Abtak Media Google News

ગાંધીધામ નગરપાલિકાના વિસ્તારમાં અવાર નવાર લોકોની ફરિયાદ હોવા છતાં નગરપાલિકા દ્વારા ગેરવહિવટને લઇને લોકો બૂમરાડ પાડી રહ્યા છે. રજુઆત કરવામાં આવ્યા છતાં પગલાં ભરાતા નથી. આવા કેટલાક કિસ્સાઓને કારણે પાલિકા પર હવે લોકોને ભરોસો ન રહે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ગુરૂકુળ વિસ્તારમાં ગટરના પાણી મુદ્દે રહિશોના આકરા તેવર પછી પણ સંપૂર્ણ રીતે આ પોશ વિસ્તારમાં સમસ્યા ઉકેલી શકાઇ ન હતી. રસ્તા પર પડેલા ખાડા દૂર કરવા કરેલી માગણીને પણ નજર અંદાજ કરતાં ગુરૂકુળ યુથ ક્લબે રૂ.૨ લાખનો ફાળો એકત્ર કરીને રોડ બનાવી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ કર્યું હતું. હવે વરસાદ બાદ માખી-મચ્છરનો ત્રાસ વધી રહ્યો છે તેને લીધે રોગચાળો વધુ ન વકરે તે માટે માનવતા ગૃપને સાથે રાખીને શેરીઓમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાની કામગીરીથી નારાજ થઇને સંસ્થાઓએ શરૂ કરેલા આ વ્યાયામમાં પ્રકાશ ઠક્કર, જે.જે.ઠક્કર, દિનેશભાઇ શર્મા, વિપુલભાઇ, મનોજભાઇ પટેલ, મુળજીભાઇ ગઢવી, માનવતા ગ્રૂપ સંસ્થાના ગોવિંદભાઇ દનિચા વગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.