Abtak Media Google News

“વિધાયક તા પોલીસવડાએ જયદેવને ભેળસેળ વાળા જીરાનાં ધર્ંધાીઓની “કંઈક દવા કરવાનું કહ્યું 

ઉંઝા પીઆઈ જયદેવ ધીરે ધીરે ઉતર ગુજરાતની સંસ્કૃતિ, ઉંઝાના રાજકારણ, જનતા અને પોલીસદળની કાર્યપધ્ધતિ સાથે તાલ મેળવતો હતો છતા પોતે હજુ અગાઉ બ્રાંચમાં બદલીમાં જવા માટે આપેલ રીપોર્ટના ઉપલી કચેરીઓના આખરી નિર્ણયની રાહમાં પણ હતો.

દરમ્યાન માર્કેટ યાર્ડના એક વેપારીના ગોડાઉનમાંથી અભુતપુર્વ એવી રૂપીયા અઢાર લાખની કિંમતના જીરા ની ચોરી થઈ. આ ટ્રક લોડ માલની ઘરફોડ ચોરી ખુબ આયોજનપુર્વક થઈ હતી. જયદેવ માટે માર્કેટ યાર્ડના કારોબાર હેરાફેરીની બાબત સાવ નવી હતી. પરંતુ જુના કર્મચારીઓથી તે અંગે ધીરે ધીરે વાકેફ થતો ગયો. આ ચોરીની ફરીયાદી પાર્ટ મોટી અજગર પાર્ટી તો ખરીજ પણ મારવાડી અને તેમને યાર્ડના ચેરમેન કમ રાજયના મંત્રી સાથે અંગત સંબંધો હતા.  આથી રાબેતા મુજબના પોલીસ ઉપર દબાણો તો શરૂ થયા જ પણ તેનું પોલીસ સાથેનું વર્તન કંઈક ઉધ્ધત તો ખરૂ જ અને પોલીસને ફાલતુ ગણતા હોય તેવુ પણ હતુ. શબ્દોમાં ઘણી જ શકિત અને તાકાત હોય છે. સારા અને પ્રિય શબ્દો જીવનભરની યાદી અને સંબંધો બનતા હોય છે.પણ વાંકા કડવા કે કોસા શબ્દો સામેની વ્યકિતને નફરત તો ઉત્પન્ન કરે જ પણ આકરા મીજાજ વાળી વ્યકિત ને ઉશ્કેરવાનું પણ કામ કરે છે. તેનાથી તેના પોતાનું તો કોઈ ભલુ થતુ નથી પરંતુ સમાજમાં પણ અશાંતિ ઘર્ષણ અને ગૃહયુધ્ધ જેવી સ્થિતી પેદા કરે છે. હાલમાં મોબાઈલ મીડીયા ઉપર થતી ટીપ્પણીઓ લોકશાહી વાણી સ્વાતંત્ર્યના નામે સમાજ અને કાયદો અને વ્યવસ્થા માટે ભારે નુકશાન કરતા થાય છે. આવી પ્રવૃતિ ખાસ તો કહેવાતી સેલીબ્રીટીઓ સતા અને નાણાનો ઉભરો થઈ જતા કરતા હોય છે. દેશહિતને અસર કરતી ટીપ્પણીઓ જે ફેસબુક મીડીયા ઉપર કરવામાં આવે છે. તેના ઉપર કાંઈક નિયંત્રણ જરૂરી છે. ફરીયાદી વગચંદ્ર શેઠના આવા વર્તનને કારણે ધીરે-ધીરે અકળામણ અનુભતા જયદેવને ત્યાં હાજર એલ.સી.બી પીઆઈ ચૌધરી એ કહ્યુ “બાપુ અહિ કાઠીયાવાડ જેવુ નથી કે કાઠીયાવાડમાં કોક દિ ભુલો પડ ભગવાન તને એવો કરૂ મહેમાન કે સ્વર્ગ ભુલાવુ શામળા ! આ વેપારીને ત્રણ પ્રકારની હવા છે. એક સંગઠન બીજુ પૈસો અને ત્રીજી સતાધારી રાજકારણી સાથે સંબંધ, આથી આને મૌખીક કોઈ પ્રત્યુતર વાળવો નહિ અને “હાથી ચલત હૈ … !ની માફક આપણે આપણુ કાર્ય કર્યે જવાનુ.

દરમ્યાન મહેસાણા જિલ્લાના નિષ્ઠાવાન પોલીસવડાને પ્રમોશન મળતા બદલી થઈ ને નવા પોલીસવડા નિમાયા. નવા પોલીસવડા પણ નિષ્ઠાવાન અને કાર્યદક્ષ હતા પણ જયદેવ માટે અજાણ્યા હોય હવે નવેસરથી આ પોલીસવડા સમક્ષ પોતાની કાર્યદક્ષતાની પરીક્ષા આપવાની હતી.

આ મોટી ઘરફોડ ચોરીની તપાસ આમને આમ દસેક દિવસ ચાલી. દરમ્યાન બનાવવાળા ગોડાઉનની નજીકના ગોડાઉનના મેતાજી ઉપર જયદેવને વ્યાજબી અને પાકકો શક પડતા અને અમુક સાંયોગીક સંજોગો તેની સંડોવણી જણાવતા હોય જયદેવે આ મેતાજીને ઉઠાવી લીધો અને પુછપરછમાં તેણે ચોરી પણ કબુલી લીધી પણ મુદામાલ અંગ કોઈ હકીકત જણાવતો ન હતો. ફકત અમદાવાદમાં માલ વેચ્યાનું જણાવતો હતો. તપાસ તો કરવી જ રહી. જયદેવ આરોપીને લઈને અમદાવાદ આવ્યો પણ આરોપી મુદામાલ અંગે કાંઈ જણાવતો ન હતો.

જે પેઢીમાં ચોરી થઈ તે પેઢીમાં મારવાડી વેપારી સાથે ભાગીદારીમાં એક ઉંઝાના પટેલ પણ હતા. આ ભાગીદારના એક નજીકના સંબંધી અમદાવાદના અમરાઈ વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ હતા જે જયદેવના પણ ખુબ પરીચીત હતા. તેમણે જયદેવને કહ્યુ આરોપીને લઈ અમરાઈ વાડી પોલીસ સ્ટેશનમાં આવો તો સારૂ. જયદેવ આરોપીને લઈને ત્યાં પહોંચ્યો. પીઆઈ અમરાઈ વાડીએ જયદેવને પુછયુ કે “હું આરોપીને મારી રીતે પુછપરછ કરૂ ? જયદેવે કહ્યુ જરૂર. આથી તેમણે એકાદ કલાક આરોપી સાથે મહેનત કરી, પુછપરછ કરી પણ મુદામાલ અંગે કાંઈ હકીકત મળી નહિ. આથી જયદેવે યુકિતનો છેલ્લો પ્રયોગ કરવાનો હતો. તેથી પીઆઈ અમરાઈ વાડીને કહ્યુ હવે મને તમારી ચેમ્બર એક કલાક માટે આપો. ચેમ્બરનો હવાલો મળતા જો કે પંદર વિસ મીનીટમાં જ સફળતા મળી ગઈ. જયદેવે યુકિત પુર્વક મોબાઈલ ફોનથી આરોપીના પિતા કે જેને ઉંઝા પોલીસ સ્ટેશનમાં પુછપરછ માટે બોલાવેલા તેની જોડે વાત કરાવી. આથી આરોપીએ પોપટની માફક જ મુદામાલનું જીરૂ અમરાઈ વાડી વિસ્તારના એક ઈસમને જ આપેલ અને બાકીનું નવસારી રાખ્યુ હોવાનું જણાવી દેતા પીઆઈ અમરાઈ વાડી ખુશખુશ થઈ ગયાઅને જયદેવે ને કહ્યુ ” તમે ખરેખર ” પાણામાંથી પણ પાણી કાઢો છો !

ટુંકમાં પુરેપુરો મુદામાલ મળી ગયો નવા પોલીસવડા ખુશ થઈ ગયા, ફરીયાદીનું પોલીસને આપેલ મેણુ ભાંગ્યુ અને જયદેવે તેને વળતો ટોણો પણ કસ્યો કે તમામ આંગળા પણ સરખા નથી હોતા .

દારૂ જુગાર અને મારામારી ચોર લુંટારા ગુનેગારો હિસ્ટ્રીશીટરો અને બુટલેગરોની વ્યાખ્યામાં આવે પણ છેતરપીંડી, ઠગાઈ, વિશ્ર્વાસધાત, ભેળસેળીયા અને કૌભાંડો કરવાવાળા, ઓછુ વજન જોખવાવાળા વિગેરે વ્હાઈટ કોલર ક્રાંઈમ વાળા ગુનેગારો ગણાય છે. આ વ્હાઈટ કોલર ક્રિમીનલો જનતાની આંખમાં ધુળ નાખી ને કરોડો રૂપીયા કમાય છે પણ સમાજમાં તેમને એવી હલકી દૃષ્ટિએ જોવામાં નથી આવતા કે જેવા બુટલેગરો હિસ્ટ્રીશીટરોને જોવામાં આવે છે આમ તો ગુન્હા જ હોય છે. પણ સામાન્ય રીતે બુટલેગરો ડિસ્ટ્રીશીટરોનો ભોગ સમગ્ર સમાજ બને છે. આ ખાસ સમાજનો નિચલો વર્ગ જ ભોગ બનતો હોય છે. જયારે વ્હાઈટ કોલર ક્રિમીનલોનો ભોગ સમાજનો સમૃધ્ધ, ઉચ્ચ અને કેટલીક વખત સુશિક્ષીત બુધ્ધિજીવી વર્ગ પણ બનતો છે.

જેમ ગોળ હોય ત્યાં માખો આવે તેમ સમૃધ્ધ શહેર ઉંઝામાં હિસ્ટ્રીશીટરો અને બુટલેગરો (દારૂ જુગાર ખાસ તો ક્રીકેટ સટ્ટો) ઉપરાંત વ્હાઈટ કોલર ક્રાઈમવાળા ગુનેગારો પણ હતા. મહા ઠગ રજત પટેલ અમદાવાદી ની વાત તો અગાઉ જણાવી દીધી પણ તે સમયે જીરાની માંગ વિશ્ર્વ લેવલે ખુબ જ હતી અને જીરાના ભાવ પણ એવા ઉંચા હતા આથી ઉંઝામાં અમુક બનેલા ઠગ વેપારીઓ પણ વ્હાઈટ કોલર ક્રાઈમ કરી ટુંક સમયમાં કરોડોપતિ બની જતા હતા. તેમાં વાત એવી હતી કે જીરૂ અને વરીયાળી પ્રથમ દષ્ટિએ દેખાવમાં એક સરખાજ લાગે પરંતુ રંગ અને કદમાં ઘણોફેર રહે છે. વરીયાળી રંગમાં પ્રવાણમાં લીલી અને દાણો કદમાં બમણો મોટો હોય છે. જયારે જીરૂનો દાણો પીળાશ પડતા રંગનો અને કદમાં નાનો અને પાતળો હોય છે. જયારે બંનેના ભાવમાં ચાર ગણો ફેર હોય છે. જીરૂ કરતા વરીયાળીનો ભાવ ચોથા ભાગનો હોય છે. તેથી આ મહાસફેદ ઠગો જીરૂ અને વરીયાળીના ભૌતિક દેખાવને કુબુધ્ધિ પુર્વક સાવ એક જેવા જ બનાવીને અઢળક નાણા કમાતા હતા. આવા ગુનેગાર વેપારીઓ બજારમાંથી રસ્તા ભાવે વરીયાળી ખરીદી લઈ તેને આધુનીક ઘંટીઓમાં એ રીતે પીલે કે તેના બે ઉભા ભાગ થઈ જાય તે પછી તેને પીળી માટી અને ચિકણી એડહેસીવ કેમીકલ જેલી જે જથ્થા બંધ ટીપડા મોઢે મગાવેલ હોય તેનું મિશ્રણ કરી સુકવી દઈ દેખાવ આબે હુબ જીરા જેવો કરી નાખે પછી તૈયાર મંગાવેલ સિન્થેટીક રીતે રસાયણમાંથી તૈયાર કરેલ પણ આબે હુબ જીરાની જ સુગંધ ધરાવતા એસેન્સમાં ભેળવીને નકલી જીરૂ તૈયાર કરતા હતા જે બાહ્ય રીતે કોઈ આમ વ્યકિત પારખી શકે નહિ ફકત વેપારી અને વિજ્ઞાન પ્રયોગશાળા બે જ જાણી શકે કે આ ખરેખર શું છે ? તે પછી આ નકલી જીરૂ અને અસલી જીરૂને ૭૫ +૨૫ ટકાનાં પ્રમાણમાં ભેળવી દઈને પેકેટો ભરી બજારમાં માલ અસલ જીરૂ તરીકે વેચીને આવા ગુનેગાર વેપારીઓ ખુબ મોટો આર્થીક ફાયદો કરતા હતા. જો કે આ ભેળસેળીયો માલ ઉંઝા બહાર જ જથ્થા બંધ મોકલાતો હતો.

આ ડુપ્લીકેટ જીરૂ અસલ જીરૂનો એક પણ ગુણ ધરાવતુ ન હતુ. પરંતુ તેમાં રહેલી પીળી ચિકણીમાટી, કેમીકલ જેલી અને સિન્થેટીક એસેન્સ માનવજીવન માટે ખાસ તો લીવર કીડની માટે ખુબ જોખમી હતા. માર્કેટીંગ યાર્ડની ચુંટાયેલ બોડી અને તેના ચેરમેન કમ રાજય સરકારના મંત્રી પ્રવૃતિથી ખુબ ચિંતિત હતા કેમ કે તેનાથી ઉંઝા ગંજની આબરૂ રાજય અને દેશમાં ઓછી થતી હતી. આથી તેઓએ આ બાબતે ગાંધીનગર ફુડ એડલટ્રેશન ખાતાને સુચના કરી રેઈડો કરી આવી પ્રવૃતિ બંધ કરવા જણાવ્યુ. પરંતુ પ્રિવેન્શન ઓફ ફુડ એડલ્ટ્રેશન ખાતુ કોઈ એકલ દોકલ દુકાન કે કોઈ વાહનમાંથી આવો માલ પકડી સીઝ કરીને કાર્યવાહી કરતા હતા. જેની કોઈ ખાસ અસર આ ધમધમતી ડુપ્લીકેટ ફુડ ફેકટરીઓ ઉપર પડતી ન હતી. આથી માર્કેટ યાર્ડના ચેરમેન અને વિધાયકે મહેસાણા પોલીસવડા અને જયદેવને આવા ભેળસેળીયા તત્વોની “કાંઈ દવા કરવા કહ્યુ. જયદેવે પોલીસવડા સાથે ચર્ચા કરી કે ધ પ્રિવેન્શન ઓફ ફુડ એડલ્ટ્રશન એકટ તળે નો ગુન્હો ભલે જનતા સામેનો અતિ ગંભીર ગુન્હો હોય છતા પણ તે કાયદા તળે પોલીસને સ્વતંત્ર રીતે આવા ગુન્હામાં પગલા લેવાની કોઈ સતા નથી. તે કાયદા મુજબ ફકત ફુડ એડલ્ટ્રેશન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ ને જ તેના અધિકારો છે. જેથી પોલીસ અધિકારીઓએ વિધાયકને જણાવ્યુ કે તમે આ ખાતાના અધિકારીઓને બોલાવી રાખો અને પોલીસ તેની સાથે સંયુકત રીતે કાર્યવાહી કરશે. તે પ્રમાણે આયોજન થયુ અને પીઆઈ જયદેવે આ પ્રિવેન્શન ઓફ ફુડ એડલ્ટ્રેશન ખાતાના અધિકારીઓને સાથે રાખી એક ડુપ્લીકેટ જીરૂ બનાવતી વિશાળ ફેકટરી ઉપર દરોડો પાડયો. જે ફેકટરીમાં જથ્થા બંધ એટલે કે બેરલોના ઢગલા બંધ જેલી, ટ્રક લોડ પીળી માટીનો જથ્થો તથા જીરા જેવી જ સુગંધ ધરાવતા સિન્થેટીક એસેન્સના કેરબા કબ્જે કર્યા. સાથે જથ્થા બંધ ગુણો વારીયાળીનો જથ્થો તથા ડુપ્લીકેટ જીરાના તૈયાર પેકેટો કુલ કિંમત રૂપીયા પંદરેક લાખ નો મુદામાલ કબ્જે કર્યો અને ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦,૨૭૨,૨૭૩,૧૨૦(બ) તથા ફુડ એડલ્ટ્રેશન (પ્રિવેન્શન) એકટની કલમ ૧૬,૭ (૧,૨,૩) રૂલ્સ ૧૯૫૫ નિયમ ૪૪ એબી મુજબ ફરીયાદ આપી ગુન્હો દાખલ કરાવ્યો.

આથી સમગ્ર જિલ્લામાં ચાલતી ભેળસેળ પ્રવૃતિઓમાં ચકચાર મચી ગઈ અને ઉંઝા તાલુકામાં તો સપાટો બોલી ગયો આરોપીઓ જેલમાં ગયા. પરંતુ આ પછી આ બાબતે બે હકીકત ઉપસ્તિ ઈ, એક તો જ્યારે ભેળસેળના માલ ભરેલા વાહન ગોડાઉન કે ફેકટરીની બાતમી મળે ત્યારે આ ફુડ એડલ્ટ્રેશન ખાતાના અધિકારીઓ હાજરમાં મળે નહિ બીજુ આ કરેલ કેસ નો સમગ્ર મામલો હાઈકોર્ટમાં જતા પ્રિવેન્શન ઓફ ફુડ એડલ્ટ્રેશન એકટ તળે પોલીસને સતા નહિ હોય આરોપીઓને ફાયદો મળ્યો.

આવા સંજોગોમાં જો પોલીસ હવે કાર્યવાહી ન કરે તો આ ભેળસેળીયા ગુનેગારો બેફામ બને કેમ કે આ ઝેરી માલ ભલે ગુજરાત બહારની પ્રજા પણ મુળ તો હિન્દુસ્તાનની જનતા જ ખાય તે સ્થિતી જયદેવ માટે અસહ્ય હતી. આથી જયદેવે કોઈ પણ હિસાબે આ ભેળસેળની ફેકટરીઓ બંધ કરાવવા માટે કમર કસી અને તેણે મગજથી વિચારવાનું ચાલુ કર્યુ. જયદેવે ગુન્હાના સંજોગો વિશે વિચાર્યુ કે આરોપીઓ જાણે જ છે કે તેઓ પોતે જે આ ડુપ્લીકેટ જીરૂ બનાવે છે તે ખાધ્ય પદાર્થ છે અને તેમાં જે કેમીકલ જેલી, સિન્થેટીક એસેન્સ અને પીળી માટી ભેળવવામાં આવે છે તે માનવદેહ માટે ઝેર સમાન અને શરીરને નુકશાન કર્તા છે વળી પોતાના લાભ સારૂ ઈરાદાપુર્વક આ ઘાતકી કૃત્ય કરે છે. આથી પોલીસને ભલે પ્રિવેન્શન ઓફ ફુડ એડલ્ટ્રેશન એકટ તળે સતા નથી પરંતુ ભારતીય દંડસંહિતા ઈન્ડીયન પીનલ કોડની કલમ ૩૨૮ ની કોષીશ કલમ ૫૧૧ મુજબ ઈરાદા પુર્વક કોઈ માનવ વ્યકિતને ઝેર આપી ઈજા કરવાના પ્રયાસનો ગુન્હો તો ગણાય જ. આમ જયદેવે પોલીસવડા સાથે આ બાબતે ચર્ચા કરી સાહસ કરવાનું નકકી કર્યુ. પોલીસવડા નિષ્ઠાવાન હતા તેથી તેઓ ઈચ્છતા જ હતા કે કાંઈક કડક કાર્યવાહી કરીને ગુનેગારોને આકરો બોધપાઠ શિખવવો.આથી તેમણે જયદેવને કહ્યુ તમે  તમારી રીતે આગળ વધો હું તમારી સાથે જ છુ. આ અખતરો કરો જ!

ત્યારપછી ટુંક સમયમાં જ જયદેવે ફુડ એડલ્ટ્રેશન ખાતાના અધિકારી સિવાય એકલા જ ઉંઝાની સીમમાં એક ફાર્મ હાઉસમાં ધમધમતી ડુપ્લીકેટ જીરાની ફેકટરી ઉપર દરોડો પાડી લાખો રૂપીયાનો મુદામાલ ભેળસેળીયુ જીરૂ વિગેરે ઝડપી લીધા અને પોતે જ શ્રી સરકાર તરફે ઈ.પી.કો.કલમ ૪૦૬, ૪૨૦, ૨૭૨,૨૭૩,૩૨૮,૫૧૧, ૧૨૦(બ) મુજબ ગુન્હો દાખલ કરાવ્યો. આ માં ધ પ્રિવેન્શન ઓફ ફુડ એડલ્ટ્રેશન એકટની કોઈ કલમો લગાડી નહિ ગુનેગારો એવા વહેમમાં હતા કે હાઈકોર્ટે પોલીસની પહેલીવારની કાર્યવાહી ગેરકાયદેસર ઠેરવી તેથી હવે પોલીસ રેઈડ પાડવાનો ચાળો નહી કરે. પરંતુ જયદેવે તે છતા ફરીી રેઈડ કરીને અજગર આરોપીઓને પુરી તો દીધા જ પણ ગુન્હો વધુ ગંભીર બન્યો કેમ કે ઈ.પી.કો. કલમ ૩૨૮ કોઈ વ્યકિતને ઈજા કરવાના હેતુથી ખોરાકમાં ઝેર આપવુ તેમાં સજાની જોગવાઈ દસ વર્ષની અને ગુન્હો સેસન્સ ટ્રાયલ બનતા ગુનેગારો એ સેસન્સ કોર્ટના જામીન અરજી સુનાવણી સુધી તો જેલમાં રહેવુ જ પડયુ. આથી ફરીથી ગુનેગારોમાંક ફફડાટ ફેલાઈ ગયો. જયદેવે વધુમાં જાહેર કર્યુ કે જે આરોપી હવે બે થી વધુ વખત આવા ગુન્હામાં આવશે તેની સામે પાસાનું શસ્ત્ર પણ વાપરવામાં આવશે. આથી ઉંઝા તાલુકામાં તો સપાટી બોલી ગયો. પરંતુ કુતરાની પુંછડી વાંકીને વાંકી જમીનમાં ગમે તેટલી દાટો, કાઢો એટલે પાછી વાંકી જ તેમ આરોપીઓએ ઉંઝા તાલુકો છોડી છેક બનાસકાંઠા રાજસ્થાનની અમરગઢ બોર્ડર સુધી દુર જઈને જનતાની તંદુરસ્તીના જોખમે નાણા કમાવવાનું તુત ચાલુ કરેલુ.

આ દરમ્યાન કચ્છ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત ને હચમચાવી નાખતો ધરતીકંપ થયો, કચ્છ અને રાજયમાં હજારો લોકો મૃત્યુ પામ્યા, ઉંઝા પોલીસ સ્ટેશન બિલ્ડીંગ જે આમ તો દસેક વર્ષ પહેલ જ નવુ બે માળનું બનેલું તે બિલ્ડીંગ ધરતીકંપમાં ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયુ અને ઈજનેરોએ આ બિલ્ડીંગને જોખમી જાહેર કરતા હવે જયદેવ અને તેની ફોજ ને તંબુમાં બેસીને કારોબાર ચલાવવા નો સમય આવ્યો. પોલીસ કેમ્પસમાં જ અલગ અલગ તંબુઓના ડેરા નખાયા જાણે સરહદ ઉપરની યુધ્ધ છાવણીઓ જોઈ લો. પરંતુ પોલીસનો વહિવટ તંબુમાં કેટલોક ચાલે ?

આખરે માર્કેટ યાર્ડ દ્વારા રેલ્વે સ્ટેશન પાસે ગેસ્ટ હાઉસ માટે બનાવેલ મકાનનો બીજો માળ પોલીસ સ્ટેશન ને ફાળવાયો. આ બિલ્ડીંગમાં નીચેના માળે અગાઉથી જ કોર્ટ બેસતી હતી અને અમુક ભાગમાં મામલતદાર કચેરી હતી. પરંતુ મર્યાદીત મકાન અને પોલીસનો વિચિત્ર અને વિશાળ કારોબાર અને મુદામાલ વાહનો વિેેગેરે રાખવાનો વિકટ પ્રશ્ર્ન થયો.

પરંતુ શાસનમાં આવેલ નવી રાષ્ટ્રવાદી સરકારે લોકફાળા અને લોક ભાગીદારીથી જાહેર સેવા સંસ્થાનોના નવસર્જન અને મરામત અંગે ખાસ હુકમ કરી નિયમ જાહેર કર્યો હતો. આથી જયદેવે જુના જમાદાર રણજીતસિંહ ને આવો ફાળો એકત્રિત કરવા અંગે ચર્ચા કરતા તેમણે કહ્યુ તે કઈ મોટી વાત છે આ માર્કેટ યાર્ડ એસો. એક જ આ તમામ જરૂરીયાત પુરી કરી દેશે. આથી પોલીસના લોકહિત કાર્યોથી ખુશ એવી માર્કેટ યાર્ડ ની સહકારી બોડીએ માતબર ડોનેશન ફાળવી તેના જ પ્રમાણીત કોન્ટ્રાકટર થી જયદેવની ઈચ્છા પ્રમાણે પોલીસ સ્ટેશનનું રીપેરીંગ-રીનોવેશન થયુ. આથી ઉંઝા પોલીસ સ્ટેશન એવુ અદ્ભુત નમુનેદાર બન્યુ કે જાણે કોઈ ગ્લોબલ કંપનીની કચેરી હોય ! આ પોલીસ સ્ટેશન જોવા માટે જિલ્લાના અને જિલ્લા બહારના અધિકારીઓ તો ઠીક પણ તે પછીની વિધાનસભાની ચુંટણીમાં રાજયમાં નિરીક્ષકો તરીકે આવેલ પશ્ર્ચિમ બંગાળના સિનીયર આઈ.એ.એસ. અધિકારીઓને પણ મહેસાણાથી પોલીસવડા તથા જિલ્લા સમાહર્તાએ ખાસ જોવા માટે ઉંઝા મોકલેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.