Abtak Media Google News

વાજસુ ખાચરે વર્ષ ૧૮૦૧માં બંધાવેલા આ ગઢની હજુ સુધી એક કાંકરી પણ ખરી નથી: રોચક ઈતિહાસ ધરાવતા આ ગઢની ફરતે આવેલુ કુદરતી સૌદર્ય તેની શોભામાં અભિવૃધ્ધિ કરે છે

જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એજ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.

આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઇતિહાસ જાણવા જેવો છે. પંચાળ પંથકમાં કોલીથડ બાજુથી ભાકુંભાજી જાડેજાએ કોળીની વસતિને તગેડી મુકેલી જેને જસદણના ખાચર દરબારોએ આશરો આપીને પોતાના પંથકમાં વસાવેલી.

કોળી-પટેલોની વસતિ એ જમાનામાં ભારે ખેપાની ગણાતી.

 આંખે અને પગે ઊપાડી જાય એવા અઠંગ તરકીબ બાજો હતા. પરંતુ ઇ.સ. ૧૭૯૫ની આસપાસ ભોંયરા ગામ જે હાલ હિંગોળગઢની તળેટીમાં આવેલું છે. ત્યાંના ઓઢા ખાચરના દીકરા વાજસૂર ખાચરને જસદણની બાગદોર સંભાળવા વિનંતી કરી.

સેલા ખાચરે ઘોડી અને તલવાર વાજસૂર ખાચરને  સોંપી જસદણની ગાદીએ બેસાડયા. વીર વાજસૂર ખાચર તે જમાનાના કાઠી સરદારોમાં મુખ્ય હતા અને તેમણે હામ,દામ, શામ અને દંડથી અરાજક તત્વોને દાબીને જસદણના બેતાલીસ ગામોમાં શાંતિ સ્થાપી હતી.

પોતાના પંથકમાં લોકો સુખ-શાંતિથી જીવે એટલા માટે વાજસૂરે જસદણઅને વીંછીયા વચ્ચે આવેલી મોતીસરીની વીડ તરીકે પંકાતા ઊંચા ટેકરા ઉપર જબરો ગઢ બાંધવાનું નક્કી કર્યું.

પ્રથમ વખત કહેવાય છે કે જે ટેકરા પર ગઢ બાંધવાની વાજસૂર ખાચરે શરૃઆત કરેલી ત્યાં જામનગરના સેનાધિપતી મેરૃ ખવાસે જામ જસાજીને ચડાવીને ગાયકવાડી લશ્કરની મદદથી ગઢ તોડાવી પાડેલા તેમ છતાં વીર વાજસૂર ખાચર હતાશ બન્યા નહીં.

જામ જસાજીના લગ્ન ધાંગધ્રાના પ્રધાન રાજા સાહેબ શ્રી ગજસિંહજીના કુંવરી બા સાથે થયા ત્યારે મૈત્રાચારીનો હાથ લંબાવતા જસદણ બાજુ આવેલા આટકોટ ગામ જામ જસાજીએ હાથ ઘરણામાં ભેટ ધર્યું અને જામનગર સાથેજસદણની ભાઇબંધી પાકી થઇ.

એક અવરોધ દૂર થયો એટલે ઇ.સ. ૧૮૦૧ની સાલમાં શુભ મુર્હતે વાજસૂર ખાચરે મોતીસરીની વીડના બીજા ડુંગર પર ગઢ બાંધવાની શરૃઆત કરી.

શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું. હિંગોળગઢ આટલા પંથકની શોભારૃપ ગણાય છે.

સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશથી વાતો  કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી ૩૩૫ મીટર ઊંચો છે (૧૧૦૦ફૂટ) ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.

આ હિંગોળગઢની શોભા ચોમાસાની ઋતુમાં ખુબ જ અનોખી હોય છે. ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકાર તો હોય તેવું લાગે છે.

આ હિંગોળગઢની રચના યુદ્ધની દ્રષ્ટિએ અને વ્યુહાત્મક રીતે ઘણી ઉત્તમ છે. જાણે યુરોપની ધરતીનો નમૂનો જ જોઇ લ્યો. આ ગઢને ફક્ત પશ્ચિમે જસદણ બાજુ એક જ દરવાજો છે. દરવાજો વટાવીને અંદર પ્રવેશતાંની સાથે જ મોટો ચોક આવે છે. આ ગઢમાં વાજસૂર ખાચર વખતની જુનવાણી તોપો જોવા મળે છે.

અનાજના મોટા કોઠારો, પાણીના મોટા ટાંકાઓ વગેરે દરેક જાતની સગવડો અહીં છે. લડાઇના વખતમાં આ કિલ્લો દરેક રીતે સંપૂર્ણ નિર્ભય બનાવે તેવી ઢબે બાંધેલો છે.

કહેવાય છે કે, કાઠિયાવાડમાં આવા બીજા પાંચ કિલ્લા આવેલા છે. તેમાં એક ખીરસરાનો, બીજો જામનગરનો બરડા ધક્કામાં મોડ પરનો, ત્રીજો રાજપરાનો, ચોથોગોંડલ તાબાના અનળગઢનો અને પાંચમો ભિમોરાનો ગઢ આ બધામાં ’હિંગોળગઢ આજની તારીખમાં અડીખમ ઊભો છે.  તેની એક કાંકરી પણ ખરી નથી એવુ બાંધકામ કરવામાં આવેલું છે.

હિંગોળમાતાની મેડીમાં મોટા વાજસૂર ખાચરના હથિયારો તે વખતમાં રાખવામાં આવતા હતા. વીંછીયાથી આવતા સામા દેખાતા રાજહેલસમાં હિંગોળગઢની શોભા જોવા જેવી છે. ઝરૃખાઓ અને રંગબેરંગી કાચની બારીઓ તથા બારણાઓ ખુબ જ સુંદર લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.