Abtak Media Google News

કોરોના તો પછી મારશે પહેલા હોસ્પિટલ જ મારી નાખશે !!

છાસવારે બનતી આગની ઘટનાઓ, તંત્ર પણ ઘોડા છૂટયા બાદ જ તબેલે તાળા મારવા દોડે છે

છેલ્લા ૪ મહિનામાં રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગર સહિતનાં શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બન્યા છે. ત્યારે આ આગે નિર્દોષ દર્દીઓના ભોગ લીધા છે. અત્યારસુધીમાં અમદાવાદ અને રાજકોટની કોવિડ હોસ્પિટલની આગમાં ૧૩ દર્દી ભડથું થયા છે.

અવારનવાર કોવિડ સહિતની હોસ્પિટલોમાં આગના બનાવ બનતા રહે છે. ઘટના બને ત્યારે સરકાર તપાસપંચ રચીને છટકતી રહે છે. ઉદય શિવાનંદ હોસ્પિટલના આગના બનાવમાં પણ સરકારે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને તપાસ સોંપી છે. હાઈકોર્ટ પણ સરકાર સામે કડક વલણ અખત્યાર કરે છે છતાં કોવિડ હોસ્પિટલમાં સરકારે એવી કોઈ ખાસ કાર્યવાહી નથી કરી કે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવ્યું છે. આગની ઘટનાઓ રોકી શકાય. હોસ્પિટલમાં નાનકડો સ્પાર્ક થાય તોપણ આગ લાગે છે. ત્યારે રાજ્યમાં આગના બનાવો રોકાતા જ નથી અને બધું જ અધ્ધરતાલ ચાલી રહ્યું છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ૬ ઓગસ્ટના રોજ આગ લાગી હતી, જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા ૮ દર્દીનાં મોત થયાં હતાં. મૃતકોમાં ૫ પુરુષ અને ૩ મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.

૨૫ ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં ૯ દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતાં જ ૪ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂ લીધી હતી તેમજ સ્થાનિકોએ ICU વિભાગમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા.

ગત સપ્ટેમ્બર મહિનાની ૮ તારીખે વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-૨ વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું.

ત્યાર બાદ ફાયરબ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. વોર્ડમાં આગ લાગી હતી ત્યાં રહેલા કોરોનાના દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૫૦ જેટલા દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે જાનહાનિ ટળી હતી.રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં ૫ લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના ૩૩ દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે ૧૨.૨૦ વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં ૫ દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.