Abtak Media Google News

મોરારીબાપુ, પરસોતમભાઈ રૂપાલા, અજય ઉમટ સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત: સંઘવીના બે પુસ્તકોનું કરાશે વિમોચન

જાણીતા પત્રકાર, લેખક વકતા નગીનદાસ સંઘવીએ તાજેતરમાં ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. કોઈ પત્રકાર ૧૦૦માં વર્ષમાં પ્રવેશે અને એકદમ સક્રિય હોય એવો આ કદાચ પહેલો દાખલો છે. અનેક અખબારો અને સામયીકમાં એમની કલમ વર્ષોથી ચાલતી રહી છે. અને આજે ૧૦૦માં વર્ષે એ એકદમ સ્વસ્થ છે. અને તડ ને ફડ કરી સોસરી ઉતરે એવી વાત લખે છે. એમના આ પ્રદાનને વધાવવા માટે રાજકોટમાં રવિવારે તા.૧૬ જૂનના સાંજે ૬.૩૦ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે શતાયુ સન્માન સમારોહનું આયોજન કરાયું છે. આ પ્રસંગે મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિ છે. અતિથિ વિશેષ પદે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા ઉપસ્થિત રહેશે. અને અજય ઉમટ નગીનદાસ સંઘવીના પ્રદાન વિષે વાત કરશે.

નગીનદાસ સંઘવી મૂળે તો ભાવનગર જિલ્લાના છે પણ એમણે બાદમાં મુંબઈ જઈ વિવિધ ક્ષેત્રમાં નોકરી કરી અને પછી અધ્યાપક બન્યા ૪૦ વર્ષ સુધી એમણે વિદ્યાર્થીઓને ઈતિહાસ અને રાજકીય શાસ્ત્ર શીખવ્યા. તેઓ વિદ્યાર્થીમાં બહુ પ્રિય અધ્યાપક હતા એમતો એમણે થોડા સમય માટે રાજકારણનો પણ અનુભવ કર્યો પણ એમનું મન ઠર્યું આખરે પત્રકરત્વમાં મુંબઈમાં એમણે અનેક અખબારોમાં લખવાનું શરૂ કર્યું અને એ સીલસીલો આજેયહચાલે છે. અનેક ગુજરાતી અખબારો અને સામયીકોમાં એ સતત લખતા રહ્યા છે. એમની રાજકીય કટાર બહુ લોકપ્રિય છે. એમની કલમ ધારદાર રહી છે. અને એ કોઈની સાડીબાર રાખ્યા વિના લખે છે. એમણે વિવિધ વિષયો પર પુસ્તકો પણ લખ્યા છે. ૨૦થી વધુ પુસ્તકો એમના નામે છે. એમાનું એક પુસ્તક નરેન્દ્ર મોદી પર છે જે, અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં પ્રકાશિત થયું છે. તેઓ રાજકારણ જ નહિ પણ ઈતિહાસ, ધર્મ, અધદ્યાત્મ, અર્થકારણ એમ દરેક વિષય પર અધિકારપૂર્વક બોલી અને લખી શકે છે. મોરારીબાપુ એમને બહુ માને છે. અને એ કહે છે, બાપા એટલે બાપા..,

એમના સન્માન માટે એક સમિતિ બનાવાઈ છે. જેમાં રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, જન્મભૂમિ જૂથના મેનેજીંગ એડીટર કુંદનભાઈ વ્યાસ, ચિત્રલેખા, જુથના ચેરમેન મૌલિકભાઈ કોટક અને જાણીતા ઉધમી જયંતીભાઈ ચાંદ્રાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનું એક વિશિષ્ટ પાસુ છે બે પુસ્તકોનું વિમોચન, નગીનદાસ સંઘવીના અખબારો અને સામયીકમાં પ્રકાશિત લેખોમાંથી પસંદગી કરી બે મોટા વોલ્યુમ બનાવાયા છે. બંને વોલ્યુમ મળી કુલ પાના ૮૫૦થી વધુ છે અને એની બજાર કિંમત રૂા. ૭૯૦ થવા જાય છે. પણ સન્માનનાં દિવસે એ માત્ર રૂા૧૦૦માં આપવામાં આવશે. આ કાર્યક્રમનું સંકલન કૌશિક મહેતા અને ભરત ઘેલાણી કરી રહ્યા છે. આમંત્રણ કાર્ડ માટે ૯૪૨૭૨૧૪૨૦૩ પર સંપર્ક થઈ શકશે અને ફૂલછાબ દૈનિક કાર્યાલય પરથી પણ મળશે તેમ એક અખબારી યાદીમા જણાવાયું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.