Abtak Media Google News

ખેડૂતોની આવક બમણી કરી કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ, સદ્ધર અને વિશ્ર્વ સમોવડી બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓના અમલના માહોલ વચ્ચે સૌપ્રથમવાર કોર્પોરેટ કંપની અને ખેડૂતો વચ્ચે કર્ણાટકમાં થયેલા એક વ્યવહારમાં રિલાયન્સે લઘુતમ ટેકાના ભાવોથી મોંઘા ચોખા ખરીદવાનો સોદો કર્યો હતો. કોર્પોરેટ જગત અને ખેડૂતો વચ્ચે એપીએમસી બીલના અમલ દરમિયાન કર્ણાટક રિલાયન્સ રીટેલ લીમીટેડે રાયચુરના સિંધાલુણ તાલુકામાં ચોખાની ૧૦૦૦ ક્વીન્ટલની ખરીદી લઘુતમ ટેકાના ભાવથી વધુ કિંમતે કરવાનો સોદો કર્યો હતો.  એક પખવાડિયા પહેલા રિલાયન્સે સ્વાસ્થ્ય ફાર્મર પ્રોડ્યુશર કંપની સાથે થયેલા ચોખા ખરીદવાના કરારને અટકાવવાનો નિર્ણય કર્યો હતો. ૧૧૦૦ જેટલા ચોખા ઉગાડનાર ખેડૂતોએ નોંધાવેલા ચોખામાં ભેજ ૧૬ ટકા ઓછુ હોવું જોઈએ. કંપનીએ ૧૯૫૦ રૂપિયા પ્રતિ ક્વીન્ટલના ભાવે સોના મસુરી ચોખા ખરીદવાનું નક્કી કર્યું હતું જે લઘુતમ ટેકાના ભાવથી ૮૨ રૂપિયા વધુ છે. એસએફપીસી અને ખેડૂતો વચ્ચે આ સોદામાં ૧૫ ટકા કમિશન પ્રતિ ટ્રાન્જેકશનના ૧૦૦ રૂપિયા લેખે નક્કી થયું હતું. જે ખેડૂતો માટે પરવડે તેમ ન હતું.

એસએફપીસી મેનેજીંગ ડિરેકટર મલ્લીકાર્જુનએ જણાવ્યું હતું કે, ગુણવત્તાવાળા ચોખા હવે ત્રીજીવાર ચકાસવામાં આવશે. એક વખત ગુણવત્તા સંતોષજનક રીતે થશે તો રિલાયન્સ ૫૦૦ ક્ધવીન્ટલ વેર હાઉસનો માલ ખરીદશે.  એકવાર ગુણવત્તા સંતોષજનક રીતે ચકાસાય જાય પછી માલ લઈ લેશે. અત્યારે ખરીદી કોઈપણ સમયે થાય તેવી અપેક્ષા છે. રિલાયન્સ નાણા ખેડૂતોના ખાતામાં સીધા જ જમા કરશે. કોઈપણ તબક્કે માલમાં ચેડા ન થાય, ચોખાના પરિવહન માટે વાહનો પર જીપીએસ લગાવવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવથી વધુ પૈસાથી માલ ખરીદવાની કોર્પોરેટ જગતની આ દિલેરી સામે એવી પણ ચર્ચા થાય છે કે, કંપની શરૂઆતમાં લઘુતમ ટેકાના ભાવ આપી ખેડૂતોને લલચાવશે. જેનાથી માર્કેટ યાર્ડની વ્યવસ્થા તૂટી પડશે. અને પછી કોર્પોરેટ કંપનીઓ ખેડૂતોનું શોષણ કરશે. તેમની સામે સાવચેત રહેવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.