ડની આયાતને પણ ડબલ કરી નાખી છે. બાસમતી ચોખાની યુરોપીયન દેશોમાં વધેલી માગના પગલે ખેડૂતોને બાસમતી ચોખાના સારા ભાવ મળી રહ્યાં છે. આપણા દેશમાં પંજાબ અને હરિયાણામાં બાસમતી ચોખાનું ઉત્પાદન થાય છે. સૌથી વધુ પ્રચલીત બાસમતી ચોખાની ૧૧૨૧ પસા જાતનું જ મોટાભાગે નિકાસ થાય છે અને તે આ વખતે ૧૫ ટકા જેટલી વધી છે. નવેમ્બર મહિનાથી શરૂ થયેલી આ નિકાસમાં આ વખતે ભારે તેજી દેખાઈ રહી છે. યુરોપના ગ્રાહકો મુળભૂત બાસમતી ચોખાની સુશી, રિસોટો જેવી વાનગી માટે બાસમતી ચોખાની પસંદગી કરે છે. આ વખતે ભારતમાંથી બાસમતી ચોખાની નિકાસ સૌથી મોટા ખરીદદાર બનેલા યુરોપીયન દેશોમાં થઈ રહી છે. કોહીનુર ફૂડના ડાયરેકટર ગુરૂનામ અરોરાએ જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ એશિયાના લોકો યુરોપમાં વસે છે તેઓ સારા સુગંધીદાર બાસમતી ચોખાનો ખુદ ઉપયોગ કરે છે અને યુરોપીયન નાગરિકોને પણ આ ચોખાની સોડમ લેતા કરી રહ્યાં છે. હરિયાણાની એલઆરએનકે કંપનીના ગૌતમ મિગલાણી જણાવે છે કે, ભારતના ચોખા ઈરાનમાં જાય છે પરંતુ ૧૮ મહિનાથી ચાલતી મંદીના કારણે ઈરાનમાંથી ઉઘરાણી ૧૬ ટકા જેટલી ઘટી છે. બાસમતી ચોખાનો ૧૫૦૦ કરોડ રૂપિયાનો વેપાર ઈરાની વેપારીઓને ત્યાં બાકી બોલે છે.  ભારત બાસમતી ચોખાના નિકાસકાર દેશ તરીકે વિશ્ર્વમાં પ્રચલીત છે. આ વખતે ૨૯ ટકા જેટલો વધારો કરીને ૩.૦૫ મીલીયન મેટ્રીક ટનનું પ્રથમ ૮ મહિનામાં જ ભારતે સાઉદી અરબ, યમન અને ઈરાકમાં નિકાસ કરી હતી. ભારત ૨૦૧૯માં ૭.૫ મીલીયન ટનનું ઉત્પાદન કરનારો દેશ બન્યો હતો અને ૩૧.૦૨૫ કરોડની આવક રળી હતી. આ વખતે યુરોપીયન દેશમાં નિકાસ વધી હોવાથી બાસમતી ચોખાના ખેડૂતોને વધુ લાભ મળશે. જો કે, આમ આદમીને તેની કિંમત પણ વધુ ચૂકવવી પડશે. એરાના ચેરમેને જણાવ્યું હતું કે, નિકાસ વધતા ચોખા પકવતા ખેડૂતો માટે આ વખતે લાભનું વર્ષ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.