Abtak Media Google News

સત્તા માટે વ્યાકૂળ બનેલી કોંગ્રેસ કેટલી હદે નીચે ઉતરી શકે છે તેનો આ શરમજનક નમૂનો છે

હિંદુ આતંકવાદ અને ભગવા ત્રાસવાદ જેવા શબ્દો પ્રયોજવા બદલ રાજુભાઈ ધ્રુવે કોંગ્રેસની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે, કોંગ્રેસના નેતાઓ પી. ચિદમ્બરમ, દિગ્વિજયસિંહ, સુશીલકુમાર શિંદે અને સલમાન ખુરશીદે હિંદુ આતંકવાદ જેવા શબ્દોનો ઉપયોગ કરી સમગ્ર દેશ, હિંદુ સમાજ તેમજ ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાનું ભયાનક કાવતરું ઘડ્યું છે. હિંદુ પ્રજા શાંતિ, સૌહ્રાદ અને સહિષ્ણુતાનોનો બેજોડ ઈતિહાસ ધરાવે છે. વિશ્વની આ મહાન સંસ્કૃતિનું ઘોર અપમાન કરતા હળાહળ જુઠ્ઠાણા બદલ કોંગ્રેસે દેશવાસીઓની તત્કાળ, બિનશરતી અને જાહેર માફી માગવી જોઈએ, અન્યથા, રાષ્ટ્રપ્રેમી તેમજ ધર્મ પરસ્ત ભારતીય પ્રજા કોંગ્રેસને કદીયે માફ નહીં કરે.

એક નિવેદનમાં પોતાનો પૂણ્ય-પ્રકોપ ઠાલવતાં શ્રી રાજુભાઈ ધ્રુવે આકરાં શબ્દોમાં જણાવ્યું છે કે, અંગ્રેજોની ભાગલા પાડો ને રાજ કરોની કુનીતિ કોંગ્રેસના ડીએનએમાં છે. ભૂતકાળમાં પંડિત જવાહરલાલ નહેરુએ બિન-સામ્પ્રદાયિક્તાના ઓઠા હેઠળ દેશભરમાં હિન્દુવિરોધી માનસિકતા ફેલાવવાનું કામ જ કર્યું હતું. આ ધ્રુણાસ્પદ પરંપરા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસે આગળ વધારી છે. આવી ગંદી રાજનીતિ અપનાવનાર કોંગ્રેસને ભારતીય પ્રજાએ દેશભરમાંથી ઉખેડીને ફેંકી દીધી છે. સત્તા વિના વ્યાકૂળ બનેલી કોંગ્રેસે હવે સમગ્ર હિંદુ સમાજને નિશાન બનાવ્યો છે. દુનિયાભરમાં હિન્દુઓને ખરાબ ચિતરીને હિન્દુસ્તાનમાં ફરીથી સત્તા કબજે કરવાની અત્યંત હીન તેમજ ગંદામાં ગંદી રમત કોંગ્રેસે આદરી છે.

નિવેદનમાં જણાવાયું છે કે, હિન્દુ આતંકવાદ અને ભગવા ત્રાસવાદ જેવા કોઈ સપને પણ કલ્પી ના શકે તેવા હિણપતભર્યા શબ્દપ્રયોગ કરીને કોંગ્રેસે પોતાની હિન્દુવિરોધી માનસિકતા વધુ એકવખત છતી કરી છે. સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ બાદ પ્રજાના ભોળપણનો ગેરલાભ ઉઠાવી દાયકાઓ સુધી સત્તા ભોગવનાર કોંગ્રેસે હંમેશા હિંદુ પ્રજાનો ભયંકર દ્રોહ જ કર્યો છે; અને હવે સમગ્ર હિંદુ સમાજનું ઘોર અપમાન કર્યું છે.

નિવેદનમાં  ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, ૨૦૧૩ની સાલમાં, કોંગ્રેસના જયપુર અધિવેશનમાં શ્રીમતી સોનિયા ગાંધી, શ્રી રાહુલ ગાંધી અને શ્રી મનમોહન સિંહની હાજરીમાં તત્કાલીન ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ મંચ પરથી હિંદુ આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હજારો વર્ષોથી વિદેશીઓના સાંસ્કૃતિક અને રાજકીય આક્રમણો છતાં, સહિષ્ણુતાનું જતન કરનાર બેનમુન ભારતીય સંસ્કૃતિને, હિંદુત્વની આગવી ઓળખરૂપ ભગવા રંગને અને શાંતિ-પરસ્ત હિંદુઓને ગાળો આપવાનું કામ આ કોંગ્રેસ પક્ષે કર્યું છે. ૨૦૧૦માં પી. ચિદમ્બરમે પણ હિંદુ આતંકવાદ શબ્દનો પ્રયોગ કર્યો હતો.

૧૦૦ કરોડ હિંદુઓ અને દેશને વિશ્વભરમાં બદનામ કરવાનું ભયાનક ષડયંત્ર રચનારી કોંગ્રેસ સત્તા માટે કેટલી હદે નીચે ઉતરી શકે છે તે હકીકત આનાથી ઉજાગર થઈ છે. તેમ જણાવતાં શ્રી ધ્રુવે વધુમાં કહ્યું છે કે, ધર્મ, કોમ અને નાત-જાતના નામે રાજકારણ રમવામાં કોંગ્રેસ માહિર છે. કર્ણાટકમાં કોંગ્રેસે અખત્યાર કરેલી ભાગલાવાદી નીતિ તેનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ છે. કોમવાદ, જાતીવાદનું રાજકારણ ખેલીને તેમજ હિંદુ પ્રજાને બદનામ કરતા રહીને સતા મેળવવાનો સહેલો રસ્તો જ કોંગ્રેસે હંમેશા અખત્યાર કર્યો છે પરંતુ, સામાજિક એકતા અને શાંતિ વગર દેશનો ઝડપી અને સંપૂર્ણ વિકાસ ક્યારેય શક્ય નહીં બને તે હકીકત કોંગ્રેસે સુપેરે સમજી લેવાની જરૂર છે.

પ્રખર વિદ્વાન અને ચિંતક પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. શ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં વિચાર અનુસાર હિંદુ એ માત્ર ધર્મ જ નહીં પણ સહુકોઈને પોતાનામાં સમાવી લેતી ગંગા જેવી પવિત્ર અને ઉદાત્ત વિચારધારા છે. પ્રત્યેક હિંદુ જીવમાત્રનું કલ્યાણ થાય તેવી સત્ત, ચિત્ત, આનંદ તેમજ અહિંસાની દાખલારૂપ આચાર-વિચારસરણી ધરાવે છે. હજ્જારો વરસોથી હિંદુ પ્રજાએ પારકાંને પોતાના કર્યાનો ભવ્ય ઈતિહાસ સહુકોઈને સુવિદિત છે ત્યારે હિંદુ આતકવાદ જેવો અત્યંત હીન શબ્દપ્રયોગ કરીને કોંગ્રેસ આ દેશની હજ્જારો વર્ષો જૂની મહાન સંસ્કૃતિને શા માટે બદનામ કરી રહી છે? તેવો સવાલ ઉઠાવી શ્રી રાજુભાઈએ આ દુષ્કૃત્ય બદલ કોંગ્રેસની નેતાગીરી દેશવાસીઓની બિનશરતી જાહેર માફી માગે અને હિંદુ આતંકવાદ જેવા શબ્દો પાછા ખેંચે તેવી માગણી કરી છે.

કોંગ્રેસનો માત્ર એક જ મુદ્દાનો કાર્યક્રમ લોકશાહી ઢબે ચૂંટાયેલી પ્રજાલક્ષી ભાજપ સરકારને સત્તાભ્રષ્ટ કરવાનો છે. આથી માત્ર ભાજપને જ નહીં, સમગ્ર હિંદુ ધર્મને બદનામ કરવા માટે કોંગ્રેસે ભગવા આતંકવાદ જેવા શબ્દપ્રયોગ કર્યા છે. ભારતીય સમાજમાં હળાહળ ઝેર ઘોળવાનું આ કોંગ્રેસી કારસ્તાન છે. પરંતુ, પ્રખર રાષ્ટ્રવાદીઓ જીવિત છે ત્યાં સુધી આ દેશમાં સામાજિક એકતા તોડવાના અને સદ્દ્ભાવપૂર્ણ વાતાવરણને ખતમ કરવાના કાવતરાઓમાં કોંગ્રેસ કદીયે સફળ નહીં થાય. તેમ નિવેદનના અંતે શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.