Abtak Media Google News

વિવાદાસ્પદ મીડિયા ટ્રાયલને પણ નફરત ફેલાવતા ભાષણોની વ્યાખ્યામાં લાવી તેના પર કાનૂની નિયંત્રણ લાવવાની અદાલતમાં મંગાઈ દાદ

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં અખબારી આલમ અને સમાચાર માધ્યમોની ચોથી જાગીરનું બિરુદ આપવામાં આવ્યું છે ત્યારે માધ્યમોમાં પણ પારદર્શકતા, નિષ્ઠા અને સામાજિક સમરસતા અને દેશ હિતના તત્ત્વો અકબંધ રીતે જળવાઈ રહે તે માટે એક ખાસ પ્રકારની આચારસંહિતાની માંગ છેલ્લા ઘણા સમયથી ઉઠી છે. માધ્યમોમાં અને ખાસ કરીને ટીવી ચેનલોમાં અત્યારે ટીઆરપી રેસની જે હોડ જામી છે તેમાં સમાચારોની સાત્વીકતા અને આદર્શ આચારસંહિતાના વારંવાર ભંગ થવાના મુદ્દે હવે માધ્યમો માટે પણ એક ખાસ પ્રકારની લક્ષ્મણ રેખાની માંગ ઉઠી છે. દેશભરમાં ખુબ ગવાયેલા સુદર્શન મુદ્દે મીડિયા ટ્રાયલનો મુદ્દો છેક સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

બે પત્રકારો દ્વારા સુદર્શન મુદ્દે કરવામાં આવેલી મીડિયા ટ્રાયલને નફરત ફેલાવવાનું માધ્યમ ગણવાની અને તેને પણ નફરત ફેલાવવાના ભાષણોની સમકક્ષ મુકવા અંગે ડો.કોટા નીલીમા અને સંગીતા ત્યાગી તરફથી ધારાશાસ્ત્રી સુનિલ ફર્નાન્ડીસ દ્વારા એક અરજી દાખલ કરીને ટીવી પર પ્રસારીત થયેલા એક ટીવી ડીબેટને નફરત ફેલાવનારી પ્રવૃતિ તરીકે ગણવાની માંગ કરી છે. બે જાણીતા પત્રકારો દ્વારા કરવામાં આવેલી આ ડિબેટ હવે આ કાયદાના સકંજામાં આવતી દેખાય રહી છે. ૩૧-૭-૨૦થી ૧૫-૯-૨૦ સુધીની ડિબેટના ૬૫ ટકા અને ૧૬-૬-૨૦થી ૬-૧૦-૨૦ સુધીની મીડિયા ડિબેટમાં સમાચારથી વધુ નફરત ફેલાવવાની પ્રવૃતિઓ વધુ દેખાઈ રહી છે. આ અરજીમાં એક મુદ્દો એવો પણ તાકવામાં આવ્યો છે કે,

એક જ વિષય માટે વારંવાર ન્યુઝ કવરેજ અને ટીવીના ડિબેટનો મારો સંપૂર્ણપણે એકપક્ષીય અને મરી-મસાલા ભરેલી વાહીયાત ચર્ચા અને બેબુનિયાદ આરોપોથી ભરેલી હોય છે. આવી રીતે માત્રને માત્ર કોઈપણ મુદ્દાને સનસનીખેજ બનાવવા માટે જે મીડિયા ડિબેટ કરવામાં આવે છે તેને કાયદાના સકંજામાં લેવી જોઈએ. મીડિયા ડિબેટને નફરતભર્યા ભાષણની જ વ્યાખ્યામાં મુકવું જોઈએ. મીડિયા ટ્રાયલ જુદા જુદા કારણથી કરી શકાય છે. દા.ત. કોઈ ટેલીવીઝન, રેટીંગ, ટીઆરપીનો મોટો હિસ્સો કબજે કરવા માટે કરે છે તો કોઈ એક મુદ્દાને ખુબજ મોટુ રૂપ આપવા માટે ડિબેટ કરાવે છે. આ વલણ સમાજ માટે ભારે ઘાતક સાબીત થઈ શકે છે. ખાનગી ટેલીવીઝન ચેનલ કેન્દ્ર સરકાર માટે એક પ્રોકસી પ્રચાર માધ્યમોના રૂપમાં પણ ઉપયોગમાં આવી રહ્યો છે.

સમાચારોમાં ડિબેટની હાઈલાઈટ અંગે પ્રકાશ ફેંકતા જણાવાયું છે કે, આ મુદ્દો એક ચિંતાનું કારણ છે કેમ કે તેમાં નિષ્પક્ષ સુનાવણીના અધિકારને જોડીને પ્રેસની સ્વતંત્ર્તાની આડમાં પૂર્વઆયોજીત કાવતરા તરીકે ડિબેટને આગળ લઈ જવામાં આવે છે. જેનું સંપૂર્ણપણે ઉંડાણપૂર્વક અધ્યયન કરીને પછી જ તેને મંજૂરી આપવાની દાદ માગવામાં આવી છે. હાથરસનો જ કિસ્સો જોઈએ તો આ મુદ્દો સાર્વજનિક સમસ્યાના બદલે એક ચોક્કસ પ્રકારના સંપ્રદાય તરફ ઘસડી લેવામાં આવ્યો છે. આ અંગે અલાહબાદ હાઈકોર્ટ દ્વારા ઉત્તરપ્રદેશ પોલીસને પણ અનેક સવાલોના કઠહરામાં ઉભા કરી દીધા છે. હવે જ્યારે દેશભરમાં નહીં પરંતુ વિશ્ર્વમાં ડિજીટલ માધ્યમોથી સમાચાર માધ્યમોનો વ્યાપ વિશ્ર્વ વ્યાપી બન્યો છે અને સોશિયલ મીડિયાના આ યુગમાં દરેક નાની બાબતનો પ્રસાર ઘડીના છઠ્ઠા ભાગમાં સમગ્ર વિશ્ર્વમાં ફેલાઈ જતો હોય ત્યારે વાણી સ્વતંત્ર્તા અને સમાચાર માધ્યમોની સ્વાયતતાના નામે ટીવી ડિબેટમાં કોઈપણ મુદ્દાને સામેલ કરીને તેને ખુબજ ચગાવવામાં આવે છે. આ પદ્ધતિને અને ખાસ કરીને ટીવી ડિબેટની આવી પ્રવૃતિને નફરત ફેલાવનારા ભાષણોની વ્યાખ્યામાં લેવાની દાદ માંગવામાં આવી છે.

ખાનગી વોટ્સએપના સંદેશાઓ પ્રસારીત કરવા જોખમી: સુપ્રીમમાં સરકારની સ્પષ્ટતા

સમાચાર માધ્યમોમાં વાણી સ્વતંત્ર્તાના નામે કરવામાં આવતી કેટલીક જોખમી પ્રવૃતિઓ સામે હવે કાયદાકીય સચેતતાની આવશ્યકતા હોવાની દિશામાં મુખ્ય ન્યાયધીશ એસ.એ.બોબડેએ વાણી સ્વતંત્ર્તાના દુરઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારી છે. સુપ્રીમ કોર્ટના કડક વલણના બીજા જ દિવસે એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં સરકાર વતી સ્પષ્ટતા કરી હતી કે, માધ્યમોની વ્યસ્તતાના કારણે હવે વાણી સ્વતંત્ર્તા અને કોર્ટની અવમાનની પાતળી ભેદરેખા ઓળખવી જરૂરી બની ગઈ છે. ટીઆરપીની લ્હાયમાં કેટલીક વિગતો સમાજ અને દેશના અહિત કરે છષ તેને ઓળખવાની જરૂર છે. ટીવી ચેનલોમાં આત્મહત્યા અને આનુસંગીક મુદ્દાઓથી થયેલા મોતના મુદ્દાને ચગાવવામાં આવે છે. તેની સામે પણ સરકારે ચિંતા વ્યકત કરી છે. ધારાશાસ્ત્રી સામે દાયકાઓથી ચાલતી તિરસ્કારની કાર્યવાહીને પણ વ્યાખ્યાયીત કરવામાં આવી હતી. પ્રશાંત ભુષણે નિવેદનમાં જણાવ્યું હતું કે, ભાષણની સ્વતંત્ર્તા અધિકારનો મુદ્દો અત્યારે ખુબ ગંભીર બની ગયો છે. આરોપીઓના વોટ્સએપ મેસેજ જાહેર કરવા પણ ગુનો ગણી શકાય. વેણુગોપાલે વાણી સ્વતંત્ર્તાની આડમાં વોટ્સએપની વાતચીત અને આરોપીઓના મેસેજ જાહેર કરવા એ ન્યાયની રીતે ગંભીર બાબત ગણાય અને અત્યારના સમયે વાણી સ્વતંત્ર્તા અને કાયદાના સન્માન વચ્ચે સાત્વીક સંતુલનની વ્યવસ્થાની ખાસ જરૂર છે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી રાજીવ ધવને જણાવ્યું હતું કે, આજે આપણે એવું કહી શકીએ કે આરોપીઓના વોટ્સએપ મેસેજ અને તેમના વચ્ચેના સંવાદો કોર્ટમાં કોઈપણ મુકદમો ચાલતો હોય તો તેને ટ્રાયલ દરમિયાન કેસની અંગેની વિગતો અગાઉ જ પ્રસિધ્ધ થઈ જાય છે તેની ચર્ચા થાય છે અને તેના ઉપર ટીકા ટીપ્પણીઓ થાય છે તે ખરેખર ન્યાય પ્રણાલી માટે યોગ્ય ન ગણાય. આરોપીઓના પ્રાઈવેટ વોટ્સએપ મેસેજ જાહેર કરવા યોગ્ય ન હોવાનું સરકારે સુપ્રીમ કોર્ટમાં સુજાવ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.