Abtak Media Google News

ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી, બાજપેયીજીના દુ:ખદ નિધન પર શોક વ્યકત કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ વાઘાણી

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ભારતરત્ન, પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપાના વરીષ્ઠ નેતા આદરણીય અટલ બિહારી બાજપાઈજીના નિધન પર શોક વ્યકત કરતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર ભારત અને ભાજપાએ એક મોભી અને વાલી ગુમાવ્યા હોય તેવો અહેસાસ થાય છે. આદરણીય અટલજીના નિધનથી સમગ્ર દેશની જનતા અને ભાજપાના કરોડો કાર્યકર્તાઓ અત્યંત દુ:ખની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે, આવા એક યુગપુરુષને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરુ છું.

વાઘાણીએ જણાવ્યું હતું કે, ૧૯૮૦માં ભાજપાની સ્થાપના થઈ ત્યારે મુંબઈ ખાતેના કાર્યકર્તા અધિવેશનમાં જે રણકા અને ખુમારી સાથે એમણે કહ્યું હતું કે, ‘અંધેરા છટેગા, સુરજ નીકલેગા ઔર કમલ ખીલેગા’એ વાત કેન્દ્રમાં તથા દેશના ૨૦ જેટલા રાજયોમાં ભાજપા સરકારો બનતા સત્ય સાબીત થઈ છે.

માનનીય અટલજી ૨૪ જેટલા પક્ષોને સાથે રાખી અને ૬ વર્ષ સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા. દરેક સંજોગોમાં તેઓએ અડગ રહી દેશહિતને પ્રાધાન્ય આપ્યું છે. ચાહે સત્તામાં હોય કે ચાહે વિરોધપક્ષમાં હોય, ચાહે યુનોમાં ભારતનો પક્ષ રાખવાની વાત હોય, ચાહે પરમાણું પરીક્ષણની વાત હોય કે ચાહે આર્થિક પાબંદી સામેની નીતિઓની વાત હોય, તેમણે હંમેશા રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે ક્ષમતા અને શાલીનતા ગુમાવ્યા વગર કાર્ય કર્યું છે. તેઓએ વ્યકિત સે બડા દલ ઔર દલ સે બડા દેશના સુત્રને સાર્થક કરી હરહંમેશ રાષ્ટ્રહિતમાં કાર્ય કર્યું છે.

પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ પણ આદરણીય અટલજીને શ્રદ્ધાંજલી આપી શોક વ્યકત કર્યો હતો. આદરણીય અટલજીના નિધનની આ વસમી વેળાએ પ્રદેશ ભાજપાના સદસ્યતા વૃદ્ધિ અભિયાન સહિત તમામ કાર્યક્રમો હાલ પુરતા મોકુફ રાખવામાં આવ્યા છે. સદગતના અંતિમ દર્શન માટે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા આવતીકાલે સવારે દિલ્હી જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.