Abtak Media Google News

૪ લાખ ખેડૂતોને ખાસ સહાય પેકેજનો લાભ મળશે: ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેઓને પ્રતિ હેકટર રૂ.૧૩,૫૦૦ અપાશે: સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી

ભારે અને કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં થયેલી પારાવાર નુકશાની માટે રૂપાણી સરકારે રૂ.૭૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેનો લાભ રાજ્યના ૪ લાખથી વધુ ખેડૂતોને મળશે.

રાહત પેકેજમાં ૩૩ % થી વધુ નુકશાન થયુ હોય ત્યા પિયત પાકોમાં રૂ.૧૩,૫૦૦ પ્રતિ હેક્ટર અને બિન-પિયત પાકોમાં રૂ.૬૮૦૦ પ્રતિ હેક્ટર સહાય અપાશે. જે ખેડૂતોને કમોસમી વરસાદમાં ૩૩ % કરતાં ઓછું નુકશાન થયુ હશે તેમને પણ રાજ્ય સરકાર સહાય આપશે.

આગામી ૧૮મી નવેમ્બરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે ત્યારે રાજ્યમાં થયેલ ભારે તથા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને ખેતીના પાકમાં નુકશાન થયુ છે તે સંદર્ભે અંદાજે રૂ.૭૦૦ કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે. આ ખાસ સહાય પેકેજનો લાભ ૪ લાખથી વધુ ખેડૂતોને મળશે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાન સંદર્ભે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો છે. કેન્દ્ર સરકારના કેલીમીટી રીલીફ ફંડના ધારાધોરણ મુજબ જે પાકમાં ૩૩ % થી વધારે નુકશાન થયુ હોય ત્યાં પિયત પાકોમાં પ્રતિ હેક્ટર રૂ.૧૩૫૦૦ અને બિન-પિયત પાકોમાં પ્રતિ હેક્ટર રૂ.૬૮૦૦ ની સહાય ચુકવવામાં આવશે.

પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ચાલુ વર્ષે થયેલ ભારે વરસાદ તથા કમોસમી વરસાદને પરિણામે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જુલાઇ-ઓગસ્ટ-સપ્ટેમ્બર માસ દરમ્યાન થયેલ ભારે વરસાદ તેમજ ઓક્ટોબર અંતિત અને નવેમ્બરના પ્રથમ અઠવાડીયામાં થયેલ ખેડૂતોના પાકને નુકશાન થયુ હતુ તે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત સરવેની કામગીરી શરૂ કરી હતી જે પૂર્ણતાના આરે છે.

આ ઉપરાંત કમોસમી વરસાદના સરવેમાં ખેડૂતોના પાકને જે નુકશાન થયુ છે પરંતુ નુકશાન નિર્ધારીત ધોરણ ૩૩ % કરતા ઓછુ છે તે ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય કરવાનો નિર્ણય કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૪ લાખથી વધુ ખેડૂતોને રૂ.૭૦૦ કરોડની કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય આપવામાં આવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં વિમો લેનાર ખેડૂતોને પાક વિમા યોજનાની ગાઇડલાઇન મુજબનો લાભ અલગથી મળશે. રાજ્યમાં થયેલ માવઠાને લીધે મગફળીની ટેકાના ભાવે ખરીદી મુલતવી રખાઇ હતી તે આગામી ૧૮ મી નવેમ્બર થી પુન: ખરીદી શરૂ કરાશે.

રાજ્યમાં સારા ચોમાસાને કારણે ખરીફ ઋતુમાં ૮૬.૭૭ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ, મગફળી, ડાંગર, કઠોળ પાકો દિવેલા તલ વિગેરે પાકોનું સારા પ્રમાણમાં વાવેતર થયુ છે કપાસનું ૯૦ લાખથી વધુ ગાંસડી મગફળીઓ અંદાજે ૨૫ લાખ મેટ્રીક ટનથી વધુ, ડાંગરનું ૨૦ લાખ મેટ્રીક ટનથી વધુ અને દિવેલાનું ૧૪ લાખથી વધુ મેટ્રીક ટન ઉત્પાદન અંદાજવામાં આવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.