Abtak Media Google News

આ વર્ષે ભારતમાં યોજાનારી શાંઘાઈ કો.ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ઉપસ્થિત રહેવા ઈમરાન ખાનને મોદી સરકાર આમંત્રણ પાઠવશે

થોડા સમય પહેલા પુલવામામાં હત્યાકાંડનો બદલો લેવા ભારતીય સેનાએ અલેઓસીને પાર કરીને પાક. કબજાગ્રસ્ત કાશ્મીરમાં ચાલતા આતંકવાદી કેમ્પો પર એર સ્ટ્રાઈક કરીને આવા કેમ્પોનો નાશ કર્યો હતો જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સતત તનાવપૂર્ણ રહ્યા છે. તેમાં પણ કેન્દ્રની મોદી સરકાર દેશને આઝાદી કાળથી પીડતી જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજયનો દરજજો આપતી બંધારણની કલબ ૩૭૦ને હટાવતા પોતાની આતંકની દુકાન બંધ થતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતુ જેથી પાક.ના વડાપ્રધાન ઈમરાનખાન સહિતના નેતાઓ તથા સેનાના અધિકારીઓ ભારત વિરૂધ્ધ બેફામ વાણીવિલાસ કરવા લાગ્યા હતા જેથી એક તબકકે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ફાટી નીકળે તેવી સંભાવનાઓ સેવાય રહી હતી. હાલમાં પણ ભારત અને પાક. વચ્ચેના સંબંધો સામાન્ય થયા નથી. ત્યાં મોદી સરકારે પાક.ના વડાપ્રધાન ઈમરાનખાનને ભારત આવવાનું નિમંત્રણ આપવાનો નિર્ણય કરતા અનેક લોકોના ભવા ખેંચાયા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત તણાવ વચ્ચે ઇમરાન ખાન આ વર્ષે મુલાકાત લે તેવી સંભાવના છે. ભારત તેમને એસસીઓ એટલે કે શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મોકલશે. ભારત આ બેઠક માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને અન્ય નેતાઓને આમંત્રણ આપશે.  તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવીને ઉમેયું હતું. આ વર્ષે એસસીઓ સાથે સંકળાયેલા દેશોની સરકારોની વાર્ષિક બેઠક માટે આંમત્રણ આપવામાં આવશે. રવીશ કુમારે કહ્યું કે એસસીઓના તમામ ૮ સભ્ય દેશો, ૪ નિરીક્ષકો અને સંવાદ ભાગીદારોને આ બેઠક માટે આમંત્રિત કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વાર્ષિક બેઠક વડા પ્રધાન સ્તરે થાય છે અને એસસીઓના કાર્યક્રમો, બહુપક્ષીય આર્થિક અને વ્યવસાયિક સહયોગ અંગે ચર્ચા કરે છે. રવિશ કુમારને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ બેઠક માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ આપવામાં આવશે, તો તેમણે જણાવ્યું હતું કે , એસસીઓની સ્થાપિત પ્રથા અને કાર્યવાહી હેઠળ, બધા સભ્ય દેશો તેમજ નિરીક્ષક દેશો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંવાદ ભાગીદારો ને બેઠકમાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવશે. ઇમરાનને આમંત્રણ આપવામાં આવશે કે નહીં તે પ્રશ્નના પર બીજા અધિકારીએ જવાબ આપ્યો-’હા’.ભારત પ્રથમ વખત એસસીઓની સરકારના વડાઓની પરિષદની બેઠકનું આયોજન કરશે. આ માહિતી સંગઠનના સેક્રેટરી વ્લાદિમીર નોરોવ દ્વારા મંગળવારે આપવામાં આવી હતી. વિદેશ પ્રધાનો ભારત  પાકીસ્તાન બંને દેશોના સંબંધો તંત્ર હોવાના સમયે સરકારે પાકિસ્તાનના વડા પ્રધાનને આમંત્રણ આપવાની જાહેરાત કરી છે. ભારત અને પાકિસ્તાન બંને વર્ષ ૨૦૧૭ માં ચીનના પ્રભુત્વ ધરાવતા એસસીઓના પૂર્ણ-સમયના સભ્યો બન્યા. વિદેશ પ્રધાનો સામાન્ય રીતે એસ.સી.ઓ ના સરકારી પ્રમુખોની બેઠકમાં ભાગ લે છે.જો કે, સભ્ય દેશ ઇચ્છે તો તે વડા પ્રધાનને મોકલી શકે છે. આવી બેઠકોમાં ભારતનું પ્રતિનિધિત્વ હંમેશાં વિદેશ પ્રધાન દ્વારા કરવામાં આવે છે, જ્યારે વડા પ્રધાન દેશોના વડાઓ ની મુલાકાત સમયે ઉપસ્થિત રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.