Abtak Media Google News

 દર્દીઓને આત્મીયતાસભર હુંફ આપતી સચોટ સારવાર મળતી હોવાનો સુર

રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં કાર્યરત ફરજનિષ્ઠ આરોગ્યકર્મીઓની સઘન અને સમયસરની સારવારને પ્રતાપે વધુ ને વધુ દર્દીઓ કોરોનામુક્ત થઇ રહ્યા છે. જેના થકી રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્ર્મણ મહદઅંશે ઘટવા લાગ્યું છે. જ્યાં તાજેતરમાં સમરસ હોસ્ટેલ ખાતે ૨૨ થી ૩૮ વર્ષના ૧૨ યુવા દર્દીઓ આરોગ્યકર્મીઓની સંવેદનાસભર સારવાર થકી કોરોનામુક્ત બન્યા છે.

આ પૈકી મૂળ જૂનાગઢ ના વતની અને હાલ રાજકોટમાં ઞઙજઈ ની તૈયારી કરતા ૨૨ વર્ષીય ભાવદીપભાઈ સોજીત્રા કહે છે કે, સમરસનો સ્ટાફ ખુબ માયાળુ છે, બહાર જે હોસ્પિટલ માટે વાતો થાય છે તે માત્ર અફવા છે. રાજકોટમાં આટલા સારા ડોક્ટર, હોસ્પિટલ, સ્ટાફ ક્યાંય નહિ મળે.

તો ૩૮ વર્ષીય ગૃહિણી મીરાંબેન બૌવા સમરસના સ્ટાફનો આભાર માનતા જણાવે છે કે, સમરસનો સ્ટાફ પરિવારથી વિશેષ અમારી કાળજી રાખતો હતો, નર્સ, ડોકટરોએ મારું ખુબ ધ્યાન રાખ્યું છે, આવો સ્ટાફ અને ડોક્ટરની ટીમ કે જેઓ મને ઓળખતા પણ નથી તેઓએ મારી ખુબ સારી સેવા કરી છે.

ખાનગી હોસ્પિટલના આઈ.સી.યુ.વિભાગમાં કાર્યરત ૨૨ વર્ષીય નર્સ પ્રીતિબેન પરમાર જણાવે છે કે, સમરસ હોસ્ટલમાં મારા સારવારના દિવસો દરમિયાન મેં મારી જેમ અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને આત્મીયતાસભર હૂંફ આપીને આપતી સચોટ સારવાર નિહાળી છે.

તો ૩૦ વર્ષીય આસિકભાઈ હિરપરા જણાવે છે કે, સમરસમાં કાર્યરત દરેક ડોક્ટરોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરતા હોય તેમ મારી સારવાર કરી છે, હું એટલું જરૂર કહીશ કે કોઈ ટેસ્ટ કરાવવાથી ડરશો નહીં, જો ગફલતમાં રહેશો અને ટેસ્ટ નહીં કરવો તો કોરોનાનું સંક્ર્મણ વધી જશે અને તમે તમારી સાથે અન્ય લોકોને પણ સંક્રમિત કરશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.