Abtak Media Google News

ચોટીલાની 2000 વીઘા (800 એકર) જમીન પ્રકરણમાં એડિશનલ કલેક્ટર ચંદ્રકાન્ત પંડ્યા સહિત ત્રણ અધિકારીઓ સામે હોદ્દાના દુરુપયોગની ફરિયાદ થઈ છે. જેમાં સુરેન્દ્રનગર કલેક્ટર ફરિયાદી બન્યા હતા. જમીન કૌભાંડથી સરકારને સવા 3 કરોડનું નુકસાન થયું છે. ગુજરાત રેવન્યુમાં કલેક્ટર ફરિયાદી બન્યાનો પ્રથમ બનાવ છે.

રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી બિનપિયતની જમીનો નામે કરાવી લાભ મેળવનાર વ્યક્તિઓ સાથે મેળાપીપણુ કર્યું હતું. ગુનાહિત કાવતરું રચી કાયદા વિરુદ્ધના હુકમો કરી સરકારી મિલકતનો દુર્વ્યય કર્યો હતો. ગેરકાયદે લાભ પહોંચાડી ત્રણેયએ રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારને રૂ. 3,23,03,556નું નાણાંકીય નુકસાન કરી ગુનો કર્યો હતો.

ત્રણેય મળીને જીવાપર તથા બામણબોર ગામની જમીન 320 એકરના ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. કોર્ટના હુકમનું ખોટું અર્થધટન કરી લાભ મેળવનારાઓના ખાતે ચડાવી દીધી હતી.

બામણબોર અને જીવાપર ગામની 2000 વીઘા સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરવા મુદ્દે રાજ્ય સરકારે સુરેન્દ્રનગરના નિવાસી અધિક કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્યા, ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વી.ઝેડ.ચૌહાણ અને ઈન્ચાર્જ મામલતદાર જે. એલ. ઘાડવીને 7મી ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કર્યા હતા.

ચોટીલાના બે ગામોની 2000 વીઘા સરકારી જમીન ટોચ મર્યાદા ધારાનું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામ કરી દેવાની ગેરરીતિનો મહેસુલ વિભાગે પર્દાફાશ કર્યો હતો. રાજ્ય સરકારે સમગ્ર કૌભાંડમાં સંપડાયેલા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી કડક પગલાં લેવાના આદેશો પણ આપ્યા છે. ઘટનાની તપાસ માટે ACBને પણ આદેશ આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.