Abtak Media Google News

પોપટપરા અને રોણકી વિસ્તારમાં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનની લાઇનમાંથી કનેકશન લીધાનું ખુલ્યું: કનેકશન કપાત કરી સીલ કરાયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજનું ગંદુ પાણી પોપટપરા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનથી પંપ કરી માધાપર ખાતેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોચાડવા પાઇપ લાઇન નાખવામાં આવેલ છે. આ ગંદા પાણીને કોઇ પણ ટ્રીટમેન્ટ કર્યા સિવાય સીધુ કોઇ પણ હેતુ જેવા કે ગાર્ડનીંગ ખેતી, વોશિંગ વગેરે માટે વાપરી શકાય નહી.

આ ગંદુ પાણી સીધું વાપરવાથી પર્યાવરણને નુકશાન થાય તેમજ આરોગ્ય માટે ખુબ જ હાનીકારક છે. પોપટપરા તથા રોણકી વિસ્તારમાં ખેતી કરતા અમુકે આસામીઓ દ્વારા જુદી જુદી ચાર જગ્યાએ લાઇનમાં ચેડા કરીને કનેકશન કરી ગંદા પાણીનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવતો હોવાનું ઘ્યાને આવતા કનેકશનો કપાત કરીને સીલ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધાપર ખાતેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુઘ્ધ થતાં ગંદા પાણીનો ઉપયોગ ખેતી તેમજ અન્ય હેતુ માટે થઇ શકે તે હેતુથી નીતી નકકી કરવામાં આવેલ છે. જે અંતર્ગત કોઇપણ ખેડુતો સહકારી મંડળીના સભ્ય બનીને ધોરણસર અરજી કરીને પાણી મેળવી શકશે જેથી કોઇ પણ ખેડુતે ટ્રીટ થયા વિનાના ગંદા પાણીનો સીઘ્ધો ઉપયોગ ખેતી માટે કરવાનો થતો નથી.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર ચેતવણી આપવામાં આવે છે કે ભવિષ્યમાં જો કોઇ ઇસમો  દ્વારા સદરહું  લાઇન સાથે ચેડા કરીને કનેકશન લેવામાં આવશે. તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવા ઇસમો  સામે કાયદાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.