Abtak Media Google News

ભાવિકો ઘરે બેઠા માતાજીની આરાધના કરી શકે તેવી વ્યવસ્થા: નવી ગાઇડ લાઇન મુજબ હવે ધ્વજા રોહણ કાર્યક્રમમાં ૧૦૦ લોકો સુધીની સંખ્યામાં ભક્તો જોડાઇ શકશે

૧૭ ઓક્ટોબરથી માતાજીની આરાધનાના સૌથી મોટા પર્વ નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે. નવરાત્રિમાં ભક્તો વિશેષ પ્રકારે માતાજીની પૂજા-અર્ચના કરતાં હોય છે.  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની પણ પરંપરા રહી છે કે પ્રથમ નોરતે છેલ્લા નવ વર્ષથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરાય છે અને નવે નવ દિવસ માતાજીની આરતી, હવન અને ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહભેર મંદિરે ઉજવાય છે સાથે જ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ૨૦થી વધુ જગ્યાએ  ખોડલધામ રાસોત્સવનું પણ દર વર્ષે આયોજન કરાય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે તમામ રાસોત્સવ અને પદયાત્રાનું આયોજન રદ કરવામાં આવ્યું છે. તેવામાં ભક્તો ઘરે રહીને માતાજીની આરાધના કરી શકે તે માટે પ્રથમ નોરતે ૧૭ ઓક્ટોબરના રોજ  ખોડલધામ મંદિરથી સંધ્યા આરતી ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ કરવામાં આવશે જેનો દેશ-વિદેશના ભક્તો લ્હાવો લઈ શકશે.

નવરાત્રિમાં ભક્તોને માતાજીના દર્શન અને આરતીનો લ્હાવો લેવાની વિશેષ ઇચ્છા હોય છે. પરંતુ હાલ મહામારીની કપરી પરિસ્થિતિમાં  ખોડલધામ મંદિરે વધુ લોકો એકઠાં ન થાય તેનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે. જેને લઈને ભક્તો ઘરે બેઠાં જ માતાજીની આરતીના દર્શન કરી શકે તે માટે પ્રથમ નોરતે સંધ્યા આરતીના લાઈવ દર્શન ભક્તોને થઈ શકે તેવું આયોજન  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કરાયું છે. સાથે જ  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ઓફિશિયલ વેબસાઈટનું રિ-લોન્ચિંગ પણ કરાશે. પ્રથમ નોરતે સાંજે ૬-૩૦ કલાકે મંદિરેથી  ખોડલધામ ટ્રસ્ટના ઓફિશિયલ ફેસબુક પેઈજ, યુટ્યૂબ ચેનલ અને વેબસાઈટ પર આરતીના દર્શન લાઈવ કરવામાં આવશે. જેથી ભક્તો ઘરે રહીને જ માતાજીની આરતીનો લ્હાવો પરિવાર સાથે લઈ શકે. આથી  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ભક્તોને અનુરોધ કરવામાં આવે છે કે પ્રથમ નોરતે સાંજે ૬-૩૦ કલાકે ખોડલધામ મંદિરની આરતીના ઓનલાઈન દર્શનની સાથે સાથે પોતાના ઘરે પણ આરતી કરે અને નવરાત્રિના પર્વનો પ્રારંભ કરે.

મહત્વનું છે કે, સરકાર દ્વારા તાજેતરમાં નવી ગાઈડલાઈન બહાર પડાઈ છે. જેમાં ધાર્મિક કાર્યક્રમોમાં ૧૦૦ લોકો સુધીની મર્યાદામાં એકત્ર થવાની મંજૂરી આપવામાં આવી છે. જેને આધિન  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્ણય લેવાયો છે કે ખોડલધામ મંદિરે યોજાતા ધ્વજારોહણ કાર્યક્રમમાં હવેથી ૧૦૦ લોકો સુધીની મર્યાદામાં ભક્તો જોડાઈ શકશે.ઉપરાંત  ખોડલધામ મંદિર પરિસરના અન્નપૂર્ણાલયને પણ ભક્તો માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. ભક્તોએ મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, ફરજિયાત માસ્ક પહેરવું, હાથ સેનિટાઈઝ કરીને જ મંદિરમાં પ્રવેશ સહિતની કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.