Abtak Media Google News

એક લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા: ઓરિસ્સામાં ૧૭૦૪ કેસ

માછીમારોને ૨૦મી સુધી દરિયો ન ખેડવા ચેતવણી

બંગાળના અખાતમાં સર્જાયેલું વાવાઝોડું અમ્ફાન બપોરે અઢી કલાક ઓરિસ્સાના દરિયા કિનારે ત્રાટક્વાથી હવામાન ખાતાએ ચેતવણી આપી છે. અમ્ફાન ઉતર તરફ આગળ વધવા સાથે સાથે તીવ્ર પણ બની રહ્યું છે. આ વાવાઝોડાના કેન્દ્રમાં પવનની ગતિ ૨૦૦ કિ.મી.ના સુધી પહોંચી ગઈ છે. અમ્ફાન વાવાઝોડાથી ઓછામાં ઓછી જાનહાની અને નુકશાની થાય તે માટે સરકારે નક્કર પગલા લીધા છે.

બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું ચક્રવાત અમ્ફાન બુધવારે પશ્ચિમ બંગાળના દરિયાકિનારા સાથે ટકરાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુપર સાઇક્લોન બનેલું અમ્ફાન પારાદીપની લગભગ દક્ષિણ-દક્ષિણપૂર્વમાં ૧૨૫ કિમીથી વધી રહ્યું છે. જ્યારે ૧૫૫થી ૧૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. તોફાની પવનોની સાથે અતિભારે વરસાદ થવાની અને દરિયામાં ૪ થી ૫ મીટર ઊંચાં મોજાં ઊછળવાની સંભાવના છે.

ચક્રવાતના કેન્દ્રમાં ૨૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપ

હવામાન વિભાગે કહ્યું કે આ ચક્રવાત ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં પૂર્વ ઝડપે આગળ વધી રહ્યું છે. અનુમાન છે કે આની ગતિ વધુ વધી શકે છે. સાઇક્લોન અમ્ફાન બપોર સુધી પશ્ચિમ બંગાળના દીઘા અને બાંગ્લાદેશના હાદિયામાં ટકરાવી શકે છે. હવામાન વિભાગ મુજબ ચક્રવાતની ઝડપ સતત વધી રહી છે. ચક્રવાત અમ્ફાન કેન્દ્રમાં ૨૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.

ઓરિસ્સામાં ૧,૭૦૪ કેમ્પ

માહિતી મુજબ તોફાનના જોખમને જોતા ઓરિસ્સામાં ૧,૭૦૪ કેમ્પ બનાવવામાં આવ્યા છે. સાથે જ ૧,૧૯,૦૭૫ લોકોને દરિયાકિનારા વિસ્તારમાંથી દૂર કરી લેવામાં આવ્યા છે. કેમ્પ્સ સિવાય ઓરિસ્સામાં ૨,૦૦૦થી વધુ મકાન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જરૂરિયાત મુજબ દરિયાકાંઠાના લોકોને રાખવામાં આવશે. આ પહેલા ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના માછીમારોને ૨૦મી મે સુધી દરિયો નહીં ખેડવાની ચેતવણી જારી કરી છે. માહિતી મુજબ ઓરિસ્સામાં સવારે લગભગ ૪.૩૦ વાગ્યે અમુક વિસ્તારોમાં ૮૨ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો.

રેલવે અને સડક વ્યવહાર બંધ કરવાની સલાહ

રાજ્ય સરકારના અધિકારીઓ આ અંગે સતત બાઝ નજર રાખીને બેઠા છે. આ સિવાય એનડીઆરએફની કેટલીક ટીમોની તૈનાત પણ કરવામાં આવી છે. ઉપરાંત બંગાળ અને ઓરિસ્સાની સરકારોને સુપરસાઇક્લોનના માર્ગમાં આવતા વિસ્તારોમાં રેલવે અને સડક વ્યવહાર બંધ કરવાની સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રેલવે વિભાગને પણ કેટલીક ટ્રેન ડાઇવર્ટ કરવાની સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

એવી માહિતી છે કે ઓરિસ્સાના ભદ્રકમાં પૂરઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ દિવસના લગભગ ૨.૩૦ વાગ્યા આસપાસ ચક્રવાત ઓરિસ્સાના દરિયાકિનારે ટકરાશે.

દરિયાકિનારાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે ભારતના પૂર્વ કિનારા પર આવેલા રાજ્યો તામિલનાડુ, પોંડિચેરી, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને આસપાસના દરિયાકિનારાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. પશ્વિમ બંગાળ અને ઓરિસ્સાના દરિયાકિનારાના વિસ્તારોમાં હાઇએલર્ટની જાહેરાત કરાઇ છે. કર્ણાટકના ૧૫ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.