Abtak Media Google News

શહેરના કન્ટેઇનમેન્ટ ઝોન અને ગીચતા ધરાવતા વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા વિતરણ કરાશે

હાલ કોરોના વાઇરસ મહામારી ચાલી રહી છે, આ વાઇરસને માત આપવા માટે માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધુ પ્રમાણમાં હોવી જરૂરી છે. તે બાબતને ધ્યાને લઇ રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન અને નિર્ણય અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૧-૦૭-૨૦૨૦ ના રોજ કુલ ૧૫ ધનવંતરી રથ પ્રારંભ કરવામાં આવેલ. આજ તા.૦૮-૦૭-૨૦૨૦ના રોજ વિશેષ ૩૫ ધનવંતરી રથનો પ્રારંભ માન. મેયર બિનાબેન આચાર્ય, ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી  નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મ્યુનિ.  કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, વિગેરેના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ અવસરે નાયબ કમિશનર બી. જી. પ્રજાપતિ, એ.કે.સિંઘ, નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. ભૂમિબેન પીપળીયા તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહેલ.

આજથી શરુ કરાવેલ ૩૫ ધનવંતરી રથ મળી કુલ ૫૦ ધનવંતરી રથ દ્વારા શહેરના કન્ટેઇનમેન્ટ ઝોન અને ગીચતા ધરાવતા વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. તેમજ દરેક રથમાં થર્મલ ગન અને પલ્સ ઓકસીમીટર દ્વારા સ્ક્રીનીંગ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. પ્રસ્થાન સમયે તમામ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રથ મારફત શહેરમાં કોરોના અંગેની જાગૃતતા માટે પ્રચાર-પ્રસારની કામગીરી પણ કરવામાં આવશે. જો કોઇ શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દી માલુમ પડશે તો તેને વહેલીતકે વધુ સારવાર આપવામાં આવશે અને તેનું ટેસ્ટીંગ પણ કરવામાં આવશે. આ તમામ રથ સવારના ૦૯ થી ૧૨ અને સાંજના ૦૪ થી ૦૬ શહેરના વિસ્તારોમાં ફેરવવામાં આવે છે.

આ કાર્યક્રમની સંપૂર્ણ કામગીરી આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અધિકારી અને નાયબ આરોગ્ય અધિકારી તેમજ આરોગ્ય શાખાના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.