Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ર્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિસંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨ ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિનાં શ્રદ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રદ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને સામાજીક પ્રવૃતિઓ કરતા ઈસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહીં. તાજેતરમાં ભારતીય સેના દ્વારા સીમા પરનાં ત્રાસવાદ ફેલાવતા ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઈક બાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી જુથો દેશનાં મહત્વનાં ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વનાં ધાર્મિક સ્થળો, ભીડવાળા સ્થળોએ હુમલા કરી, ભાગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃતિઓનાં કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી ડો.નરેન્દ્રકુમાર મીના, જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની ‚એ એક જાહેરનામું પ્રસિઘ્ધ કરી જિલ્લામાં આવેલ ૨૧ ટાપુઓ ઉપર ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી મેજીસ્ટ્રેટની લેખીત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું ૨૮ જુલાઈથી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.