Abtak Media Google News

દર્દીઓને દરેક તકલીફમાંથી મુક્તિ અપાવવા તબીબો સતત પ્રયત્નશીલ

જી જી હોસ્પિટલના ગાયનેક વિભાગે વર્ષમાં ૧૦ હજારથી વધુ પ્રસુતિ કરી

જામનગરની જી.જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી જૂની હોસ્પિટલોમાંની એક છે અને સાથે જ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલોમાં પણ એક છે. અહીં રોજ હજારોની સંખ્યામાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે. કોરોનાના કપરા કાળમાં જી.જી.હોસ્પિટલમાં કોવિડ માટેની સુવિધાઓનું નિર્માણ પણ ખૂબ સારું કરવામાં આવ્યું પરંતુ આ સાથે જ નોન કોવિડ સેવાઓ પણ જી.જી. હોસ્પિટલ ખાતે સતત કાર્યરત હતી. નોન કોવિડ દર્દીઓને પણ દરેક પ્રકારની તકલીફોમાંથી મુક્તિ અપાવવા હોસ્પિટલના ડોક્ટરો સતત પ્રયત્નશીલ હતા.

વર્ષ દરમિયાન ગાયનેક વિભાગ દ્વારા જી.જી.હોસ્પિટલમાં દસ હજારથી વધુ સફળ પ્રસુતિઓ કરાવાઇ છે. જેમાં સિઝેરિયન પ્રસુતિઓ અને ઘણી અતિ જટિલ તકલીફો ધરાવતી પ્રસુતિઓને પણ અહીં સફળતાપૂર્વક કરાવાઈ છે. અનેક પ્રસૂતાઓના મુખ પરની ખુશી જી.જી હોસ્પિટલના ગાયનેક ડોક્ટરોની સેવા અને તેમની  કર્મઠતાના દર્શન કરાવી જાય છે.

જી.જી.હોસ્પિટલમાં ૩૧ તારીખે તંદુરસ્ત બાળકને જન્મ આપનાર પ્રસૂતા જલ્પાબેન દાઉદિયા કહે છે કે, મારી ૯ મહીનાની સંપૂર્ણ સગર્ભાવસ્થા દરમ્યાન મારા રિપોર્ટ, દવાઓ, સમયસરનું ચેકઅપ વગેરે જી.જી.હોસ્પિટલમાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે. વળી પ્રસુતિ સમયની અને સગર્ભાવસ્થા દરમિયાન મારી અનેક મૂંઝવણોનું માર્ગદર્શન પણ મને અહીંના ડોક્ટરો દ્વારા ખૂબ સારી રીતે મળ્યું છે. ૩૧ તારીખના રોજ મારા દીકરાના જન્મની ખુશી સાથે અહીંના ડોક્ટર પરિવારને અને મારા જેવી અન્ય માતાઓને પણ સામેલ કરવાની ઈચ્છા સાથે જી.જી. હોસ્પિટલની સેવાને બિરદાવતા મારા નવા વર્ષની ઉજવણી સાથે ખુશીથી વોર્ડને શણગાર્યું પણ છે.

Img 20210103 Wa0024

સામાન્ય રીતે લોકોમાં સરકારી હોસ્પિટલને લઈને એક ખોટો ખ્યાલ જોવા મળે છે પરંતુ મારી સંપૂર્ણ સારવાર અને હાલમાં મારા બાળકના જન્મ બાદની અત્યારની પરિસ્થિતિમાં પણ ક્યારેય મને જી.જી.હોસ્પિટલ તરફથી કોઈ તકલીફ થઈ નથી અને આથી જ હું મારા સ્વાનુભવે કહું છું કે, લોકોમાં સરકારી હોસ્પિટલ વિશેના જે ખ્યાલો છે તેને જી.જી. હોસ્પિટલની સેવાઓ સંપૂર્ણ ખોટા પાડે છે. વળી અન્ય એક પ્રસૂતા જલ્પાબેન ખાણધર પણ કહે છે કે, જી.જી હોસ્પિટલની સ્વચ્છતા, ડોક્ટરોના પ્રતિભાવ અને સમયસરની સારવાર બધું જ અત્યંત સારું છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં જે મોંઘીદાટ સેવાઓ મળે છે તેની સામે સરકાર દ્વારા વિનામૂલ્યે આ અત્યંત સારી સેવાઓ મને અહીં મળી છે અને આ માટે રાજ્ય સરકારની ખુબ ખુબ આભારી છું. ગાયનેક વિભાગ અતિ જુનો વિભાગ હોવાથી હાલમાં રાજ્ય સરકાર દ્વારા ત્રણ કરોડના ખર્ચે સંપૂર્ણ ગાયનેક વિભાગનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને તમામ પ્રાથમિક સગવડો સારામાં સારી રીતે દર્દીને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કામનું ભારણ કોવિડ સમયગાળા દરમિયાન વધી જતા દર્દીઓને કોઇ તકલીફનો સામનો ન કરવો પડે તે માટે વધુ ૩૦ બેડનો વોર્ડ અને એક ૨૦ બેડનો સંપૂર્ણ રિનોવેટેડ વોર્ડ ગાયનેક વિભાગને આપવામાં આવ્યો છે. વળી ૨૦૧૮-૧૯ના નવા અંદાજો દરમિયાન સરકાર દ્વારા ૨૫ કરોડ રૂપિયા હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી નવા એમ.સી.એચ બિલ્ડિંગ બનાવવા માટેની કામગીરી લગભગ પ્રાથમિક કક્ષાએ પૂર્ણ થઈ ચૂકી છે. મેપિંગ અને જમીનની ફાળવણી થઈ ચૂકી છે અને બહુ જ ટૂંક સમયમાં જામનગર જિલ્લાની પ્રજાને અત્યાધુનિક ૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી એમ.સી.એચ બિલ્ડીંગ મળશે.

આમ જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગની સેવાઓ અવિરત ચાલુ રહી છે અને ડોક્ટરો દ્વારા માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યની ખૂબ જ સારી દરકાર લેવાઇ રહી છે. હોસ્પિટલ ખાતે પ્રસુતાઓને મદદરૂપ થવા હેલ્પ ડેસ્ક કાર્યરત છે, સગર્ભાઓના ચોકસાઇપૂર્વકના નિદાન માટે સોનોગ્રાફી ચેકઅપ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તો સાથે જ ઓછા વજન ધરાવતા કે અન્ય તકલીફો ધરાવતાં નવજાતો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે ખાસ વોર્ડ સજ્જ છે.

મેડિકલ કોલેજના ડીન શું કહે છે?

Img 20210103 Wa0021

એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઇએ હોસ્પિટલ ખાતેની અન્ય વ્યવસ્થાઓ અને સુવિધાઓ વિષે જણાવ્યું હતું કે, ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે કાર્યરત ગાયનેક વિભાગ કદાચ ગુજરાતમાં દ્વિતીય નંબરની કામગીરી બજાવે છે. જેમાં અત્યંત જટિલ ઓપરેશન, નોર્મલ પ્રસુતિ, સિઝેરિયન પ્રસૂતિનો રેટ પણ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરનો છે. હોસ્પિટલ ખાતે સરકારની તમામ યોજનાઓનો ફાયદો લાભાર્થીઓને આપવામાં આવે છે. જેવી કે, પ્રસૂતિ બાદ પ્રસૂતાને પોતાના વાહનની વ્યવસ્થા ન હોય તો માતા અને બાળકને ખિલખિલાટવાન દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવે છે. આ માટેના વાહનો પણ દર્દીઓની સંખ્યા પ્રમાણે હોસ્પિટલ ખાતે વધારવામાં આવે છે. હાલમાં જી.જી. હોસ્પિટલ ખાતે ૭ ખિલખિલાટ વાન ફરજ બજાવી રહી છે. તો પ્રસુતાઓને સુખડી, આવશ્યક ડાયટ પ્રમાણેનું ભોજન પણ અહીં આપવામાં આવે છે.

ગાયનેક વિભાગના વડા ડો.નલીની આનંદ શું કહે છે?

Img 20210103 Wa0020

ગાયનેક વિભાગની સુવિધાઓ વિશે જણાવતા જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડો. નલિની આનંદ કહે છે કે, જી.જી.હોસ્પિટલ ખાતે રોજની ૩૫થી ૪૦ પ્રસુતિઓ કરાવવામાં આવે છે. આ વર્ષે જી.જી. હોસ્પિટલમાં દસ હજારથી વધુ પ્રસુતિઓ કરાવવામાં આવી છે. જેમાંની ૨૦% જેટલી સિઝેરિયન  અને અન્ય જટિલ તકલીફો સાથેની પ્રસુતિઓ પણ વિભાગ દ્વારા સફળતાપૂર્વક કરાવાઇ છે. આ ઉપરાંત સ્ત્રીઓને લગતા અન્ય રોગો અને તકલીફો માટે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન અને આવશ્યક ઓપરેશન કરવા માટે અત્યાધુનિક ઓબ્સ્ટેટ્રીકસ ઓપરેશન થિયેટરની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.