Abtak Media Google News

માણાવદરમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન: કોઠારી મોહન પ્રકાશદાસજી સ્વામી પોતે હળ ચલાવે છે

 

પ્રવર્તમાન સમયમાં વધુ ઉત્પાદન લેવા જમીન ઉપર ભારે અન્યાય કરવામાં આવી રહ્યો છે. રસાયણીક ખાતરોનો થતો વધારે વપરાશ જમીનને બગાડી રહ્યો છે. બેફામ રસાયણીક ખાતર વાપરવાથી પાકનો જુસ્સો, નૂર,રોગ- જીવાત પ્રતિકાર શક્તિ નષ્ટ થઇ રહી છે. મોલાત ઉપર ઊંચા પાવરની દવાનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે તેની અસર અનાજ,કઠોળ, તેલ,શાકભાજી, મરીમસાલા ,ફળ અને ધાસચારા પર પડે છે.દુધાળા પશુઓ આ ધાસ ખાય એટલે તેની અસર દુધમાં પણ વર્તાય છે. વળી અનાજ વગેરે ખાવાથી એની અસર આપણા શરીરમાં પ્રસરતા અનેક રોગો જન્મે છે… ખેતીની પેદાશ અને ગૌણ પેદાશ જીવ માત્રને નિભાવી રહી છે.આ ખેત પેદાશો જેટલી નિરોગી, સાત્વિક અને પોષક તત્વોથી ભરપુર તેટલું સૌ કોઈ જીવનું શરીર તંદુરસ્ત રહે છે.

જો આપણે તંદુરસ્ત જીવવું હોય તો સૌ પ્રથમ ઓર્ગેનિક – સજીવ ખેતી તરફ વળવું પડશે અને અન્ય ખેડૂતોને પણ સજીવ ખેતી તરફ વાળવા પડશે એમ માણાવદર સ્વામિનારાયણ મંદિર ના  કોઠારી મોહન પ્રકાશદાસજી સ્વામી જણાવ્યું છે. માણાવદરના મિતડી રોડ ઉપર આવેલ મંદિરની ખેડાણ જમીનમાં મંદિર ના કોઠારી એ સજીવ ખેતી કરી રહ્યા છે. હાલમાં ખેતરમાં કાળા ધંઉ, આયુર્વેદિક અળસી, કાળા તલ, ચણા વગેરે નું વાવેતર કરાયું છે ખુદ કોઠારી સ્વામી પોતે હળ – સાંતી ચલાવી ધરતી માતાને સજીવ ખાતરનો ખોરાક આપી રૂણ ચુકવી રહ્યા છે.કાળા ધંઉ અને અળસી કેન્સર ,ડાયાબિટીસ, બી.પી. તેમજ અન્ય ૮૦ જેટલા રોગોમાં કામ આપે છે દશપૂર્ણ અર્ક, જીવામૃત, ખાટીછાશ, ગૌમુત્ર, ગાયની છાશ, અને બેકટેરીયાથી સંત ખેતી કરે છે મોહન પ્રકાશદાસજી સ્વામી એ લોકોને ઓર્ગેનિક ( સજીવ ખેતી ) ખેતી તરફ વળવા અનુરોધ કર્યો છે. આ મંદિરની ગૌશાળામાં ૫૫ ગિર ગાયો ને સાત્વિક આહાર આપવાનો સંતનો અભિગમ છે જે ફળીભૂત થઇ રહ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.