Abtak Media Google News

આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ભુજ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે.જેમાં ૨૫૭૩ લાભાર્થીઓને ૧.૩૬ કરોડની સહાય આપવામાં આવશે..તો લખપતના ગુરૂદ્વારા ખાતે ટુરીઝમ પ્રોજેકટ અંતર્ગત પાંચ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવશે.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. કચ્છમાં ગરીબ કલ્યાણ મેળા ઉપરાંત લખપતના ગુરૂદ્વારા ખાતે કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. સીએમની આ કચ્છ મુલાકાતને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર આયોજનમાં વ્યસ્ત બન્યું છે પ્રાપ્ત વિગતો મુજબ બપોરે ૧ર.૩૦ કલાકના અરસામાં મુખ્યપ્રધાન પ્રથમ લખપત સ્થિત ગુરૂદ્વારાની મુલાકાત લેવાના છે. ગુરૂદ્વારા ખાતે પ્રવાસન ક્ષેત્રે થનારા વિવિધ વિકાસકામોનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ શીખ અગ્રણીઓ અને ભાઈ-બહેનો સાથે ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ પણ યોજાશે. જેમાં સીએમ લોકો સાથે સંબોધન કરશે. તીર્થધામ તેમજ પ્રવાસન વિકાસ માટે લખપતના ગુરૂદ્વારા માટે સરકાર દ્વારા પાંચ કરોડની રકમ ફાળવવામાં આવી હતી. જે અંતર્ગત થનારા વિકાસકામોનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાતમુહૂર્ત કરશે.બપોર બાદ ૩ વાગ્યે ભુજના ટાઉનહોલ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રપ૭૩ જેટલા લાભાર્થીઓને સરકારની તમામ યોજનાઓમાંથી સહાય ચુકવવામાં આવશે. ખાસ તો કુંવરબાઈનું મામેરૂં યોજના અંતર્ગત નાણાકીય સહાયના ચેક મુખ્યપ્રધાનના હસ્તેવિતરીત કરવામાં આવશે. આ ઉપરાંત માનવ ગરીમા યોજના અંતર્ગત સાધન સહાયનું વિતરણ કરવામાં આવશે.૧પ હજારથી લઈને રપ હજાર રૂપિયા સુધીની વિવિધ પ્રકારની કીટો લાભાર્થીઓને અપાશે. ગરીબ કલ્યાણ મેળામાં સરકારની તમામ યોજનાઓને આવરી લેવામાં આવી છે. જિલ્લા પંચાયત, સમાજ સુરક્ષા ખાતું, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિત વિવિધ વિભાગોના લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવશે. તો જિલ્લા પંચાયત વિભાગના મિશન મંગલમ સ્વસહાય જુથને સીઆઈએફની સહાય ચુકવવામાં આવશે

મુખ્યમંત્રીની મુલાકાતને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ બની ગયું છે.સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ કાફલો પણ ખડકી દેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.