Abtak Media Google News

૧૦-૧૨ દિવસ પહેલા મિત્રને થાંભલે બાંધી સરાજાહેર માર માર્યા બાદ નામચીન શખ્સોનો ફરી હુમલો કરી આતંક મચાવ્યો

શહેરના રૂખડિયાપરા વિસ્તારમાં જુની અદાવતના કારણે યુવાન પર થયેલા હુમલા બાદ મારવાડી મહિલા અને તેના બે પુત્રો પર આઠ જેટલા શખ્સોએ છરી અને પાઈપથી ખુની હુમલો કરી મકાનમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ૧૫ દિવસમાં જ ફરી હુમલો કરી આતંક મચાવનાર સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ રૂખડિયાપરામાં રહેતા આકાશભાઈ રમેશભાઈ ચૌહાણ નામના મારવાડી યુવાનની માતા કમળાબેન અને નાનાભાઈ રાજેશ પર પાડોશમાં રહેતા મોહસીન ઓસમાણ કઈડા, યાસીન ઉર્ફે ભુરો, હનીફ બાબુ, આશિફ કઈડા, શાકિબ મુસ્તાક અને એક અજાણ્યા શખ્સે છરી અને પાઈપથી માર માર્યાની પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આકાશ ચૌહાણ અને યાસીન ઉર્ફે ભુરો ડેકોરેશનનું કામ કરતા હોવાથી બંને વચ્ચે ચાલતી ધંધાકિય હરિફાઈને કારણે આકાશ ચૌહાણે પાડોશી યાસિન ઉર્ફે ભુરા પર હુમલો કરતા બંને વચ્ચે અદાવતની શરૂઆત થઈ હતી. આકાશ ચૌહાણને ત્યાં કામ કરતા રાજુ નામના કારીગરને પંદર દિવસ પહેલા યાસીન ઉર્ફે ભુરાએ થાંભલે બાંધી સરાજાહેર માર મારી બદલો લીધા બાદ ગતરાતે ફરી પોતાના સાગરીતો સાથે આકાશ તેના ભાઈ રાજેશ અને માતા કમળાબેનને મારમારી મકાનમાં તોડફોડ કરી ટીવી અને કબાટમાં નુકસાન કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પ્ર.નગર પોલીસે આકાશ ચૌહાણની ફરિયાદ પરથી યાસિન ઉફે ભુરો અને તેના સાત સાગરિતો સામે પૂર્વ આયોજીત કાવતરું રચી હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધી પીએસઆઈ ઓ.પી.સિસોદીયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.