Abtak Media Google News

દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આયોજિત ત્રી દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા : રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લીધો

ટંકારામા મહાશિવરાત્રીના દિવસે મહર્ષિ દયાનંદ સરસ્વતીનો બોધોત્સવ પર્વ વષોઁથી ઉજવવામા આવે છે. જે અર્ંતગત તા. ૨૦, ૨૧, ૨૨ ફેબુઆરી એ ત્રિદિવસીય બોધોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે બીજો દિવસ છે. દેશભરના જુદા-જુદા રાજયોમાંથી આર્યસમાજના લોકો અહી ઉમટી પડ્યા છે. તેમજ આજે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મહામહીમ રાજ્યપાલ દેવવ્રતજી અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. શિવરાત્રીએ સામવેદ પારાયણ યજ્ઞની પુર્ણ આહુતિ આપી ૐ ધ્વજને લહેરાવામા આવ્યો હતો. ત્યારબાદ વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી ઋષી ગાથાનુ ગાન કર્યું હતું. આ અવસરે શહેરના મુખ્ય માર્ગો રોશનીથી ઝળહળી ઉઠયા છે. જેનો અનેરો આનંદ લોકોએ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે ટંકારામા સામાન્ય ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારના કરશનજીભાઇ ત્રિવેદીના ઘરે ૧૨ ફેબ્રુઆરી, ૧૮૨૪ના રોજ જન્મેલા મૂળશંકર નામના બાળકને ચૌદ વર્ષની ઉમરે મહાશિવરાત્રિની મધ્યરાત્રીના ચારપ્રહરની શિવમંદિરમા શિવપૂજા દરમિયાન શિવલિંગ ઉપર ઉંદરને ફરતો જોઇને અંતરાત્માનો અવાજ સાંભળીને ઘર-પરિવાર ત્યાગી અને પોતાનુ ગામ છોડીને શિવ ની શોધમાં નિકળી પડયા હતા. અને ભારતભ્રમણ કરીને સમય જતા આર્યસમાજની સ્થાપના કરીને વૈદિક ધર્મ સ્થાપ્યો હતો. અને સમાજમા પ્રવર્તતી કુરિવાજોની બદી સામે બંડ પોકારી ક્રાંતિકારી સંત તરીકે મહર્ષિ દયાનંદ સરસ્વતી ઓળખ પામ્યા હતા.

સૌ પ્રથમ દયાનંદ સરસ્વતીએ મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી હતી. મહર્ષિએ સત્યાર્થપ્રકાશ નામના ગ્રંથની રચના પણ કરી હતી. સને ૧૯૫૯મા પોરબંદરના શેઠ નાનજી કાલિદાસે તે સમયના ટંકારાના રાજવી પરિવાર પાસેથી રાજવી મહેલ સવા લાખ રૂપિયામા ખરીદી આર્ય સમાજ સંસ્થાને અર્પણ કર્યો હતો. અને ત્યારથી ટંકારામા આર્યસમાજની શરૂઆત થઇ હતી. તે સમયથી આર્યસમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી ને મહાશિવરાત્રિએ બોધ પ્રાપ્ત થયાનું માનીને ૠષિ બોધોત્સવ પર્વ ઉજવવામા આવે છે. દર વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન ત્રિદિવસીય ઉજવણી આર્યસમાજ સંસ્થા દ્વારા કરાઈ છે. દેશભરના જુદા-જુદા પ્રાંતમાંથી આર્ય સમાજના લોકો ઉમટી પડે છે. અને મહર્ષિની જન્મભૂમિમા પધારી ચારધામની યાત્રા જેટલુ પૂણ્ય કમાયાની લાગણી અનુભવે છે.

જે અર્ંતગત તા. ૨૦ થી ૨૨ ફેબ્રુઆરી સુધી ઋષિ બોધોત્સવ ઉજવાય રહ્યો છે. મહાશિવરાત્રિના દિને વૈદિક ધમઁના પ્રચારકો દ્વારા ૠષિ બોધોત્સવ માટે અંદાજે દેશભરના જુદા-જુદા રાજયોમાંથી આયઁસમાજના લોકો ટંકારા ખાતે આવ્યા છે. આ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા.અને તેઓએ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લીધો હતો.  શિવરાત્રીના દિવસે સવારે ઓમ ધ્વજનુ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.બાદમા શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. શોભાયાત્રામા વૈદિકધર્મનો પ્રચાર, આર્યસમાજ સંસ્થાની પ્રવૃતિની સમજ આપતા બેનરનું પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાનુ શહેરભરમાં ભવ્ય સ્વાગત પણ થયું હતું.  સૌથી મહત્વની બાબત મુસ્લિમ સમાજ દ્વારા પણ કોમીએકતાની ભાવના ચરિતાર્થ કરીને આર્યસમાજની શોભાયાત્રાનું સન્માન કરાયું હતુ. બપોરના સમયે દયાનંદ સરસ્વતીની શ્રધ્ધાંજલિ સભા યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે ટૃસ્ટના આચાર્ય રામદેવ શાસ્ત્રી ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.