Abtak Media Google News

મા જગદંબા આપણને સહુને, ખાસ કરીને નેતાઓને સાચું બોલવાનું અને વાણી-વર્તનમાં ખોટા નહિ જ થવાનું બળ આપે એવી પ્રાર્થના…

આપણો દેશ બોલબોલ કરવામાં પાવરધો હોવાની અને દેશ વિદેશમાં જે કાંઈ મનમાં આવે એવું બોલી બોલીને પોતાની પારંગતતાનું પ્રદર્શન કરવાની જબરી આવડત તે ધરાવે છે. એવી અજબ -ગજબની છાપ તેણે ઉભી કરી છે. આપણા દેશની ચોથી જાગીર ગણાતી મહામોંઘી મિલ્કત કેવી અને કેટલી આચાર સંહિતા પાળે છે. તેનો કયાસ કાઢવો ભલભલાને મુંઝવણમાં મૂકે તેમ છે.

ઓછામાં પૂરૂ આપણે ત્યાં સોશિયલ મીડિયા પણ પ્રશંસાને પાત્ર બની શકી નથી. અને તેનું સ્વરૂપ વિવાદાસ્પદ બનતું રહ્યું છે.

નવી દિલ્હીનો આને લગતો અહેવાલ દર્શાવે છે કે, દેશમાં સોશિયલ મિડિયાના વધતા જતા દૂરૂપયોગને લઈને સુપ્રીમ કોર્ટે આજે ગંભીર નોંધ લીધી હતી સુપ્રીમ કોર્ટે ટેકનોલોજી દ્વારા ખતરનાક વળાંક લઈ લેવામાં આવ્યા બાદ આજે સાફ શબ્દોમાં કહ્યું હતુ કે, સોશિયલ મિડિયાના દૂરૂપયોગને રોકવા માટેની જરૂરીયાત દેખાઈ રહી છે.

બીજો એક અહેવાલ છે કે કેન્દ્ર સરકાર, ગુગલ, વોટ્સઅપ, ટિવટર, યુટયુબ અને અન્યો તરફથી જવાબની માંગણી સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ ૨૦મીઓગષ્ટના દિવસે કરવામાં આવી હતી ફેસબુક દ્વારા કેસોના ટ્રાન્સફરની માંગ કરતી અરજી પર આ તમામ પાસેથી જવાબની માંગ કરવામાં આવી હતી.

પત્રકારોને લગતી ફરિયાદનો એક અહેવાલ દર્શાવે છે કે સંયુકત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા પહોચેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી છે. આ વાતચીત દરમિયાન બંને નેતાઓ પત્રકારો સમક્ષ પણ ઉપસ્થિત થયા હતા. જયારે ઈમરાને પડોશી દેશ અફઘાનિસ્તાન, ભારત અને ઈરાનનો ઉલ્લેખ કર્યો હતો. આ ગાળા દરમિયાન પાકિસ્તાની પત્રકારોએ કાશ્મીર પર સવાલ કર્યા હતા. જેના જવાબમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે જોરદાર ફટકાર લગાવી હતી સાથે સાથે ઈમરાનને પ્રશ્ર્ન પણ કર્યો હતો કે આવા પત્રકારો તમે કયાંથી લાવો છો. આ બાબતને લઈને પાકિસ્તાનની વડાપ્રધાન હેરાન રહી ગયા હતા તેમના ચહેરા પર હાવભાવ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યા હતા.

અબતકના એક અહેવાલ દર્શાવે છે કે, દેશના યુનિયન મિનીસ્ટર નીતિન ગડકરીએ બેંક, અન્ય એજન્સીઓ, સરકારી કચેરીઓ તથા જયુડીશીયલી વિભાગને પોતાનો ખર્ચ ઘટાડવા માટે તાકીદ કરી છે અને વિકાસના કાર્યોમાં ભાગીદાર થવા માટેની હાંકલ પણ કરી છે આ તકે મંત્રી નીતિન ગડકરીએ જણાવતા કહ્યું હતુ કે, કોર્ટ ઓર્ડર થકી જે રોડ રસ્તાના કામોમાં ડીલે થઈ રહ્યો છે જેનાં કારણે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ૫૦૦૦ કરોડ રૂપિયા ચૂકવવા પડયા છે. જે સરકારને ડામ લાગ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

અહીં પ્રધાનનો ધોખો સરકારી કચેરીઓ તથા જયુડિશિયલ ગતિવિધિઓ સામે છે. પરંતુ પત્રકારો સમક્ષ ખૂલ્લો તે તેમણે જ કર્યો છે, જેમાં રૂા.૫૦૦૦ કરોડ રૂપિયાના ધૂમાડાની અને સરકારને તેમજ કરદાતાઓને નુકશાનની ગંભીર માહિતી છે.

આપણે ત્યાં એવી કહેવત છે કે, ખીંચો ન કમાનો કો, ન તલવાર નિકાલો, જબ તોપ હૈ ન કાબિલ તો અખબાર નિકાલો…

અખબારની તાકાત અન્ય કોઈ પણ તાકાત (અરે, તોપની તાકાત) કરતાં પણ વધુ પ્રબળ છે.

અંગ્રેજીમાં પણ એક કહેવત છે કે, ‘એ ધેન ઈઝ માઈટિયર ધેન એવોર્ડ’ (કલમ તલવારથી વધુ શકિતવાન છે)

પરંતુ અખબારની ખરી તાકાત એની અણી શુધ્ધ સચ્ચાઈમાં છે એ ભૂલવા જેવું નથી.

અખબાર-સમાચારપત્ર કે વર્તમાનપત્રને ‘ચોથી જાગીર’ ગણવામાં આવી છે. એનો અર્થ એ કે, એ સરકારને એનું ‘પદ’ અપાવી શકે, પદગ્રહણ કરાવી શકે અને પદભ્રષ્ટ પણ કરાવી શકે. એ સરકારની વાહવાહ કરાવી શકે અને સરકાર વિરોધી વિદ્રોહ કે વિપ્લવણ કરાવી શકે.

આપણા દેશમાં આ ચોથી જાગીર એનું દૈવત અને એની પ્રભુતા ખોઈ બેઠી છે. સચ્ચાઈ અને જૂઠની ભેળસેળથીએ ખદબદે છે.

આ દેશ કૌભાંડોથી અને નિજી સ્વાર્થ માટેના કૂળકપટથીક ખદબદે તેનું કારણ ચોથી જાગીર જાગૃતને શકિતવાન રહી શકી નથી એજ છે.

આપણા દેશમાં શ્રીમતી ગાંધીએ કટોકટીની સ્થિતિ લાદી હતી તે વખતે અખબારો પર સેન્સરશીપ લાદી હતી.

આપણા દેશના બંધારણે વાણી સ્વાતંત્ર્ય અને માહિતીના અધિકારની જોગવાઈ કરી છે.

આપણે પ્રાર્થીએ કે હે પ્રભુ ! અમારા દેશને નિર્ભય અને લેશમાત્ર સાચજૂઠની ભેળસેળ ન હોય અને નિજી સ્વાર્થ અર્થના કળકપટ ન હોય એવી ચોથી જાગીર પૂન: પ્રદાન કરો એના વિના આ દેશ જાહેર જીવનમાં અને રાજકીય ક્ષેત્રે તંદુરસ્ત નહિ રહી શકે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.