Abtak Media Google News

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

Dsc 1344

તમામ ઉદ્યોગોમાં કાસ્ટિંગ ઉદ્યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે કેમકે અન્ય નાના મોટા ઉધોગોને રો મટીરીયલથી અનેકવિધ પાર્ટ્સ કાસ્ટિંગ ઉદ્યોગ પૂરું પાડે છે ત્યારે કાસ્ટિંગ ઉદ્યોગોની સ્થિતિ વિશે જણાવતા એરો ટેકનોકાસ્ટ પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર સી.સી. પટેલે અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે લોક ડાઉનનો નિર્ણય પ્રજાહિતમાં છે જેની સામે અમને કોઈ જ વાંધો નથી પરંતુ લોક ડાઉન પૂર્વે જો અમને આ બાબતથી અવગગ કરવામાં આવ્યા હોત તો અમે રો મટીરીયલનો સ્ટોક મેઇન્ટેઇન કરી તૈયારી શક્યા હોત.

હાલ અમે યુનિટ શરૂ કર્યું પણ અમારી પાસે રો મટીરીયલ બિલકુલ ઉપલબ્ધ નથી જેથી ફરીવાર એકમ બંધ કરવાની ફરજ પડી છે. એ ઉપરાંત નિયત કર્મચારીવર્ગની મર્યાદામાં કામ કરવાની તાકીદ કરવામાં આવી છે પરંતુ કાસ્ટિંગ ઉદ્યોગ ક્ધટીન્યુ પ્રોસેસિંગ ઉદ્યોગ છે તો જો એક ડિવિઝનમાં કર્મચારી હોય અને અન્ય ડિવિઝનમાં કર્મચારી ન હોય તો મેન્યુફેક્ચરિંગ કરી શકાય નહીં તેમજ જે રીતે કર્મચારીઓને પગાર ચુકવવાની સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત અમે કર્મચારીઓની રહેવા થી માંડી જમવાની સુધીની વ્યવસ્થા કરી, પગાર ચૂકવી આપ્યો પણ હવે પરપ્રાંતીય મજૂરોને વતન પરત મોકલવાની જાહેરાત કરવામાં આવી છે જેથી ફરીવાર કર્મચારીઓની ઘટ્ટ ઉભી થનાર છે.  એ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અમારા ઉદ્યોગમાં આશરે ૧૦ જેટલા કી પર્સન હોય છે જેમની તાતી જરૂરિયાત હોય છે જેની સામે ફક્ત બે અથવા ત્રણ વ્યક્તિઓના પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે જેના કારણે તે કર્મચારીઓ આવી શકતા નથી તેમજ કોઈ કર્મચારીને પરચેસ અથવા બેંકિંગ કામો માટે બહાર મોકલવા હોય તો પોલીસ તંત્ર તેમને અટકાવી દે છે તો આ સમસ્યા પણ ખૂબ નડતરરૂપ છે તો પરિવહનની છૂટછાટ મળવી પણ અતિ આવશ્યક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેન્કોએ  આ સમયમાં વ્યાજમાંથી મુક્તિ આપવી જોઈએ જેથી નાણાકીય હાલાકીનો સામનો ન કરવો પડે તેમજ તંત્રે મિનિમમ વિજબીલ માફ કરવા જોઈએ.  તેમણે અંતમાં જણાવ્યું હતું કે અમારા ઉદ્યોગમાં સાયકલ શરૂ થયા બાદ ૪૫ દિવસ બાદ ફિનિશ પ્રોડકટ મળે છે તો આ પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે કાસ્ટિંગ ઉદ્યોગને રાબેતા મુજબ ધમધમતા આશરે ૩ મહિના જેટલો સમય લાગી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.